Quantcast
Channel: Gujarat – chitralekha
Viewing all 9917 articles
Browse latest View live

નવરાત્રિમાં ટોળાં ન થાય એ માટે સોસાયટીની પહેલ

$
0
0

અમદાવાદઃ કોરોના વાયરસનું સંક્રમણ વધતું અટકાવવા રાસ ગરબાની સાથે મોટી સંખ્યામાં લોકો ટોળે વળતા હોય એવાં મેળાવડા પર સરકાર દ્વારા નિયંત્રણ લાદવામાં આવ્યા છે ત્યારે હવે નવરાત્રિ કે દીવાળી જેવા તહેવારો પણ જાહેરમાં નહીં ઉજવી શકાય એ સ્પષ્ટ થઇ ગયું છે.

આ સંજાગોમાં લોકો નિયંત્રણો વચ્ચે પણ ટોળાંમાં ભેગા ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે એ માટે શહેરના કેટલીક સોસાયટીના આગેવાનોએ અત્યારથી જ અગમચેતીના પગલાં ભરવાની શરુઆત કરી દીધી છે. કેટલાક જાગૃત નાગરિકો સરકારના આદેશની સાથે જ સંક્રમણ અટકાવવા સજ્જ થઇ ગયા છે. શહેરના ચાંદલોડીયા – ગોતા વિસ્તારની વિશ્વાસ સિટી-૩ સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજાણી નહીં કરવાના નિર્ણયના બેનર્સ લગાડેલા જોવા મળે છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં વંદેમાતરમ રોડ પર આવેલી વિશ્વાસ સિટી 3 નામની આ સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ અંગેના બેનર્સ લગાડવામાં આવ્યા છે. બેનર્સ માં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ‘કોરોનાની મહામારી ને લીધે નવરાત્રિની ઉજવણી બંધ છે. સોસાયટીમાં ફક્ત માતાજીની માંડવી મૂકી અને મહારાજના હસ્તે આરતી ઉતારવામાં આવશે. રહીશો એ પોતાના ઘરેથી દર્શન કરવા.’

સોસાયટીના ચેરમેન ચિત્રલેખા.કોમ ને કહે છે, સરકાર આદેશ આપે એ પહેલાં જ સોસાયટીના રહીશો અને હોદ્દેદારો દ્વારા કોરોના કાળમાં નવરાત્રિ કેવી રીતે ઉજવવી એ નક્કી કરી દેવામાં આવ્યું હતું.

અન્ય એક સોસાયટી દેવમ રેસિડન્સીના અગ્રણી મનોજ વાલિયા કહે છે, દેશ અને દુનિયામાં વધતા જતાં કોરોનાના સંક્રમણ ને જ્યાં જ્યાં મોટા પાયે નવરાત્રિ મહોત્સવ થતાં હોય ત્યાં સ્વયંભૂ શક્તિની પૂજા કરી છૂટા પડવું જોઇએ. રાસ ગરબાની રમઝટ બંધ રાખવી જોઇએ.

ચેરમેન ચિરાગ રાવલ કહે છે, અમારી સોસાયટીમાં પણ એક નવરાત્રિ અંગેનો પત્ર તૈયાર કરાવી દીધો છે. જેમાં સરકારની ગાઇડ લાઇન પ્રમાણે જ ચાલવાનો ઉલ્લેખ કરાયો છે. આ કપરા સમયમાં મેળાવડા કરવા યોગ્ય નથી.

(પ્રતીકાત્મક તસવીર)

મહામારી દરમિયાન ગામ-શહેરના શેરી, મહોલ્લા, સોસાયટીના અગ્રણીઓ સરકારની કેટલીક અવઢવમાં મૂકી દે એવી અધકચરી જાહેરાતો-નિયમો-નિર્ણયોથી વધારે મુંઝવણમાં મૂકાઇ જાય છે. એમાં ક્યાંક રાજકીય લાભો પણ જોવાતા હોય છે. ઉત્સવ મહોત્સવ ઘેલી પ્રજા મતદાન વખતે નારાજ ના થાય એ માટે કડક કાયદામાં ઢીલાશ પણ આવી જાય છે.

એની સામે શહેરની સોસાયટીના આવા કેટલાક અગ્રણીઓ મહામારી કે આફતોમાં સાવધાની અને સલામતીભર્યા પગલાં પહેલેથી જ લઇ લેતા હોય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)


સુરતીલાલાઓ માટે ય વિકટ છે નવરાત્રિ

$
0
0

સુરતઃ નવરાત્રિની ઉજવણી હવે નહીં કરી શકાય એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે ત્યારે ગુજરાતના અમદાવાદ સહિત મોટા શહેરોમાં આ તહેવાર સાથે સંકળાયેલો વ્યવસાય કરતા ધંધાર્થીઓ સામે પણ આર્થિક પ્રશ્નો ઉભા થયા છે.

