Quantcast
Channel: Gujarat – chitralekha
Viewing all 9792 articles
Browse latest View live

નબળાં વિદ્યાર્થીઓને હોંશિયાર બનાવવા શરુ થઇ 4 દિવસની ઝૂંબેશ

$
0
0
ફાઈલ ચિત્ર

ગાંધીનગર– વાંચન, લેખન અને ગણિતમાં નબળાં વિદ્યાર્થીઓ માટે ગુરુવારથી સરકાર દ્વારા એક ખાસ કાર્યક્રમની શરુઆત કરવામાં આવી છે. ધોરણ ૬, ૭ અને ૮ના વિદ્યાર્થીઓને શાળા સમય ઉપરાંત વધુ એક કલાક અને શાળા સમય દરિમયાન બે કલાક ભણાવીને અન્ય વિદ્યાર્થીઓની હરોળમાં લાવવાના રાજ્યવ્યાપી ‘મિશન વિદ્યા’ નો આરંભ થયો છે.

ગુજરાતના ૨૫૦ તાલુકાઓમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮માં અભ્યાસ કરતા નબળા વિદ્યાર્થીઓ માટેના ‘મિશન વિદ્યા’ ના નિરિક્ષણ અને ચોકસાઇપૂર્વકના અમલીકરણ માટે ૨૯૨ જેટલા આઇ.એ.એસ., આઇ.પી.એસ. અને આઇ.એફ.એસ. કક્ષાના અધિકારીઓ સહિત પદાધિકારીઓને રાજય સરકાર દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે.

ગુણોત્સવ-૮ના પરિણાામોમાં જણાયું હતું કે ધોરણ ૬-૭-૮ના કુલ ૨૧,૬૮,૨૧૪ વિદ્યાર્થીઓ પૈકી ૧૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ વાંચનમાં, ૧૩ ટકા વિદ્યાર્થીઓ લેખનમાં અને ૧૪ ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં નબળાં જણાયા હતાં. ગુણોત્સવ દરમિયાન ધ્યાનમાં આવેલી આ બાબતને ગંભીરતાથી લઇને આવા નબળા વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન આપીને તેમને અન્ય વિદ્યાર્થીઓની હરોળમાં લાવવા ‘મિશન વિદ્યા’ હાથ ધરાયું છે. ૩૧ ઓગસ્ટ સુધી ‘મિશન વિદ્યા’ અંતર્ગત ઉપરાચાત્મક શિક્ષણ કાર્ય હાથ ધરાશે.

મિશન વિદ્યાની શરુઆતે શિક્ષણપ્રધાન ભૂપેનદ્રસિંહ ચૂડાસમા અને મુખ્ય સચીવ ડૉ.જે.એન.સિંહે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ જિલ્લાના કલેકટરોને ‘મિશન વિદ્યા’ ના અસરકારક અમલીકરણ માટે ધ્યાન રાખવા સૂચનાઓ આપી હતી. સીએમ રૂપાણીએ પણ ૨૨,૦૦૦ કેન્દ્રો પર ઉપસ્થિત રહેલા ૭૦,૦૦૦ જેટલા શિક્ષકો સાથે બાયસેગના માધ્યમથી એકસાથે વાત કરીને ‘મિશન વિદ્યા’ વિશે માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષણ વિભાગે વાંચન, લેખન અને ગણનના ઉપચારાત્મક શિક્ષણ માટે જરૂરી સાહિત્ય તૈયાર કર્યું છે. શાળાકક્ષાએ જે તે ધોરણના વર્ગ શિક્ષક દ્વારા વાંચન, લેખન અને ગણનમાં નબળા હોય એવા પ્રિય વિદ્યાર્થીઓને શાળા સમય ઉપરાંત વધુ એક કલાક ઉપચારાત્મક શિક્ષણ અપાશે. ધોરણ ૩ થી ૫ ના નબળા વિદ્યાર્થીઓને પણ શાળા સમય દરમિયાન બે કલાક ઉપચારાત્મક શિક્ષણ અપાશે.

‘મિશન વિદ્યા’ ના સુવ્યવસ્થિત અમલીકરણ માટે ૨૯૨ જેટલા ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ અધિકારીઓ ‘ગુણોત્સવ’ની પેટર્ન પ્રમાણે તેમને ફાળવાયેલા જિલ્લાઓ-શાળાઓની મુલાકાત લેશે અને ઉપચારાત્મક શિક્ષણ પ્રક્રિયાનું મુલ્યાંકન કરશે. એટલું જ નહીં આ મિશનના અંતે ધોરણ ૬ થી ૮ની તમામ શાળાઓના બાળકોનું વાંચન, લેખન અને ગણન સંદર્ભે પુન:મૂલ્યાંકન કરાશે.


ગુજરાતઃ ઘનકચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતાનીતિ જાહેર, ખાળકૂવાની માનવીય સફાઈ નાબૂદ

$
0
0

ગાંધીનગર-મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત શહેરી ઘનકચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા નીતિ જાહેર કરતાં જણાવ્યું હતું કે,તમામ શહેરો અને નગરોમાં ૧૦૦ ટકા સફાઇ થાય, ઘન તેમજ પ્રવાહી કચરાનું સુવ્યવ્યસ્થિત એકત્રીકરણ અને પરિવહન, તેમ જ વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તે માટે સર્વગ્રાહી નીતિ અમલમાં મૂકી છે.

ગુજરાત સરકારે નેશનલ અર્બન સેનિટેશનની પોલિસી મુજબ ‘રાજ્ય શહેરી ઘન કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા નીતિનું જે માળખું તૈયાર કર્યું છે, તેના ઉદ્દેશો આ પ્રમાણે છે.

નીતિના ઉદ્દેશો :
  • જાહેરમાં શૌચક્રિયા ન થાય તે માટે શહેરમાં વસતાં નાગરિકોને શૌચાલયની યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉપર ભાર મૂકાશે. તેમજ જ્યાં વ્યક્તિગત શૌચાલય જગ્યાને અભાવે ન બનાવી શકાય તેમ હોય ત્યાં જાહેર શૌચાલયની સગવડતા ઉભી કરાશે.
  • કેન્દ્રીય જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણ ઇજનેરી સંસ્થા (CPHEEO) કે પર્યાવરણ અને વન મંત્રાલયે નક્કી કરેલા ધોરણ મુજબ શહેરી સ્થાનિક સંસ્થામાં ઉત્પન્ન થયેલો તમામ કચરો અને ગંદા પાણીનો અન્ય હેતુ માટે ઉપયોગ થાય તે હેતુથી ટ્રીટમેન્ટ કરવામાં આવશે.
  • રહેણાંક અને વાણિજ્યક કચરાનું સ્થળ પર ૧૦૦ ટકા વર્ગીકરણ અને સંગ્રહની વ્યવસ્થા દ્વારા બધી શહેરી સ્થાનિક સંસ્થાઓના સહયોગથી ‘ઝીરો વેસ્ટ’ શહેરોનું નિર્માણ કરાશે : રીસાઇકલીંગ અને રીયૂઝ પર ભાર મૂકાશે.
  • ગટર લાઇન અને મેનહોલ્સની ઉપરાંત ખાળકૂવાની માનવીય સફાઈની નાબુદી દ્વારા રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેંજીંગની નાબૂદી.
  • દરેક શહેરી સ્થાનિક સંસ્થાઓમાં કુદરતી ગટરો અને વરસાદી પાણીની ગટરને પુનઃજીવિત કરાશે. ગંદા પાણીનો નિકાલ વરસાદી પાણીની ગટરમાં થાય નહીં તેની કાળજી રખાશે.
  • મજબૂત માહિતી પ્રણાલી ઉભી કરીને તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓની પાણી પુરવઠા અને સ્વચ્છતા સેવાઓ સંબંધિત ડેટા એમઆઇએસ(MIS) દ્વારા જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાશે : આવી પ્રથા ઊભી કરવા માટે જરૂરી રોકાણો રાજ્ય સરકાર ભોગવશે.
  • તમમ શહેરી સ્થાનિક સંસ્થાઓ જાહેર સ્વાસ્થ્ય પેટા કાયદો અપનાવે અને તેને તમામ શહેરો માટે લાગુ પાડે તેવી વ્યવસ્થાનું નિર્માણ.
  • શહેરી સ્થાનિક સંસ્થાઓને સ્વચ્છતા, પર્યાવરણ અને આરોગ્ય ક્ષેત્રે સજ્જ કરાશે : સંસ્થાઓને તેમના શહેરની ચોક્કસ યોજનાઓ તૈયાર કરવા અને સફળ અમલીકરણ માટે ચોક્કસ માધ્યમોનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવા માહિતી, શિક્ષણ અને સંચાર યોજના તૈયાર કરશે.
  • શહેરી સ્થાનિક સંસ્થાની હદમાં આવેલ બધા જળ સંસાધનો ઘન અને પ્રવાહી કચરાથી મુક્ત કરાશે.
  • બધી શહેરી સ્થાનિક સંસ્થાઓ સ્વચ્છતા માટેની આંતરમાળખાકીય સુવિધા ઉભી કરવા વિકાસ યોજના કે સ્થાનિક વિસ્તાર યોજના માટે જમીન અધિકૃત કરાશે
  • શહેરી સ્વચ્છતા માટે ભંડોળ વ્યવસ્થા: શહેરી સ્વચ્છતામાં સુધારા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફંડ ફાળવવામાં આવશે. ફંડને રાજ્ય સ્વચ્છતા ફંડ તરીકે એકત્રિત કરી શકાશે.