સુરતની વાત કરીએ તો અહીં સરસાણામાં આવેલા ઈન્ટરનેશનલ કન્વેશન સેન્ટરના ઈન્ડોર એસી ડોમમાં નવરાત્રિમાં 15000થી વધુ લોકો ગરબે ઘૂમે છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમમાં પણ રોજ 10,000થી વધુ લોકો રમણે ચડે. ત્રીજું મોટું આયોજન છે સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટના એસી ડોમની નવરાત્રિ. આ ત્રણની સાથે બીજા અનેક આયોજન થાય છે. સરસાણા કન્વેનશન સેન્ટર અને ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજન માટે તો લાખો રૂપિયાના ટેન્ડર નીકળે!

છેલ્લા ત્રણ વર્ષથી ઈન્ડોર સ્ટેડિયમમાં નવરાત્રિનું આયોજન સોલ્યુશન્સ નામની ઇવેન્ટ કંપની કરે છે. આ કંપનીના ડેની નિર્બાન સુરતમાં યોજાયેલા અનેક મોટી ઇવેન્ટમાં સહભાગી રહ્યા છે. આ વર્ષે નવરાત્રિ યોજવી ન જોઈએ એવી રજૂઆત મુખ્યમંત્રીને કરનારા પ્રતિનિધિમંડળમાં એ હતા.

ડેની નિર્બાન ચિત્રલેખા ને કહે છે કે ઓર્કેસ્ટ્રા, ગાયક, મંડપ-સ્ટેજ, સાઉન્ડ સિસ્ટમ, લાઈટ, સેલિબ્રિટી મેનેજમેન્ટ, સિક્યુરિટી સર્વિસ, એડવર્ટાઈઝિંગ, પ્રિન્ટિંગ (એન્ટ્રી પાસ, બેનર) 40 થી 50 રોજિંદા મજૂર, ટ્રોફી-મોમેન્ટો બનાવનારા જેવા કેટલાય લોકો અમારી સાથે સંકળાયેલા હોય છે. એ તમામને આ વર્ષે નુકસાન છે. આ બધાને ભેગા કરવાનું કામ આયોજક કરે. નવરાત્રિ ન યોજવાનો નિર્ણય સારો જ છે. અલબત્ત, આર્થિક નુકસાન તો છે જ. આ ઉપરાંત એક વાત સમજવાની જરૂર છે. નવરાત્રિ દરમિયાન અમારો સંપર્ક અનેક લોકો સાથે થાય, સંબંધ બને. માર્કેટિંગમાં જેને નેટવર્કિંગ કહીએ છીએ તે ખૂબ થાય. નવરાત્રિના કારણે વર્ષ દરમિયાન ઇવેન્ટ યોજવાના કામ અમને મળતા રહે. એ રીતે જૂઓ તો નુકસાન અત્યારે દેખાય છે એના કરતાં પણ મોટું થવાનું છે અને આમાંથી ઉગારતા સહેજે એકાદ વર્ષ નીકળી જશે.

આવા બીજા કેટલાક કિસ્સા જોઈએ: ઘણી જગ્યાએ નવરાત્રિ માટે ગાવા-રમવાની તાલીમ ચારેક મહિના પહેલા શરૂ થઈ જાય. એકલા સુરતમાં દોઢિયા ગરબા શીખવતા 70થી વધુ ક્લાસ છે. છેલ્લા 25 વર્ષમાં અંદાજે 20,000 લોકોને ગરબાના સ્ટેપ્સ શીખવનાર ભાવિન કઢીવાલા ભાવિન્સ મિલેનિયમ ગરબા ગ્રુપ ચલાવે છે. દર વર્ષે સરેરાશ હજાર યુવક-યુવતી એ શીખવા આવે. ભાવિન કઢીવાલા ચિત્રલેખા ને કહે છે કે આમ તો હું કાપડ ઉદ્યોગમાં છું. મતલબ મારી આવકનો મુખ્ય સ્ત્રોત ગરબા ક્લાસ નથી, પણ એવા ઘણાને હું ઓળખું છું જેમની આવકનો મુખ્ય સ્ત્રોત નવરાત્રિ જ છે, આ આવક પર જ એમનું ઘર ચાલે છે. કોરોનાએ એમના ઘરની રોનક છીનવી લીધી છે.

અમારા ક્લાસમાં 350થી વધુ યુવક-યુવતી એવા છે જે અમારા ગ્રુપના નામે ગરબા રમવા એક સરખા ડ્રેસ સાથે સ્પર્ધામાં જાય. એવા યુવાન એક સરખી ઓછામાં ઓછી ત્રણ કફની દર વર્ષે સીવડાવે એ કામ દરજીને મળે, કાપડ વેચનારને મળે. એવું જ યુવતીઓનું પણ છે. આ વખતે તો એ વિશે કઈ બોલવા જેવું જ નથી.

ગરબા ક્લાસ અને નવરાત્રિ દરમિયાન જેટલી આવક થતી એ રકમ ભાવિનભાઈ સુરતના મૂક-બધિર ટ્રસ્ટને દાનમાં આપતા. જેમનાં ઘર અટકી પડ્યાં છે એમની સામે પ્રશ્ન વિકટ છે તો આવા ટ્રસ્ટને મળતા દાન પણ પર કાપ આવ્યો છે.

(ફયસલ બકીલી-સુરત)

 

વડોદરાઃ વાત જ ન કરશો નવરાત્રિના બિઝનેસની…

$
0
0

વડોદરાઃ ગુજરાતના અનેક ગામ-શહેરના ગરબા કોઈકને કોઈ વિશેષતા ધરાવે છે. એમાંય વાત વડોદરાની હોય તો અહીંના નોખા ગરબાની ગૂંજ તો દૂર દૂર સુધી સંભળાય. શહેરના મસમોટા મેદાનમાં પચાસ હજાર જેટલા ખેલૈયા હિલોળે ચડ્યા હોય. એનાથીય મોટી સંખ્યામાં દર્શકો ગરબા જોવાની મઝા લૂંટતા હોય. આ ભવ્ય નજારો જોવા દેશ-વિદેશથી દર્શકો આવીને અહીં રોકાય. એ લોકો નવ રાત મનપસંદ મેદાનમાં ગરબા નિહાળવા સાંજથી નીકળી પડે. મધ્યાન્તર અને ગરબા પૂરા થાય કે ખાણી -પીણીના સ્ટોલ પર વાનગીઓનો સ્વાદ માણવાનો. એમાંય છેલ્લે નોરતે તો ઘરે પાછા જતા સવાર પડી જાય.

જો કે આ વર્ષે કોરોનાના નામનું ગ્રહણ ગરબાને નડ્યું છે. મોટા ભાગના આયોજકોએ જ નનૈયો ભણી દીધો છે. એનાથી તો ઘણાને જિંદગીની  એક નવરાત્રિ નકામી ગઈ એનો રંજ છે. નવરાત્રિના આડે હવે  આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસ બાકી છે એમ છતાં શહેરની બજારમાં ગ્રાહકોની ચહલપહલ નથી. ખરેખર તો ત્રણ અઠવાડિયા પહેલા બજારમાં કીડિયારું ઉભરાય. વડોદરાની નવા બજાર, મંગલ બજાર, ઘડિયાળી પોળ , અલકાપુરી વગેરે વિસ્તારમાં ચાલવાની જગ્યા ન મળે. કેટલીક યુવતી એક સાથે પાંચ-સાત ચણીયા- ચોળી ખરીદી લે. એના મેચિંગમાં દાગીના અને મેકઅપનો સામાન તો કેમ ભૂલાય? ચાલુ વર્ષે એ બધું સ્વપ્ન લાગે છે. ખેલૈયા દુઃખી છે અને વેપારી લમણે હાથ દઈ બેઠા છે.

નવા બજારમાં ચણીયા-ચોળીની દુકાન ધરાવતા દીપકભાઈ શાહ ચિત્રલેખા ને કહે છે કે આ વર્ષે ધંધો નહીં થાય એ વાતની ખાતરી હતી. એટલા માટે આ વર્ષે ચણીયા-ચોળીનો સ્ટોક કર્યો નથી. સામાન્ય સંજોગોમાં પાંચ મહિના પહેલા ચણીયા-ચોળીની ડિઝાઈન અને રો મટીરીયલ કારીગરોને મોકલાવી દઈએ અને નવરાત્રિના મહિના પહેલા દુકાનમાં માલ આવવા લાગે. સેંકડો ચણીયા-ચોળી તો રાજકોટ, અમદાવાદ અને સ્થાનિક કારીગરો પાસેથી તૈયાર કરાવી ખરીદી લેતા. એ પણ વેચાઈ જશે એની ગેરેન્ટી સાથે!

દીપકભાઈ કહે છે કે ચણીયા-ચોળી વેચતા શહેરમાં દોઢસો થી બસો જેટલા નાના -મોટા વેપારી છે. એ ઉપરાંત, સિઝનલ ધંધો કરવાવાળા દોઢસો જેટલા વેપારી. એ લોકો સિઝનમાં રૂપિયા 60,000 થી એક લાખ ચૂકવી ભાડે દુકાન રાખે. રોડ સાઈડ પરના  નાના ધંધાવાળા તો અલગ. બધા ભેગા થઈ નવરાત્રીમાં અંદાજે દોઢસો કરોડનો ધંધો કરી લે. એમની સાથે ઈમિટેશન જવેલરીવાળા પણ આ સિઝનમાં લગભગ 40 કરોડનો ધંધો કરે. આ વ્યવસાય સાથે સંકળાયેલા મનીષભાઈ શાહ ચિત્રલેખા ને કહે છે કે લોકડાઉન લાગુ થયું ત્યારથી ગંધ હતી કે આ નવરાત્રિ કોરી જશે. એ ધ્યાનમાં રાખી નવા દાગીનાનો ઓર્ડર આપ્યો જ નહોતો. અગાઉ તો અમુક યુવતી એક સાથે બે-ત્રણ હજારના દાગીના ઉભા ઉભા ખરીદી લે. એવાય પાછા રોજના 40થી 50 ગ્રાહક આવે. અત્યારે તો પાંચ રૂપિયાના ચાંલ્લાના પેકેટને વેચતા પરસેવો પડી જાય છે.