300 ગામોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલી કરાશે પેયજળ સૌરઊર્જા યોજના

$
0
0

ગાંધીનગર– ગ્રામપંચાયત વિસ્તારમાં પાણી પૂરવઠા માટે સોલાર પંપ સુવિધા અંતર્ગત ગ્રામ પંચાયત પેય જળ સૌર ઊર્જા યોજના રાજ્યના ૩૦૦ ગામોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલી કરવામાં આવશે.

વર્ષ ૨૦૧૭-૧૮માં ગ્રામ પંચાયતના વોટર વર્કસ દ્વારા ૧૪૦૦ મીલીયન વીજ યુનિટ વપરાશ થયો છે. આ માટે દર વર્ષે રૂપિયા ૬૭૫ કરોડ રાજ્ય સરકાર દ્વારા સબસીડીની રકમ તરીકે આપવામાં આવે છે.  આ ગ્રામ પંચાયત પેય જળ સૈાર ઊર્જા યોજનાના પ્રોજેક્ટ માટે પ્રવર્તમાન દરે રૂપિયા ૪૪૪૦ કરોડ ખર્ચ થાય છે. પ્રતિ કિલો વોટ વીજળી માટે ૧૦ ચો.મી. જમીનની જરૂરિયાત રહે છે. ગ્રામ પંચાયત પોતાના વોટર વર્કસની જમીન આ સૌર ઊર્જા યોજનામાં આપી શકશે.

આ યોજનામાં પ્રતિ કિલો વોટની કેન્દ્ર સરકાર દ્વારા ૨૫ ટકા સબસીડી મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત – રજૂઆત કરવામાં આવી છે અને બાકીના ૭૫ ટકા માટે વાર્ષિક ૬ ટકાના દરે ૭ વર્ષ માટે લોન મળી શકશે. જેની ચૂકવણી પ્રતિ વર્ષ રૂપિયા ૧૩૪૧૧ પ્રમાણે કરવાની થશે. ૭ વર્ષ પૂર્ણ થતાં રૂપિયા ૧૪૯૨૪ની ચોખ્ખી વાર્ષિક આવક ગ્રામ પંચાયતોને મળતી થશે. આ યોજનામાં જે ગ્રામ પંચાયતો અપફ્રન્ટ રકમ ભરે તેને એટલી ઓછી લોન લેવાની થશે તેવી સુવિધા પણ રાખવામાં આવી છે.

અમદાવાદઃ સાબરમતી નદીમાં સ્વચ્છતા માટે સૂચના

$
0
0

અમદાવાદઃ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પહેલા સૂકી રહેતી, છેલ્લાં કેટલા વર્ષોથી નર્મદાના નીરને કારણે સજીવન થઇ ગઇ છે. રિવરફ્રન્ટને કારણે નદી વધારે રળીયામણી લાગે છે.

બીજી તરફ દેશની તમામ નદીઓ સ્વચ્છ રહે એ માટે વિશેષ ઝૂંબેશ ચાલી રહી છે. કારણ તમામ નદીઓ-તળાવ-સમુદ્ર કાંઠે કચરાના ઢગ વધતાં જ જાય છે. ધર્મપ્રેમી પ્રજા પૂજાપાનો સામાન, ઘરના વધારાના-જૂના ભગવાનના ફોટા-મૂર્તિઓ, ખંડિત થયેલી મૂર્તિ-તસવીરો નદીમાં પધરાવી દેતી હોય છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લોકો કચરો તેમ જ પૂજાવિધિની સામગ્રી નદીમાં છુટ્ટી ન ફેંકે એ માટે કળશ મુકાવામાં આવ્યાં હતાં. આ કળશ પાસે કર્મચારીઓ પણ બેસાડવામાં આવ્યાં હતાં. જે કળશ ભરાઇ જાય પછી ચીજવસ્તુઓનો યોગ્ય નિકાલ કરી દેવામાં આવતો હતો. હાલ સાબરમતી નદીના બ્રિજ પર કળશ રહ્યાં નથી. પૂલોની ફૂટપાથ પર કર્મચારીઓ કચરાની કોથળીઓ સાચવીને બેઠેલા નજરે પડે.

કોર્પોરેશન દ્વારા જ્યારે કળશ મુકવામાં આવ્યાં ત્યારે સત્તાધીશોએ લોકોને ધાર્મિક આસ્થા સાથે જોડી સ્વચ્છતા રાખવા પ્રયત્ન કર્યો. તો અત્યારે તમામ પુલો પર નાના અને નવા બેનર્સ જોવા મળી રહ્યાં છે, જેમાં જીવદયા રાખવા માટે વિનંતી કરાઇ છે.

“નદીમાં કચરો ફેંકશો નહી, તે ઘણી માછલીઓનું ઘર છે, તેમના પ્રત્યે માયાળુ બનો” આ પ્રકારના સ્લોગન સાથેના બેનર અત્યારે અમદાવાદના પુલો પર મુકવામાં આવ્યા છે.

અહીં સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતી અને અંગ્રેજીમાં માછલીઓના નામે નદીમાં સ્વચ્છતા રાખવાનો સૂચના-સંદેશ કેટલો પરિણામ લક્ષી બની રહે છે તે તો આવનારા દિવસો જ બતાવશે.

(તસવીરઃ અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ)

રુદ્રમાતા ડેમસાઇટ પર રક્ષક વન લોકાર્પિત, ઓગસ્ટમાં વૃક્ષારોપણ ઝૂંબેશ યોજાશે

$
0
0

કચ્છ– જળક્રાંતિ બાદ હવે હરિયાળી ક્રાંતિ માટે ઓગસ્ટ માસમાં રાજ્યભરમાં સઘન વૃક્ષારોપણ ઝૂંબેશ હાથ ધરાશે તેમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રુદ્રમાતા ડેમસાઇટ પર રક્ષકવનના લોકાર્પણ પ્રસંગે હાજરી આપતાં જણાવ્યું હતું.તેમણે કહ્યું કે તળાવો, ચેકડેમ ઉંડા કરવાના સુજલામ્ સુફલામ્ જળસંચય કાર્યક્રમને પરિણામે ૧૧ હજાર લાખ ઘન ફૂટથી વધુ વરસાદી જળના સંગ્રહની ક્ષમતા આપણે વિકસાવી છે. હવે, નદી તળાવોના કિનારે સઘન વૃક્ષારોપણ ઝૂંબેશથી ગુજરાતને લીલુંછમ બનાવશું.સીએમે ગુરુપૂર્ણિમાના અવસરે ૬૯માં વન મહોત્સવનો પ્રારંભ રક્ષક વનના લોકાર્પણથી કરાવ્યો હતો. અત્યાર સુધી નિર્માણ પામેલા સાંસ્કૃતિક વનોમાં સૌથી વિશાળ ૯.૪ હેકટરમાં પથરાયેલું આ રક્ષક વન ૧૯૭૧ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભાંગી ગયેલી ભૂજની હવાઇ પટ્ટી માધાપરની બહેનોએ રાતોરાત શ્રમશક્તિથી પુનર્જિવિત કરી મા ભોમનું રખોપું કર્યું તેની યાદમાં રક્ષક વન નામ પામ્યું છે. ૧૯૭૧ના યુદ્ધમાં અનોખું સાહસ કરનારી માધાપર ગામની મહિલાઓનું સન્માન કર્યું હતું અને સાથે ગ્રામવન યોજના અંતર્ગત રાજ્યની ગ્રામ પંચાયતોને રૂ. ૧૭૨ લાખના ચેકોનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે અહીં ઉપસ્થિત સંતોમહંતોની વંદના પણ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. તેમણે રક્ષક વનમાં વૃક્ષારોપણ કરી તેની મુલાકાત કરી હતી. તેમણે આરોગ્યવાનને ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.આ ૯.૫૦ હેકટર વિસ્‍તારના ‘રક્ષકવન’ માં ૩૦ હજાર જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. તેમજ આ ‘રક્ષકવન’ માં શિશુ વાટિકા, ઓપન જીમ, વોટરફોલ, કલાત્‍મક ફેન્‍સીંગ, શૌર્ય શિલ્‍પ, પગદંડી, વોચ ટાવર, ગઢ જેવા પ્રદેશ ઘર, મ્‍યુરલ્‍સ વોલ, શૌર્ય મશાલ, વિવિધ પ્રકારના વનો, બી.એસ.એફ. બંકર, સૌથી મોટી વોટર બોડી, પાણીની પરબ, ટોપલો બ્‍લોડ, બી.એસ.એફ. બંકર વગેરે બનાવવામાં આવેલ છે.

રાજ્યમાં ૧૮ જેટલા સાંસ્કૃતિક વનોથી વનવિભાગે ૨૦૧૭ સુધીમાં ૩૪.૩૫ કરોડ વૃક્ષો વન સિવાયના વિસ્તારમાં ઉછેર્યા છે. છેલ્લા ૧૩ વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં ૩૭ ટકાનો વધારો થયો છે અને છેલ્લા બે વર્ષમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં ૯૭૦૦ હેકટરની વૃદ્ધિ થઇ છે.

કચ્છ સહિતના ખારાશવાળી જમીન ધરાવતા અને દરિયાઇ વિસ્તારોમાં સમુદ્રના પાણીને પીવાલાયક મીઠા પાણી બનાવવા ૧૦ ડિસેલિનેશન પ્લાન રાજ્યમાં સ્થાપવામાં આવશે. જામનગરના જોડિયા તથા કચ્છમાં આ પ્રકારના ડિસેલિનેશન પ્લાન્ટની સ્થાપનાની કામગીરી શરૂ થયા બાદ અન્ય વિસ્તારોમાં પણને આવા ડિસેલિનેશન પ્લાન્ટના નિર્માણથી રાજ્યમાં પીવાના પાણીના સંકટને દૂર કરાશે

કચ્છને પીવાના પાણીની કોઇ તકલીફ નહીં પડવા દેવાય એવી ખાતરી આપતા રુપાણીએ કહ્યું કે ટપ્પર ડેમ ફરી નર્મદાના પાણીથી ભરવામાં આવશે અને તાલુકા મથકે ઘાસના ડિપો ખોલી રૂ. ૨ પ્રતિ કિલોએ ઘાસ આપવામાં આવશે.

રાજ્યમાં સૌપ્રથમવાર આ ઈન્સપેક્ટરોને ગુણવત્તા નિયંત્રણ માટે તાલીમ અપાઇ

$
0
0

રાજ્યના FDCA અને બાઓમેરીયક્સ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે “ફાર્માસ્યુટિકલ માઇક્રોબાયોલોજી એન્ડ એડવાન્સમેન્ટ ઇન ફાર્માસ્યુટિકલ માઇક્રોબાયોલોજી”  વર્કશોપ અને સેમિનાર યોજાયો હતો. જેમાં રાજ્યના ૬૫ ડ્રગ્સ ઈન્સપેક્ટર્સને ગુણવત્તા નિયંત્રણ સહિતની તાલીમ આપવામાં આવી હતી.રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન અને બાઓમેરીયક્સ ઈન્ડિયાના (BioMerieux) સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં “ફાર્માસ્યુટિકલ માઇક્રોબાયોલોજી અને એડવાન્સમેન્ટ ઇન ફાર્માસ્યુટિકલ માઇક્રોબાયોલોજી” વિષય પર એક દિવસીય વર્કશોપ ટ્રેનીંગ કાર્યક્રમ અને પરિસંવાદ યોજાયો હતો.

ભારતમાં ગુણવત્તાયુક્ત દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રમાં રહેલા પડકારોને પહોંચી વળવા માટે ગુણવત્તા નિયંત્રણ (ક્વોલિટી કંટ્રોલ) અને માઇક્રોબાયોલોજીકલ પરીક્ષણએ સમયની માંગ છે. ગુજરાત સરકાર ખાદ્ય અને ઔષધ નિયમન તંત્રના કર્મચારીઓને ટેકનિકલ તાલીમ પૂરી પાડીને તેમના જ્ઞાન અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે પ્રયત્નશીલ છે.

mde

ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના (FDCA) કમિશનર ડૉ.એચ.જી.કોશિયાએ સેમીનારનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના ડ્રગ્સ અને ફૂડ સેફ્ટીના સ્ટાફને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં અને ફાર્માસ્યુટિકલ અને ફૂડ માઇક્રોબાયોલોજીમાં ડેટા ઇન્ટેગ્રિટી પર કેન્દ્રિત રેગ્યુલેટરી એન્વાયર્નમેન્ટ વિશે માર્ગદર્શન આપવામાં આવશે.

ડૉ. કોશિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના ૬૫ ડ્રગ ઈન્સપેક્ટર્સને ફાર્માસ્યુટિકલ અને ફૂડ માઇક્રોબાયોલોજી વિષય ઉંડાણપૂર્વક સમજ આપવાનો છે. વૈશ્વિક ટેકનોલોજી વિશે સમજ આપવા માટે આ પ્રકારની તાલીમ અને પરિસંવાદ રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ ગોઠવવામાં આવશે.

બાઓમેરીયક્સ ઈન્ડિયાના હેડ સુરેશ કુમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌપ્રથમ વખત આ પ્રકારના તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. એફડીસીએ અને બાઓમેરીયક્સ ઈન્ડિયાના સંયુક્ત વ્યૂહાત્મક જ્ઞાન ભાગીદારી (સ્ટ્રેટજિક નોલેજ પાર્ટનરશીપ) અંતર્ગત વડોદરા ખાતેની લેબોરેટરીને ગ્લોબલ માઇક્રોબાયોલોજીકલ એડવાન્સ ટેકનોલોજીથી અપગ્રેડ કરી વિકસાવવામાં આવી છે. આ હેતુથી એફડીસીએ અને બાઓમેરીયક્સ વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યા છે.

ચંદ્ર ગ્રહણનો નજારો માણતાં લોકોને નડ્યું “વાદળોનું ગ્રહણ”

$
0
0

પૃથ્વી પરથી આકાશ કેટલાક અવનવા દ્રશ્યો જોવા મળે છે. ગ્રહણની અવકાશી ઘટના કેટલાક લોકો ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં જોવાનું ટાળે છે. પણ, વિજ્ઞાનમાં રસ રાખનાર લોકો સાઘનો સાથે સ્થળ પર અવશ્ય પહોંચી જાય.જુલાઈ  27ની રાત્રે ખગોળ વિજ્ઞાનના રસિકો નરી આંખે આખુંય ચંદ્ર ગ્રહણ દેખાશે એમ આકાશમાં જોતા રહ્યા. પરંતુ ગુજરાતના કેટલાક ભાગમાં ગ્રહણનો નજારો એકાદ કલાક જ જોવા મળ્યો. કારણ, આ દુર્લભ નજારો માણતા લોકો વચ્ચે વાદળોનું ગ્રહણ આવી ગયું. નરી આંખે જેટલું દેખાયુ એની મજા માણી હતી.