વડોદરામાં દસેક મેદાન પર સામુહિક ગરબા થાય. એ મેદાનોને રાજવી ઠાઠથી સજાવવામાં આવે. આ સજાવટ કરનારા ફરાસખાનાવાળા માત્ર નવરાત્રિમાં 50 કરોડનો ધંધો કરી લેતા. એ લોકો તો જાતે જ સમજી ગયા કે આ વખતે એક રૂપિયાનું કામ સુધ્ધાં મળવાનું નથી.

ઢોલ, નગારા, તબલા, રામઢોલ, નાલ, વગેરે વગર ગરબા શક્ય નથી. નવરાત્રિ પહેલાં ગાયકવૃંદ અને મંડળવાળા ઢોલ-નગારા વગેરે ખરીદે કે રીપેર કરાવે. શહેરમાં ઢોલ-નગારા વેચતા ચારેક જાણીતા ડબગર છે. ગુજરાત તબલા સ્ટોરવાળા અશોકભાઈ ડબગર ચિત્રલેખા ને કહે છે કે આજ દિન સુધી સમખાવા પૂરતું એક ઢોલ વેચાયું નથી. કોઈ તબલા રીપેર કરાવવા પણ આવ્યું નથી. આ નવરાત્રિએ તો અમારે બેકારીમાં મંજીરા જ વગાડવાના છે!

(ગોપાલ પંડયા-વડોદરા) 

(તસવીરોઃ ચિરાગ ભટ્ટ)

 

હૈદરાબાદઃ ગુજરાતીઓનો ‘ઓનલાઈન ગરબા શો’

$
0
0

હૈદરાબાદઃ ભારતના પ્રથમ વર્ચ્યુઅલ ગરબા શોનું હાલમાં જ હૈદરાબાદમાં વસતાં ગુજરાતી બીના મહેતાએ આયોજન કર્યું હતું. ‘ગરબાની રમઝટ’ શીર્ષક સાથે ગઈ પાંચ ઓક્ટોબરે યોજાઈ ગયેલા એ વર્ચ્યુઅલ લાઈવ ગરબાને ‘ઝૂમ’ અને એમની ‘યૂટ્યૂબ’ ચેનલ પર જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. પાંચ હજાર કરતાંય વધારે દર્શકોએ એનો લ્હાવો માણ્યો હતો.

હાલ કોરોના વાઈરસે સર્વત્ર ભરડો લીધો છે ત્યારે ખેલૈયાઓ એમની ગરબા ટેલેન્ટને પ્રદર્શિત કરી શકે અને ઘરમાં જ રહીને ગરબાનો આનંદ માણી શકે એ માટે તેમને પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે બીના મહેતાએ આ વર્ચ્યુઅલ ગરબાનું આયોજન કર્યું હતું જેને દેશ-વિદેશમાં વસતા ઘણા ગુજરાતી દર્શકોએ વખાણ્યો છે.

આ વર્ચ્યુઅલ ગરબા શોના જજ હતાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કોરિયોગ્રાફર્સ સમીર તન્ના અને અર્ષ તન્ના તેમજ હૈદરાબાદસ્થિત સોશ્યલાઈટ ભાવના હેમાની.

આ વર્ચ્યુઅલ ગરબા શોમાં અંબા માતાની આરતી પણ કરવામાં આવી હતી અને વિજેતાઓને રોકડ ઈનામ પણ આપવામાં આવ્યા હતા.

આ ઓનલાઇન સ્પર્ધામાં કુલ 51 એન્ટ્રી આવી હતી.

જેમાંથી સુરતના આયુષી અને અર્ષ દેસાઇને પ્રથમ ઇનામ, સુરતના જ ખુશી ઝવેરી અને મનીષ જાદવને દ્વિતિય ઇનામ અને વેણુ અને નિકી જોસેફને ત્રીજું ઇનામ મળ્યું હતું.

સમીર અને અર્ષ તન્નાએ જેમાં કોરિયોગ્રાફી કરી હતી તે ‘હેલ્લારો’ ફિલ્મના ગીત ‘વાગ્યો રે ઢોલ’ પર બીના મહેતાએ વિશેષ ગરબા નૃત્ય રજૂ કર્યું હતું અને એ રીતે મહેમાનોને આવકાર્યા હતા.

આ વખતે નવરાત્રિ ગ્રાઉન્ડ પર ન ઉજવી શકાય તો કાંઇ નહીં, ગુજરાતીઓ તો ઓનલાઇન પણ ગરબા ઉજવી શકે છે એ હૈદરાબાદના ગુજરાતીઓએ દેખાડી આપ્યું છે.

ઓનલાઇન ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલ યોજાશે

$
0
0

અમદાવાદઃ અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ 2019ને પહેલા વર્ષે દર્શકો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો હતો. હવે આ આ ફેસ્ટિવલ વર્ષ 2020માં એની બીજી આવૃત્તિ સાથે ફરી યોજવામાં આવી રહ્યો છે, પરંતુ  આ વર્ષે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખતાં ફેસ્ટિવલ ઓનલાઇન યોજવામાં આવી રહ્યો છે. ફિલ્મનું સ્ક્રીનિંગ સત્તાવાર યુટ્યુબ ચેનલ પર થશે. આ વર્ષે આ ફેસ્ટિવલ 18 અને 19 ડિસેમ્બર, 2020એ પસંદ થયેલી ફિલ્મો સાથે ઓનલાઇન યોજવામાં આવશે. ગયા વર્ષે આ ફેલ્ટિવલમાં કુલ 40 ફિલ્મોમાંથી સાત ભાષાઓની 17 ફિલ્મોનું અમદાવાદમાં વિનામૂલ્યે સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું.

ફેસ્ટિવલના સ્ક્રિનિંગ તથા હરીફાઇ માટે ચાર કેટેગરી

આ ફેસ્ટિવલ તથા હરીફાઇ માટે કુલ ચાર કેટેગરી છે, જેમાં ચિલ્ર્ડ્રન ફીચર ફિલ્મ ( 41 મિનિટ કે તેથી વધુ), શોર્ટ ફિલ્મ (40 મિનિટ અથવા તેનાથી ઓછી) ડોક્યુમેન્ટરી ફિલ્મ (10થી 40 મિનિટ) તથા સ્ટુડન્ટ ફિલ્મ કેટેગરી (પાંચથી 40 મિનિટ) રહેશે. કોઈ પણ દેશની કોઈ પણ ભાષામાં બનેલી ફિલ્મો હઈ શકે છે. આ વર્ષે ફેસ્ટિવલ માટે એન્ટ્રી ઓપન થતાની સાથે જ દેશભરમાંથી પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો છે. ઇરાન, જર્મની, ચીન, ઇઝરાયેલ, અમેરિકા, કેનેડા, ઇટાલી, જાપાન, તુર્કી, યુનાઇટેડ કિંગડમ તથા દેશભરમાંથા નોંધપાત્ર એન્ટ્રીઝ આવી રહી છે.

 ફિલ્મો કેવી રીતે સબમિટ કરશો

વિશ્વમાં સૌથી ફિલ્મ ફેસ્ટિવલ હોસ્ટિંગ સાઇટ, ફિલ્મફ્રીવે પર AICFFમાં પસંદ થયેલી ફિલ્મોનું સ્ક્રિનિંગ કરવામાં આવશેઆ એન્ટ્રી ફિલ્મફ્રીવે પર સબમિટ કરવાની રહેશેઃ  URL: https://filmfreeway.com/aicff  અને સ્ટુડન્ટ ફિલ્મ કેટેગરીમાં કોઈ પણ સ્ટુડન્ટ વિનામૂલ્યે ફિલ્મ સબમિટ કરી શકશે.

 એવોર્ડ્સ માટેની વિવિધ કેટેગરી (ફીચર ફિલ્મ)

બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ફિલ્મ ડિરેક્ટર, બેસ્ટ ફિલ્મ એક્ટર, બેસ્ટ  ચાઇલ્ટ એક્ટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર, બેસ્ટ શોર્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર શોર્ટ ફિલ્મ, બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર ફિલ્મ, બેસ્ટ સ્ટુડન્ટ ફિલ્મ.

આ વર્ષે ફિલ્મ  ફેસ્ટિવલ ડિરેક્ટર મનીષ સાયની તથા જ્યુરી સભ્યો તરીકે અભિનેત્રી-દિગ્દર્શક આરતી પટેલ અને આશિષ કક્કડ છે.

 

દશેરાથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ફરી ખુલ્લું મૂકાશે

$
0
0

અમદાવાદઃ નર્મદા જિલ્લાના કેવડિયાસ્થિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સ્મારક આગામી દશેરાના દિવસથી પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લું મુકવામાં આવશે. સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમાની આજુબાજુનાં સ્થળો પણ મુલાકાતીઓ, પર્યટકો માટે ફરી ખુલ્લા મૂકાશે. આ માટે વહીવટી તંત્રે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરદાર પટેલના સ્મારકને ૨૪ માર્ચથી કોરોનાને કારણે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.