વારે રાત્રે 11.54 વાગે ચંદ્ર પૃથ્વીના પડછાયામાં છુપાઈ ગયો. ચંદ્રને 104 વર્ષ બાદ સૌથી મોટું ગ્રહણ લાગ્યું. લગભગ 3 કલાક 54 મિનિટ અને 33 સેકન્ડ સુધી ચંદ્રગ્રહણ ચાલ્યું. શનિવારે વહેલી સવારે 3.49 વાગે જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચેથી પૃથ્વી હટી ત્યારે ચંદ્ર પરથી ગ્રહણ પણ હટ્યું. આ દરમિયાન 1 કલાક 43 મિનિટ સુધી પુર્ણ ચંદ્રગ્રહણ રહ્યું એટલે કે ચંદ્ર બિલકુલ દેખાયો નહીં. 2 વાગે થોડી સેકન્ડ માટે ચંદ્ર લાલ થયો એટલે કે બ્લડમૂન.દેશમાં અનેક સ્થળે વાદળને કારણે જોવા મળ્યું નહોતું.

બ્લડમૂન અર્થાત લાલ રંગનો ચંદ્ર. સામાન્ય રીતે જોવા જઈએ તો ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વિના પડછાયામાં ચંદ્ર આવી જાય એટલે તે કાળા રંગનો દેખાય છે પરંતુ કેટલિક વિષેષ પરિસ્થિતીઓં ચંદ્રનો રંગ થોડા સમય માટે લાલ થઈ જાય છે અને તેને બ્લડમૂન કહે છે. સૂર્યના કિરણો ધરતી પરથી પરાવર્તિત થઈને ચંદ્ર પર પડે છે અનમે તેના કારણે ચંદ્ર લાલ દેખાય છે.

 

તસવીર  અહેવાલ  પ્રજ્ઞેશ વ્યાસ

અમરેલીઃ 51 કરોડ 98 લાખ રુપિયાના મૂલ્યની રેતી ચોરનારાં ઝડપાયાં

$
0
0

અમરેલી- ધાતરવડી નદીમાં અનઅધિકૃત રીતે રેતીની ચોરી કરતાં 7 આરોપીઓને રાજુલા પોલિસે ઝડપી લીધાં છે. ખાણ ખનીજ વિભાગ ધ્વારા GPS કોર્ડીનેટ સર્વે કરીને ઝડપાયેલાં 7 આરોપીઓ વિરુદ્ધ 51 કરોડ 98 લાખ રુપિયાના મૂલ્યની રેતી ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વારંવારની ચેતવણીઓ આપવા થતાં રેતી ચોરી બંધ ન થતાં ખાણખનીજ વિભાગ દ્વારા ગઇ G.P.S. કોર્ડીનેટ કરીને રાજુલાના વડ ગામથી ખાખબાઇ ગામ સુધીના વિસ્તારમાં આવેલ ધાતરવડી નદીમાં સર્વે કરાયો હતો. આ નદીમાં કાયદેસર લીઝોને બાદ કરતાં કુલ ૭,૬૮,૦૬૪ સ્કવેર મીટર વિસ્તારમાં ગેરકાયદે ખોદકામ થયાંનું બહાર આવ્યું હતું.

કુલ ૭,૬૮,૦૬૪ સ્કવેર મીટર વિસ્તારમાં કુલ ૨૧,૬૫,૯૪૦/- મેટ્રીક ટન ખનીજની ચોરી થયેલી હતી જેથી એક ટનના રૂા.૨૪૦/- મુજબ કિમત ગણતાં કુલ રૂા. ૫૧,૯૮,૨૫,૪૭૧/- (એકાવન કરોડ અઠ્ઠાણું લાખ પચીસ હજાર ચારસો ઇકોતેર) ની ખનીજ ચોરી ગણવામાં આવી હતી.

આ નદીમાં લીઝની બહાર રેતી ભરતાં પકડાયેલા આ આરોપીઓ સામે ખાણખનીજ વિભાગે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

આરોપીઓના નામઃ-
(૧) ધીરૂભાઇ દડુભાઇ ધાખડા રહે.વડલી તા.રાજુલા
(૨) મનુભાઇ ખીમાભાઇ ડાભી રહે. છતડીયા તા.રાજુલા
(૩) મનુભાઇ સુખાભાઇ ભીલ રહે.લોઠપુર તા.જાફરાબાદ
(૪) ગોપાલભાઇ બચુભાઇ સાંખટ રહે.લોઠપુર તા.જાફરાબાદ
(૫) ઉલ્લાસભાઇ લાભુભાઇ રહે.કોડીનાર
(૬) જસુભાઇ સેલારભાઇ ધાખડા રહે.વડ તા.રાજુલા
(૭) વિરમભાઇ કાળાભાઇ ઓડેદરા રહે.રાજુલા
(૮) કિરણભાઇ વિરાભાઇ ધાખડા રહે.લોઠપુર જાફરાબાદ
(૯) મધુભાઇ દાનુભાઇ ધાખડા રહે.વડ રાજુલા

આ આરોપીઓમાંથી ગોપાલભાઇ સાંખટ રહે.લોઠપુર તથા ઉલ્લાસભાઇ લાભુભાઇ રહે.કોડીનાર સિવાય અન્ય કુલ-૦૭ આરોપીઓની પોલીસએ ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે. આરોપીઓના રીમાન્ડની માગણી કરવામાં આવશે અને અન્ય લોકોની સંડોવણીની તપાસ કરાશે.


NMC બિલનો વિરોધ, સાંજે છ વાગ્યા સુધી હેરાન થશે દર્દીઓ

$
0
0

અમદાવાદઃ  ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત સ્ટેટ બ્રાન્ચ રાજ્યના તમામ માન્ય દવાખાનાઓ અને લેબોરેટરીમાં સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી સેવાઓમાં બંધ પાળવામાં આવી રહ્યો છે. એનએમસી બિલના વિરોધમાં બંધ દરમિયાન આકસ્મિક સેવાઓ જ્યાં સગવડ હશે, ત્યાં ચાલુ રહેશે. આ હડતાલમાં ગુજરાતના 28 હજાર તબીબો પણ હડતાલ જોડાયા છે. જોકે આ કારણે દર્દીઓ અને તેમના પરિજનોની હાલત કફોડી બની છે.આ માટે છે વિરોધ

એમબીબીએસ ડિગ્રીધારકોને તબીબી સેવાઓ આપવા માટે તેમણે વધુ એક લાયકાત મેળવવી પડશે જેમાં અન્ય એક પરીક્ષા આપવાની રહેશે. જેમાં પાસ થયા પછી જ તે દર્દીઓનો ઉપચાર કરી શકશે.  વિદેશી ડૉક્ટર્સ કે વિદેશમાં ડિગ્રી મેળવનારને આ પરીક્ષામાં રાહત મળશે. અત્યાર સુધી એમસીઆઈ કાયદા અંતર્ગત આ પ્રકાર ડૉક્ટર્સને ભારતમાં પ્રેક્ટિસ કરવાં માટે ક્વોલિફાય એક્ઝામ પાસ કરવી પડતી હતી. જ્યારે નવા કાયદામાં તેમને આમાંથી છૂટ મળશે.

આ અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને બિલમાં કરવામાં આવેલી કેટલીક જોગવાઇઓ સામે વિરોધ છે, તેમાં ખાનગી મેડિકલ કોલેજોમાં 15 ટકાના બદલે 60 ટકા બેઠકોની ફી મેનેજમેન્ટને નક્કી કરવાનો અધિકાર આપવામાં આવનાર છે. આ ઉપરાંત એમસીઆઇની જગ્યાએ એક રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગ બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જેનો ભારે વિરોધ થઇ રહ્યો છે.

સીએમની ઘરઆંગણે જાહેરાતઃ અટલ સરોવર માટે 40 કરોડ ખર્ચાશે

$
0
0

રાજકોટ- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પોતાના શહેરના વિકાસ માટે ફરી એકવાર બુલંદ અવાજે અટલ સરોવરના વિકાસ માટે કરોડો ખર્ચવાની સરકારની તૈયારી વિશે જણાવ્યું હતું.

મુખ્યપ્રધાન રૂપાણીએ રાજકોટ મહાનગરપાલિકા વનવિભાગના સંયુકત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં રેસકોર્ષ – ર ખાતે વૃક્ષારોપણ અને અટલ સરોવરના નવા નીરની પૂજનવિધિ કર્યા બાદ આયોજિત સમારોહ જણાવ્યું કે, રાજકોટને આધુનિક વર્લ્ડ કલાસ સિટી અને હેપીનેસ ઇન્ડેક્સ પ્રકારનું બનાવવા રાજય સરકાર અને મહાનગરપાલિકા આગળ વધી રહેલ છે. અટલ સરોવરનો રૂ. ૪૦ કરોડના ખર્ચે શહેરનું નજરાણું બને તે રીતે વિકાસ કરાશે.

ઉલ્લેખનીય છે કે, રેસકોર્સ – ર ખાતે અંદાજે ૧૪ જાતના વૃક્ષોનું વાવેતર બે હરોળ વચ્ચે ૭.૫ મીટરના અંતર અને બે વૃક્ષ વચ્ચે ૪ મીટરનું અંતર રાખી સીએમ રુપાણી અને અન્યોના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમનો પણ પ્રારંભ કરાયો હતો.. આ જગ્યાની ચારે તરફ અંદાજે 1111 વૃક્ષોનું વાવેતર કરાશે અને બાદમાં અન્ય ભાગોમાં વિવિધ હરીયાળી ઉભી કરાશે.

સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત રેસકોર્ષ – ર માં આવેલ તળાવ અટલ સરોવર આધુનિક રાજકોટ બનાવવા આંતર રાષ્ટ્રીય એરપોર્ટ, નવું આધુનિક બસ સ્ટેશન, મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં મહાત્મા ગાંધીજીના વિચારોના પ્રસાર માટે મ્યૂઝિયમ, રાજકોટ નજીક ખીરસરામાં નવી જી.આઇ.ડી.સી. , જામનગર રોડ ઉપર કન્ટેનર ડીપો વગેરે બનાવાઈ રહ્યાં છે.સીએમે રાજકોટ શહેરને ગ્રીન સીટી બનાવવા માટે વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહયોગ આપવા શહેરીજનોને અપીલ કરી હતી.

રેસકોર્ષ – ર માં હાથ ધરાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમ અને અટલ સરોવરના વિકાસ સહિત રાજકોટ શહેરમાં 50 હજાર વૃક્ષોનું વાવેતર કરાશે તેમ જણાવ્યું હતું.

અમદાવાદઃ ડિલિવરી બોયને હોમગાર્ડે લૂંટ્યો…!

$
0
0
પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ– ક્યારેક ક્યારેક ગુનાખોરીના બહાર આવતા કિસ્સા શહેરની બદલાતી તાસીર રજૂ કરી દે છે. શાંતિ અને સલામતી માટે વખણાતાં શહેરમાં એક ડિલિવરી બોયને રક્ષકો દ્વારા જ લૂંટી લેવાની ઘટના તેનો નમૂનો બની છે. સોલા વિસ્તારમાં  ઓનલાઇન ફૂડ મંગાવીને તેના ડિલિવરી બોયને નકલી બંદૂકની ધાક બતાવી લૂંટી લેવાયો હતો, જેની ફરિયાદ સોલા પોલિસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ડિલિવરી બોયને લૂંટવાના કેસમાં  બે હોમગાર્ડ સહિત એક આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે. સોલા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા બે યુવકોએ ઓનલાઇન ફૂડ વેચતી કંપની સ્વીગી ઉપર ફૂડ ઓર્ડર કર્યો હતો. સોલા પોલીસ સ્ટેશનની હદના સ્થળે ડિલિવરી બોય ફૂડ આપવા ગયો ત્યારે બે હોમગાર્ડ સહિત એક અન્ય યુવકે ડિલિવરીની બોયને નકલી બંદૂક બતાવીને તેના પાસેથી 4000 રુપિયાની લૂંટ કરી હતી.

સોલા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરાતાં ત્રણેયને પકડીને પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આઆરોપીઓએ અગાઉ પણ  રૂ.300 અને આજે રૂ.4000ની આમ બે વાર લૂંટ ચલાવી હતી. સોલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલિસ પરમિશન નહીં મળે તો કોર્ટમાં જઇશું, આ છેલ્લી લડાઇ છેઃ હાર્દિકનો હૂંકાર

$
0
0

અમદાવાદ- શનિવારે મોડી સાંજે પાટીદાર નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં પાસ કન્વીનરોની બેઠક મળી હતી. આમરણાંત ઉપવાસને લઇને યોજાયેલી આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. હાર્દિક પટેલ અનામતની માગણી સાથે 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાની અગાઉ જ જાહેરાત થઇ ચૂકી છે.બેઠક પછી પાસ કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે જ્યાં જરૂર પડે ત્યાં ઝૂકીશ. આ છેલ્લી લડાઈ છે. ઉપવાસમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે રોજ 7 થી 8 તાલુકાના લોકો આવશે. ચોથા અને પાંચમાં દિવસે 10 થી 12 હજાર લોકો આવશે.

બેઠક બાદ હાર્દિકનું નિવેદન

અમદાવાદના નિકોલમાં પાસ કન્વીનરોની પાસ કન્વીનર હાર્દિક પટેલની અધ્યક્ષતામાં બેઠક

પોલીસ પરમિશન નહીં મળે તો કોર્ટમાં જઈ પરમિશન લેવાની ઉચ્ચારી ચીમકી

બેઠકમાં હાર્દિક પટેલ , નિખિલ સવાણી, ગીતા પટેલ સહિતના કન્વીનરો ઉપસ્થિત

સોમવારે પાસ નેતાઓ કલેક્ટરને આવેદન આપી ઉપવાસ પરમિશન આપવા અંગે કરશે રજૂઆત
રોજ 7 થી 8 તાલુકાના લોકો આવવાના છે

વ્યવસ્થાના ભાગરૂપે અવ્યવસ્થા ન સર્જાય તેનું ધ્યાન રાખીશું

આગામી 5 ઓગસ્ટે પાસ કોર ટીમની મળશે બેઠક જેમાં ગુજરાત પાસ કોર ટીમના સભ્યો રહેશે ઉપસ્થિત

25મીના આમરણાંત ઉપવાસને લઈ ઘડાશે રણનીતિ, હાર્દિક પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક
પહેલા દિવસે ત્રણ વાગ્યે શરૂઆત કરીશું, મુંડન કરાવીશું, વાળ સરકારને મોકલીશું અને રોજ લોહીનું ટીપું મોકળીશું જો સરકાર માગશે તો

4 અને 5માં દિવસે 10-12 હજાર લોકો આવશે

જે દિવસથી જાહેરાત કરી ત્યારથી અનેક લોકોએ કહ્યું કે લડત સાચી ગામડાના અનેક લોકોએ કહ્યું હતું કે ખેતીલક્ષી વાત કરવામાં આવે

હજી 28 દિવસ બાકી છે, હું અનેક લોકોને મળીશ, જ્યાં ઝૂકવું પડશે ત્યાં ઝૂકીશ

પ્રવીણ તોગડીયા ખેતી સાથે જોડાયેલા છે,તે પણ આવે એવું લાગે છે
આ છેલ્લી લડાઈ છે,ચાર કલાકમાં કુંવરજીને મંત્રી બનાવતા હોય તો આ તો અઢી વર્ષની લડાઈ છે

આશા રાખીએ એ.કે.સિંઘ સિંઘમની જેમ કામ કરી રહ્યાં છે.ન્યાયિક પ્રક્રિયામાં એ પણ સહકાર આપે

આમ તો બે વર્ષની સજા પડી ગઈ છે,આપની વચ્ચે હાજર પણ થઈ ગયો છું
લડાઈ લડવા વાળા ને બધું ભોગવવુ પડે છે
હવે સારી સારી વાતો કરવાનો અને નેતાગીરી કરવાનો સમય નથી
3 વર્ષ આખી લડાઈમાં થઈ ગયા,અનેક લોકોના મગજમાં પ્રશ્નો હશે
અનામત મળશે કે નહીં એ પ્રશ્ન અનેક લોકોને છે
કોઈ માણસ અત્યાર સુધી સત્તાને ગાળો આપે અને એ માણસ વિપક્ષમાં હોય અને એ માણસને ચાર કલાકમાં મંત્રીપદ આપે તો સમાજને હક્ક છે
આપણે અત્યાર સુધી ઘણું સહન કર્યું
ગમે એવી લડાઈ હોય, ઉપવાસ એ મજબૂત હથિયાર છે અને સરકારને ઝૂકાવવાનું હથિયાર મારી સાથે ઉપવાસમાં અનેક લોકો જોડાશે