કોરોના ગાઈડલાઈન્સનું પાલન

સાત મહિના બાદ ૨૫મી ઓક્ટોબર દશેરાના દિવસથી પ્રવાસીઓ માટે ફરીથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને ખુલ્લું મૂકવામાં આવશે. તંત્રે પ્રવાસીઓને આવકારવા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ આવનારા પ્રવાસીઓએ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. અહીં દરરોજ 2500 પ્રવાસીઓને જ પ્રવેશ આપવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યાં જ વ્યુઇંગ ગેલેરીમાં માત્ર 500 લોકોને જ પ્રવેશ અપાશે. દર બે કલાકે માત્ર ઓનલાઇન ટિકિટ જ મળશે. વળી, અહીં ટિકિટ બારી પરથી ટિકિટ નહીં મળે.

વડા પ્રધાન 31 ઓક્ટોબરે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેશે

31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મતિથિ છે અને એ દિવસે વડા પ્રધાન મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે એકતા દિવસની ઉજવણી માટે આવવાના છે, જે માટે તંત્ર દ્વારા વડા પ્રધાન અને પ્રવાસીઓને આવકારવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ગાંધીધામમાં ‘તનિષ્ક’શો-રૂમના માલિકને માફી માગવી પડી

$
0
0

ગાંધીધામ: ટાટા ગ્રુપની કંપનીની જ્વેલરી બ્રાન્ડ ‘તનિષ્ક’ની એક કમર્શિયલ જાહેરખબર ફિલ્મ કારણે મોટો વિવાદ થયો છે. કંપનીએ એ જાહેરખબર ગઈ કાલે જ પાછી ખેંચી લીધી છે, પરંતુ એ પહેલાં સોમવારે ગુજરાતના કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાંના ‘તનિષ્ક’ શોરૂમમાં રોષે ભરાયેલા કથિતપણે હિન્દુ સમર્થકો ધસી ગયાનો અને સ્ટોરના માલિક/મેનેજરને આ જાહેરખબર બદલ હિન્દુઓની માફી માગતી ગુજરાતી ભાષામાં એક નોંધ લખીને તે કાગળ સ્ટોરના કાચના દરવાજા પર ચોંટાડવાની ફરજ પાડી હોવાનો ઈન્ડિયન એક્સપ્રેસ, એનડીટીવી તથા અન્ય પ્રચારમાધ્યમોના અહેવાલ છે.

આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસે તપાસ હાથ ધરી છે.

દરમિયાન, ગાંધીધામમાં તનિષ્ક સ્ટોરના મેનેજર રાહુલ મનુજાએ કહ્યું છે કે એમના સ્ટોર પર કોઈ હુમલો કરાયો નથી, પરંતુ એમને કેટલીક ધમકીભર્યા ફોન કોલ્સ મળ્યા હતા.

કચ્છ (પૂર્વ)ના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ મયૂર પાટીલે કહ્યું છે કે બે જણ ગાંધીધામમાં તનિષ્કના સ્ટોર ખાતે ગયા હતા અને ગુજરાતી ભાષામાં માફી નોંધ દરવાજા પર ચોંટાડવાની માગણી કરી હતી. સ્ટોરના માલિકે એ પ્રમાણે કર્યું હતું. પરંતુ એમને કચ્છમાંથી ધમકીભર્યા ફોન કોલ્સ પણ મળી રહ્યા હતા. સ્ટોર પર હુમલો કરાયો હોવાના સમાચાર ખોટા છે.

ઉલ્લેખનીય છે કે, ‘તનિષ્ક’ જ્વેલરીની તે જાહેરખબર ફિલ્મમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મમાં માનતા લોકોના એક પરિવારને બતાવવામાં આવ્યો હતો. આભૂષણ કલેક્શન ‘એકત્વમ’ને પ્રસિદ્ધ કરવા માટે તેણે આ જાહેરખબર ગયા અઠવાડિયે રિલીઝ કરી હતી. પરંતુ સોશિયલ મિડિયા પર ભારે વિરોધ થયા બાદ ‘તનિષ્ક’એ તે જાહેરખબરને પાછી ખેંચી લીધી છે. રોષે ભરાયેલા હિન્દુ લોકોનો આક્ષેપ છે કે આ જાહેરખબર ‘લવ જિહાદ’ના સામાજિક દૂષણ અને નકલી ધર્મનિરપેક્ષતાને ઉત્તેજન આપે છે.