આ વાતને વિચારીને ટીમમાં મૂકી અને લોકોએ વાતને સમર્થન આપ્યું
આજે જેટલા લોકો અનામતની તરફેણમાં હશે એ ખેડૂતના દીકરા હશે
ઘણા લોકો જે ખેડૂત હતા એ નારાજ થયા,ખેડૂતોને પૂછ્યું તેમણે કહ્યું અનામત માંગો,સરકાર સામે માગો છો પણ અનામત કેમ માગો છો?
ખેતીના કારણે લોકોને મળ્યું નથી એના કારણે અનામતની માંગ કરવી પડી
પટેલ સમાજ દોઢ કરોડ તો ખેડૂતો 4 કરોડ છે
સાહેબની ભાષામાં કહું તો નિકોલ જોડે મારો જૂનો સબંધ છે
5-7 દિવસમાં સરકારને કઈક નિર્ણય લેવો પડશે
અમે મંજૂરી માગી છે આશા રાખીએ 4-5 દિવસમાં મળી જશે
તમામ લોકો સહકાર આપો
અમે એવી સ્થિતિમાં છીએ કે સામાન્ય કેસમાં બે વર્ષની સજા ઠોકી દીધી છે,રાજદ્રોહમાં કેટલા વરસની આપે એ મને ખબર છે.

ડિજિટલ ક્લાસરુમ્સની સંખ્યા 10,000 સુધી લઇ જવાશે

$
0
0
ફાઇલ તસવીર

રાજકોટ- હોમસિટી રાજકોટમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેતાં મુખ્યપ્રધાન વિજય રુપાણીએ લોધિકામાં જણાવ્યું હતું કે રાજ્યમાં સરકારી શાળાઓમાં ચાલતાં ડિજિટલ ક્લાસરુમની સંખ્યા વધારીને 10,000 કરવામાં આવશે.

ફાઈલ તસવીર

રૂપાણીએ કહ્યું કે, રાજ્યના ગરીબ બાળકોના શિક્ષણની જવાબદારી સરકાર, શિક્ષક અને સમાજની છે અને એટલે જ આ વખતે પાછલા વર્ષોની સાપેક્ષે સૌથી વધુ રૂ. ૨૭ હજાર કરોડની ફાળવણી શિક્ષણ માટે કરી છે. શાળાઓમાં ભૌતિક સુવિધાઓ સાથે શિક્ષણની ગુણવત્તા વધે એ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.

રૂપાણી મિશન વિદ્યા અંતર્ગત લોધિકા તાલુકાની મોટા વડા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને શિક્ષણ સુધારણામાં સરકારે લીધેલા પગલાં અંગે કહેતા તેમણે જણાવ્યું કે ગુણોત્સવમાં દરમિયાન એવું પણ ધ્યાને આવ્યું કે બાળકો વાંચન, ગણન અને લેખનમાં અસક્ષમ છે. તેના ઉપચારાત્મક પ્રયાસ રૂપે રાજ્ય સરકારે મિશન વિદ્યા શરૂ કર્યું છે. બુદ્ધિ ઉપર કોઇનો એકાધિકાર નથી. ગરીબ બાળકો પણ બુદ્ધિમાન હોય છે. તેમને માત્ર તકની જરૂર હોય છે. આવી તક સરકારી પ્રાથમિક શાળામાં પૂરી પાડવામાં આવે છે.

જ્ઞાનદીપ પ્રોજેક્ટ અંતર્ગત ૪૦૦૦ શાળાઓમાં ડિઝીટલ ક્લાસરૂમ શરૂ કર્યા છે. બાળકોને ઓડિયો વિઝ્યુલી શિક્ષણ આપવામાં આવે છે. તેના કારણે બાળકોની ગ્રહણશક્તિમાં વધારો થયો છે. વધારાના ૬૦૦૦ ડિઝીટલ ક્લાસ રૂમ્સ શરૂ કરી તેની સંખ્યા ૧૦ હજાર સુધી કરવામાં આવશે.

ગુજરાતમાં પહેલી જ વારઃ નવરાત્રીના દિવસોમાં શાળા-કોલેજોમાં રજા રહેશે

$
0
0

અમદાવાદ – ગુજરાતમાં નવરાત્રીમાં રાસ-ગરબાના ખેલૈયાઓ માટે ખુશખબર છે. આ વર્ષે કોલેજો ઉપરાંત શાળાનાં વિદ્યાર્થીઓને પણ નવરાત્રીમાં વેકેશનનો લાભ મળશે.

શિક્ષણ વિભાગે ગુજરાતમાં પહેલી જ વાર નવરાત્રીના તહેવારમાં રજાઓની ગઈ કાલે જાહેરાત કરી હતી.

ગુજરાત સરકારે નવરાત્રીના તહેવારના દિવસોમાં માત્ર કોલેજો અને યુનિવર્સિટીઓ માટે રજાની ગયા મહિને જાહેરાત કરી હતી.

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઈ કાલે કહ્યું કે, નવરાત્રી વખતનો અમારો અનુભવ કહે છે કે વિદ્યાર્થીઓની હાજરી બહુ પાંખી હોય છે. તેથી એવું નક્કી કરાયું છે કે વિદ્યાર્થીઓને વહેલી સવાર સુધી ગરબા રમ્યા બાદ બીજા દિવસે સવારે શાળા-કોલેજોમાં હાજર થવાની ફરજ પાડવાને બદલે એમને રજા આપી દેવી. , દિવાળીનું વેકેશન ત્રણ અઠવાડિયાને બદલે બે અઠવાડિયાનું રહેશે.

રાજ્યના શિક્ષણ વિભાગના સચિવ અંજુ શર્માએ કહ્યું કે કોલેજો અને યુનિવર્સિટીઓમાં સમાન શૈક્ષણિક કેલેન્ડર ગયા જૂનમાં જ બહાર પાડી દેવામાં આવ્યું હતું. હવે એવું નક્કી કરાયું છે કે સમાન નિયમ શાળાઓ માટે પણ લાગુ કરવો.

આ વર્ષે શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં નવરાત્રીના તહેવાર દરમિયાન 15 ઓક્ટોબરથી 21 ઓક્ટોબરના દશેરા પર્વ સુધી રજા રહેશે.

સરકારે બીજી બાજુ, દિવાળીના વેકેશનમાં કાપ મૂક્યો છે. દિવાળીનું વેકેશન ત્રણ અઠવાડિયાને બદલે બે અઠવાડિયાનું કરી નાખ્યું છે. વિદ્યાર્થીઓને આ વર્ષે દિવાળી વેકેશન 5 નવેંબરથી 18 નવેંબર સુધી મળશે.

અંજુ શર્માએ કહ્યું કે, અમે કોલેજવિદ્યાર્થીઓ માટે નવરાત્રી વેકેશનની જાહેરાત કર્યા બાદ શાળાનાં વિદ્યાર્થીઓનાં માતા-પિતાઓ તરફથી માગણી કરવામાં આવી હતી કે નવરાત્રી દરમિયાન શાળાઓને પણ બંધ રાખવી જોઈએ, કારણ કે ગુજરાતમાં આ સૌથી મોટો તહેવાર હોય છે. તેથી અમે એમની માગણીનો સ્વીકાર કર્યો છે.