પરંતુ જાહેરખબર રિલીઝ કરાયા બાદ ટ્વિટર પર હેશટેગ ‘બોયકોટ તનિષ્ક’ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. રોષે ભરાયેલા લોકોએ ટાટાની બ્રાન્ડ્સનો બહિષ્કાર કરવાની માગણી કરતા ટ્વીટ્સ કર્યા હતા.

આવી ટીકા થયા બાદ ‘તનિષ્ક’એ તેની જાહેરખબરને એમ કહીને પાછી ખેંચી લીધી હતી કે તેનો ઈરાદો કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો. પણ તે છતાં અજાણતાં કોઈને ઠેસ પહોંચી હોય તો અમને તેનું દુઃખ છે. સાથોસાથ, અમે અમારા કર્મચારીઓ, ભાગીદારો તથા સ્ટોરના કર્મચારીઓની સલામતી અને રક્ષણને ધ્યાનમાં રાખીને આ એડફિલ્મને પાછી ખેંચી લીધી છે.

‘તનિષ્ક’એ એ પહેલાં જ યૂટ્યૂબ પર તેની આ જાહેરખબર પર કમેન્ટ્સ તથા લાઈક્સ અને ડિસલાઈક્સના બટન બંધ કરી દીધા હતા અને ગઈ કાલે તો એ જાહેરખબરનો વિડિયો સંપૂર્ણપણે પાછો ખેંચી લીધો હતો.

12,000 તરુણીઓને સેનિટરી પેડ વિતરિત કરવાનું લક્ષ્ય

$
0
0

અમદાવાદ: અમદાવાદની શાળાઓમાં અભ્યાસ કરતી વંચિત વર્ગની તરુણીઓમાં માસિક કાળ દરમિયાન સ્વચ્છતા જાળવવાની સમજ કેળવવા માટે હાથ ધરાયેલા TGB ચેરિટેબલ કેમ્પેઇન ફોર મેનસ્ટ્રુઅલ હાઈજિન અંતર્ગત ગઈ કાલે  200 તરુણીઓને પુનઃઉપયોગમાં લઈ શકાય તેવા કપડાના સેનિટરી પેડઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.

TGB ચેરિટી મારફતે બાપુનગર અને અમદાવાદમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલ નં. 16માં વંચિત વર્ગની તરુણીઓને પુનઃઉપયોગમાં લઈ શકાય તેવા કપડાના સેનિટરી પેડઝના વિતરણમાં યુનિપેડ ઇન્ડિયા પ્રા. લિમિટેડની જોડે સાથ ચેરિટેબલ ટ્રસ્ટ-અમદાવાદ પણ જોડાયુ હતું. હાલમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારીના સંદર્ભમાં કાર્યક્રમના સ્થળે ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશનના નિયમનું પાલન કરવામાં આવ્યું હતું.


સેનિટરી પેડઝની કિટસનું વિતરણ
આ સમારંભમાં ચર્ચા દરમ્યાન તરુણીઓને માસિક કાળ દરમ્યાન સ્વચ્છતા અને આ સમયગાળા અંગે ચાલી આવેલી જૂની માન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુનિપેડઝ ઇન્ડિયાએ ઉત્પાદન કરેલા તથા ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા સેનિટરી પેડઝની કિટસની સાથે તરુણીઓને માસિક કાળ દરમ્યાન સ્વચ્છતાની જાળવણી અંગે સ્થાનિક ભાષામાં પત્રિકાઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. આ કિટ વડે તરુણીઓ એક વર્ષ સુધી માસિક કાળ દરમ્યાન સ્વચ્છતા જાળવી શકશે.

યુનિપેડઝ ઇન્ડિયા પ્રા. લિમિટેડના સ્થાપક ગીતા સોલંકીએ જણાવ્યું હતું કે સમાજના નબળા વર્ગમાંથી આવતી તરુણીઓ યોગ્ય શિક્ષણના અભાવે, જાણકારીની ઊણપ તથા નાણાકીય કારણોથી આ બાબતે ધ્યાન આપી શકતી નથી. આ ઝુંબેશના ભાગ તરીકે અમે અમારા સહયોગી TGB ચેરિટી અને સાથ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અમે આગામી ચાર માસમાં શાળામાં ભણતી કિશોર વયની તરુણીઓમાં માસિક કાળ દરમ્યાન સ્વચ્છતા જાળવવાના મુદ્દે તથા તેમને કાપડનાં સેનિટરી નેપ્કિનની વહેંચણી કરવા માટે અમે રાજ્યની અર્ધશહેરી, ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં 12,000 તરુણીઓ સુધી પહોંચવા માટે ઝુંબેશ હાથ ધરી છે.

અમે છેલ્લાં ત્રણ સપ્તાહમાં 1000 તરુણીઓને આવરી લીધી છે અને બીજા તબક્કામાં વધુ 5000 તરુણીઓ સુધી પહોંચવાનું અમારું ધ્યેય છે. આગામી ચાર માસના ત્રીજા તબક્કામાં 6,000 તરુણીઓને આવરી લેવાશે, એમ તેમણે કહ્યું હતું.