નવી દવાઓના સંશોધન પાછળ ગંજાવર ખર્ચના બદલે છે તે અપગ્રેડ કરોઃ નિષ્ણાતો

$
0
0

અમદાવાદઃ નવી નવી દવાઓના સંશોધન માટે અબજો રુપિયાનો ખર્ચ જે દવાઓ ઉપલબ્ધ છે તેમાં વધુ સુધારાવધારા કરી અપગ્રેડ કરવાની દવાઉદ્યોગના નિષ્ણાતો દ્વારા સલાહ આપવામાં આવી હતી. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી- જીટીયુ સંલગ્ન કોલેજોના પ્રોફેસરોને દુનિયાભરના લેટેસ્ટ ટ્રેન્ડ અને જાણકારીથી અપડેટ અને અપગ્રેડ કરવા મોટાપાયે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામો હાથ ધરવામાં આવ્યાં છે જેમાં ફાર્મસીના પ્રાધ્યાપકો માટે ડ્રગ ડિસ્કવરીના ક્ષેત્રમાં સ્પેક્ટ્રોસ્કોપી એનાલિસિસ વિશે નિષ્ણાતોનું માર્ગદર્શન સમયે આમ જણાવવામાં આવ્યું હતું.એઆઈસીટીઈના ફાર્મસી શિક્ષણ વિભાગ ના રાષ્ટ્રીય બોર્ડના સભ્ય ડૉ. સતીશ ગાભેએ 25 કોલેજોના પ્રોફેસરોને વધુમાં એવી સલાહ આપી હતી કે તમારા જ્ઞાન ને અપડેટ અને અપગ્રેડ કરીને વિદ્યાર્થીઓને ભણાવશો તો તેઓના સ્તરમાં અનેકગણો ફાયદો થશે. તેમણે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી (એન.એમ.આર) અને માસ સ્પેક્ટ્રોસ્કોપી વિશે વિગતવાર છણાવટ કરી હતી. તેમણે ડ્રગ ડીસ્કવરી બાબતના રિસર્ચ વિશે ના નવા પ્રવાહો અંગે અનેક રસપ્રદ ટેકનિકલ જાણકારી આપી હતી.

એઆઈસીટીઈના ફાર્મસી શિક્ષણ વિભાગ ના રાષ્ટ્રીય બોર્ડના સભ્ય નાગેશ નંદાએ ભારતમાં ડ્રગ ડિસ્કવરીની પરિસ્થિતિ જણાવતાં કહ્યું હતું કે એક નવી દવા શોધવાની હોય તો તેના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમાં લગભગ 15 વર્ષ જેટલો લાંબો સમય લાગે છે. આટલો ખર્ચ અને સમય વિતાવ્યા પછી બીમારીની સારવારની સંભાવના જ રહે છે. આ ક્ષેત્રમાં કામ કરતા ભારતીય વૈજ્ઞાનિકોને અતિશય બુદ્ધિશાળી ગણવામાં આવે છે. પરંતુ તેઓની સૌથી મોટી સમસ્યા સંશોધનોની પાછળ થતા મૂડીરોકાણની છે. આ સમસ્યા હલ કરવી હોય તો તેમાં નવો વિકલ્પ એ છે કે આપણી પાસે વિવિધ બીમારીઓની સારવાર માટે ઉપલબ્ધ દવાઓમાં જ સુધારા-વધારા કરવામાં આવે. અમેરિકાએ બાયોસિમીલર દવાઓ શોધી કાઢવા માટે એક્શન પ્લાન જાહેર કર્યો છે.


અમદાવાદઃ બાળકોએ તેમના મનગમતા પાત્ર ‘ક્રિસ’સાથે મોજમસ્તી માણી

$
0
0

અમદાવાદ– વસ્ત્રાપુરમાં એક મોલ દ્વારા 300થી વધુ બાળકોને તેમના પ્રિય કાર્ટૂન કેરેકટર, રોલ નં. 21ના ક્રિસ ને મળવાની તક મળી હતી. જેમાં બાળકોને આનંદપ્રમોદ સાથે વિવિધ પ્રવૃત્તિઓની મોજ પડી ગઇ હતી.

બાળકોનો ખૂબ જ માનીતો કાર્ટૂન સુપર હીરો ક્રિસ બાળકોને મળ્યો ત્યારે બાળકો ખૂબ આનંદિત થઈ ગયાં હતાં અને મેસ્કોટ સાથે તસવીરો પણ ખેંચાવી હતી. બાળકોની પસંદગીનો ખ્યાલ રાખી અન્ય પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. કલરીંગ સેશન, બાળકો માટેની ઓન-ધ –સ્પોટ ગેમ્સ  સહિતની મનોરંજન પ્રવૃત્તિઓનો અને અનેક અદભૂત ઈનામોનો સમાવેશ થયો હતો. બાળકોને પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ આકર્ષક ગુડીઝ બેગ પણ મળી હતી.

બાળકોની મોજમસ્તીની પળો કેમેરાની આંખે

અમદાવાદઃ રિક્ષાચાલકોની હડતાળ, બસોમાં તોડફોડ મચાવી

$
0
0

અમદાવાદઃ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસે ટ્રાફિક મામલે કડક વલણ અપનાવતા શહેરભરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રોડની સાઈડમાં રહેલા લારી-પાથરણા અને રિક્ષાચાલકો પર તવાઈ બોલાવી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીમાં પોલીસે 4500 જેટલી રિક્ષાઓ ડિટેઈન પણ કરી છે. ત્યારે સમગ્ર મામલે રોષે ભરાયેલા રિક્ષા ચાલકો આજથી હડતાળ પર ઉતરી ગયાં છે.

રિક્ષા ચાલકોની માંગ છે કે શહેરમાં રિક્ષા માટે એક સ્ટેન્ડ બનાવવામાં આવે અને જો સ્ટેન્ડ ન બનાવી શકતા હોય તો પછી નવી રિક્ષાઓને પરમિટ આપવાનું બંધ કરવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યાને નિયંત્રણમાં રાખી શકાય.

અમદાવાદમાં આજે રિક્ષા ચાલકો દ્વારા સ્વયંભૂ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં બંધના નામે તોફાની તત્વો બેફામ બન્યા છે અને રિક્ષા ચાલકો દ્વારા વિરોધના નામે કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. હળતાળ અને વિરોધના નામે આજે રિક્ષા ચાલકોએ કાલુપુરમાં AMTSની 9 બસમાં તોડફોડ કરી છે. શહેરના હોળી ચકલા પાસે AMTSની 7 બસના કાચ તોડવામાં આવ્યાં છે. તેવી જ રીતે ચાંદલોડિયા અને ગોમતીપુરમાં 1 – 1 બસમાં તોડફોડ કરવામાં આવી છે.

જો કે મહત્વની વાત એ પણ છે કે રિક્ષા ચાલકોના બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ઘણી જગ્યાએ રિક્ષાઓ ચાલતી જોવા મળી છે. કાલુપુરમાં રિક્ષા ચાલકોએ પ્રાઇવેટ ટેક્સીઓ બંધ કરાવી હતી. સવારથી જ પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં રિક્ષા ચાલક એસોશિયસન ના કેટલાક સભ્યો દ્વારા બંધ કરાવવાનો પ્રયાસ થયો. ચાંદલોડિયા તેમજ ગોમતીપુર-અસારવા જેવા વિસ્તારોમાં જબરદસ્તી પણ કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં ચાલકો જ્યારે માર્ગો પર નિકળી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થયો ત્યાં પેટ્રોલિંગ કરતી પોલીસ ટુકડીઓએ કડક હાથે કાર્યવાહી પણ કરી હતી.અમદાવાદ શહેરમાંં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિકને અડચણ ન થાય એ માટે ગેરકાયદે દબાણો દtર કરવાની કાર્યવાહી થઇ રહી છે. તેમજ મોલ-મલ્ટીપ્લેકdm-ધંધા-રોજગાર, રહેઠાણ ના સ્થળો એ વ્યવસ્થિત પાર્કિંગ થાય એવા પ્રયાસો થઇ રહ્યા છે. પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કડક કાર્યવાહી થી કેટલાક લોકો નારાજ છે. જેમાં રિક્ષા ચાલકો તેમજ લારી-ગલ્લા વાળાને પોલીસની કનડગત થતી હોય એમ લાગી રહ્યું છે. ત્યારે આજે વહેલી સવારથી જ પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં રિક્ષા ચાલક એસોશિયસન ના કેટલાક સભ્યો દ્વારા બંધ કરાવવાનો પ્રયાસ થયો. ચાંદલોડિયા તેમજ ગોમતીપુર-અસારવા જેવા વિસ્તારોમાં જબરદસ્તી પણ કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં ચાલકો જ્યારે માર્ગો પર નિકળી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થયો ત્યાં પેટ્રોલિંગ કરતી પોલીસ ટુકડીઓએ કડક હાથે કાર્યવાહી પણ કરી હતી. રિક્ષા ચાલકોની હડતાળને કારણે કેટલાક વિસ્તારોમાં શટલીયા કે પર્સનલ ઓટો કરી જતા અસંખ્ય પ્રવાસીઓ રખડી પડ્યા હતા, સાથે બસોમાં ભારે ભીડ જોવા મળી હતી.

હડતાળને પગલે પ્રાઈવેટ ટ્રાંસપોર્ટમાં મુસાફરી કરતા ઘણા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હડતાળના કારણે શહેરના કાલુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર બસ સ્ટેશન અને એરપોર્ટ જેવી જગ્યાઓ પર મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં અત્યારે 1 લાખ 40 હજાર જેટલી ઓટોરિક્ષા દોડે છે અને આ રિક્ષામાં દરરોજ અંદાજિત બે લાખ જેટલા લોકો સવારી કરે છે.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

ગીરગઢડાઃ રેલવેએ 8 ટ્રેન બંધ કરી, લોકોમાં હાલાકીભર્યો રોષ

$
0
0

ગીરગઢડા- રેલવે તંત્ર દ્વારા એક માસ સુધી ગીરગઢડા રુટની કુલ 8 ટ્રેન બંધ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે રેલવે ટ્રેકના ધોવાણને લઇને ટ્રેનો બંધ કરવામાં આવી છે. જ્યાં નુકસાન નથી તે સહિતની તમામ 8 ટ્રેન એક મહિના સુધી બંધ કરવામાં આવતાં વિસ્તારના રેલવે પ્રવાસીઓની અસુવિધાનો પાર નથી.ગીરગઢડાના નજીકનો રેલવે ટ્રેક ધોવાતાં તંત્ર દ્વારા એક માસ સુધી આ રૂટની તમામ આઠ ટ્રેન બંધ કરી દેવામાં આવી તાલાલા-ઊના લાઇન સિવાય જૂનાગઢ-અમરેલી સુધીના ટ્રેક પર કોઇ તકલીફ ન હોવા છતાં રેલવે તંત્રએ તમામ રૂટ બંધ કરી દેતા સામાન્ય નાગરિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ટ્રેન વ્યવહાર સાથે આસપાસના કુલ 12 તાલુકાઓ જોડાયેલા હોઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

તાલાલા હિતરક્ષક સમિતિએ ઉચ્ચસ્તરે રજૂઆત કરતાં રેલવે તંત્ર દ્વારા ટ્રેકનું સમારકામ થયા બાદ ચકાસણી કરીને ફરીથી ટ્રેન વ્યવહાર શરૂ થવાની હૈયાધારણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ રેલવે માર્ગ તાલાલાથી કેરી અને ગોળ સહિતની વસ્તુઓના વેપાર માટેનું મહત્ત્વનું માધ્યમ છે. જે બંધ થવાથી અનેક મુસાફરોને તથા વેપારીઓને અસર પહોંચી છે.

પોલિસતંત્રની બહેતરીની દિશામાં કદમ, પોલિસભવન લોકાર્પિત, 1600 નવા આવાસ સોંપાયાં

$
0
0

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગાંધીનગરમાં સેકટર-૧૦-બી માં ર૯૩૮ ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલા રૂ. ૮.૭૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલી ગુજરાત પોલીસ આવાસ નિગમની વડી કચેરીનું ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કર્યું હતું.આ સમયે તેમણે પોલીસ સેવાઓને આધુનિક ઓપ આપતા સુવિધાસભર-ગુણવત્તાયુકત ભવનો- કચેરીઓ-આવાસોના નિર્માણની નેમ વ્યકત કરીને નવા બંધાનારા ભવનોમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ-સોલાર એનર્જી-વોટર મેનેજમેન્ટ કન્સેપ્ટનો વિનિયોગ કરવા અનુરોધ કર્યો હતો.તેમણે જણાવ્યું કે, કઠીન પરિસ્થિતિમાં કાર્ય કરતા પોલીસકર્મીઓને કામકાજના સ્થળે અને વિરામ દરમિયાન પોતાના નિવાસે ફ્રેશનેસ-સ્ટ્રેસ ફ્રી વાતાવરણ અનુભવાય તેવી મોકળાશ વાળી કચેરીઓ-આવાસો પોલીસ આવાસ નિગમ નિર્માણ કરે છે તે અભિનંદનીય છે, સાથે પોલીસ આવાસ નિગમ રાજ્યમાં ગુણવત્તાયુકત, ઝડપી અને ટાઇમ બાઉન્ડ આવાસ-કચેરીઓના બાંધકામમાં અગ્રેસર રહે તેવી અપેક્ષા છે.પ્રવર્તમાન પોલીસ લાઇનોના મકાનોની મરામત દુરસ્તી હાથ ધરવા પણ નિગમને જણાવ્યું હતું. ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા અત્યાર સુધીમાં વિવિધ કક્ષાના ૩૬૮પ૬ રહેણાંક મકાનોનું બાંધકામ રૂ. ર૧રર કરોડના અંદાજીત ખર્ચે હાથ ધરાયુ છે તેમાંના ૩પ૧૩૪ મકાનો સરકારને વપરાશ હેતુ સુપરત કરી દેવાયા છે. નિગમે ર૯૪૮ બિનરહેણાંક મકાનો રૂ. ૧૪૦૬ કરોડના ખર્ચે બાંધવાનું કામ હાથ ધરીને ૧૬૦૦ આવાસો વપરાશ માટે સોંપી દીધા છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નવીન કચેરી રૂ. ૮૦ કરોડના અંદાજીત ખર્ચે નિર્માણાધીન છે. તેમ જ નિગમે ACB ભવન, હોમગાર્ડ ભવન, નશાબંધી ભવન, જેલ ભવન તેમજ કમાન્ડો ટ્રેનીંગ સેન્ટરના નિર્માણ પ્રોજેકટસ પણ હાથ ધરેલા છે. નિગમ દ્વારા વન, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, હોર્ટિકલ્ચર વિભાગ, પાઠય પુસ્તકમંડળ, ઘેટાં ઊન વિકાસ નિગમ વગેરેના બાંધકામો પણ હાથ ધરાયાં છે.આ અવસરે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ અવસરે રાજ્યમાં પોલીસ કર્મીઓને બે રૂમ રસોડાના સંપૂર્ણ સુવિધા સજ્જ મકાનો આપવાની સરકારની પ્રતિબધ્ધતા દોહરાવી હતી. ગૃહ વિભાગ માટે રૂ. પપ૦ કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. જેમાં થી નવા બનનારા આવાસોમાં પીએસઆઈ માટે ત્રણ રુમનું અને કોન્સટેબલ્સ સ્ટાફ માટે બે રુમરસોડાવાળાં મકાન આપવામાં આવનાર છે.

રાજ્યમાં અલગઅલગ ચાર સ્થળે ભૂકંપના આંચકા

$
0
0

અમદાવાદ- રાજ્યમાં આજે અલગઅલગ ચાર સ્થળે ભૂકંપના હળવા આંચકા અનુભવાયાં હતાં. દક્ષિણ ગુજરાત અને રાજકોટ વિસ્તારમાં આ આંચકા વધુ અનુભવાયાં હતાં.વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં લોકોએ બપોરે ભૂકંપના હળવા આંચકા અનુભવ્યાં હતાં. જેનાથી શાળાના બાળકો ગભરાઇ જતાં બાળકોને વર્ગખંડોની બહાર કાઢી લેવાયાં હતાં. ધરમપુરના આવધામાં બપોરે 1:15 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાઓની ખબરને ગુજરાત મેટ્રોલોજીકલ વિભાગે પણ સમર્થન આપ્યું હતું. દક્ષિણ ગુજરાતના અતુલ નજીક પાર નદી પાસે ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું તેમ જ 2.1 મેગ્નિટ્યુડનો ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું સમર્થન મેટ્રોલોજીકલ વિભાગે જણાવ્યું હતું. જિલ્લાના રાજપુરી જંગલ માં પણ ભૂકંપના આંચકા અનુભવાયાં હતાં.રાજકોટ જિલ્લાના ગોંડલ તેમ જ પંથકના મોટા ઉમવાળામાં પણ ધરતીકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. અહીં બપોરે 12:37 વાગ્યે 3ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, તેમ જ ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 8 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને ઉકાઇ પાસે 2ની તીવ્રતાના આંચકા નોંધાયાં હતાં.

Viewing all 9792 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>