કોરોનાને કારણે વાજિંત્ર બજારનો આર્થિક તાલ તૂટી ગયો

$
0
0

અમદાવાદઃ નવરાત્રિ મહોત્સવમાં રાસગરબે રમતા રસિયાઓને ઢોલ, તબલાં જેવાં વાજિંત્રો વાગે એટલે તાનમાં આવી ઝૂમી ઊઠે, પણ આ વર્ષે કોરોનાના કારણે ગરબા રમવા પર પાબંધી છે. જેના કારણે ઢોલ- નગારાં, તબલાં  તૈયાર કરતા અને વેચાણ કરતાં બજારમાં મંદી જોવા મળી રહી છે.

શહેરના સ્વામિનારાયણ મંદિર દરિયાપુર તંબુ ચોકી તરફ જતા માર્ગ પર ડબગરવાડ આવેલો છે. આ ડબગરવાડમાં વર્ષોથી ઢોલ-નગારા-તબલાં જેવાં અનેક વાજિંત્રો બનાવતા અને વેચાણ કરતા પરિવારો વસે છે. તહેવાર, ઉત્સવો અને પ્રસંગોની સીઝનમાં નવાં વાજિંત્રો ખરીદવા અને જૂના વાજિંત્રોનું સમારકામ કરાવવા આ વિસ્તારમાં ભારે ભીડ લાગે છે, પરંતુ  2020ના તહેવાર-પ્રસંગો ફિક્કા રહ્યા છે અને નવરાત્રિ જેવા ઉત્સવ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોવાથી ડબગરવાડનું બજાર સૂનું થઈ ગયું છે.

પહેલાં લોકો નવરાત્રિ એકદમ નજીક આવે એ સમયગાળામાં ઢોલ અને અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ તૂટી ગયાં હોય તો એનું સમારકામ કરાવવા ગામેગામ થી આવતા હતા. ગરબા મંડળો  માટે નવાં ઢોલ-નગારા અને ઇન્સ્ટ્રુમેન્ટ્સની દર વર્ષે ધૂમ ખરીદી થતી હતી. 2020નું વર્ષ વેપારીઓ માટે નુકસાનકર્તા રહ્યું છે.

ડબગરવાડમાં પેઢીઓથી રહેતા ડબગર પરિવારો કહે છે, નવરાત્રિ મહોત્સવમાં આરતીની જ પરવાનગી હોવાથી વાજિંત્રોના ઓટોમેટિક મશીનની ઇન્કવાયરી અને વેચાણ થઈ રહ્યું છે. ઢોલ-નગારાં, તબલાંની ખરીદી  સમારકામ માટે હાલ નિયમિત આવતા ભજનિકો , ડાયરાવાળા અને સ્ટેજ કલાકારો જ બજારમાં આવે છે. આ વર્ષે નવરાત્રિ મહોત્સવનો વેપાર સાવ નહિવત્ છે, એટલે આર્થિક તાલ તૂટી ગયો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

ગુજરાત સરકાર ડિસેમ્બર સુધી શાળાઓ ન ખોલવા અડગ

$
0
0

અમદાવાદઃ કોરોના રોગચાળાને કારણે ગુજરાત રાજ્યમાં દિવાળી સુધી શાળાઓ ફરી ખોલવામાં નહીં આવે. કોરોના વાઈરસના ફેલાવાને કારણે સાત મહિનાથી બંધ કરી દેવામાં આવી છે. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ રાજ્ય સરકાર નિર્ણય કરશે, પરંતુ મળતી માહિતી પ્રમાણે ડિસેમ્બર સુધી શાળાઓ ન ખોલવા સરકાર મક્કમ છે, એમ સૂત્રોએ કહ્યું હતું.નિષ્ણાતોના મત મુજબ  શિયાળામાં કોવિડ-19નું સંક્રમણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેથી સરકાર દિવાળી બાદની પરિસ્થિતિની સમીક્ષા કરશે અને એ પછી જ કોઈ ચોક્કસ નિર્ણય લેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર આ અંગે વાલીઓ અને સંચાલકોનો મત જાણશે, એ પછી કોઈ શાળા ખોલવા અંગે વિચારીને નિર્ણય કરશે.

ગઈ 16 માર્ચથી શાળાઓ બંધ છે

રાજ્યમાં કોરોના રોગચાળાને કારણે 16 માર્ચથી તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. જોકે એ પછી ઓનલાઇન શૈક્ષણિક કાર્ય જ ચાલી રહ્યું છે.

સ્કૂલ ખોલવાની સરકાર સમક્ષ માગ 

સરકાર દ્વારા સંચાલકોને જણાવવામાં આવ્યું હતું કે  જેતે સમયે કોવિડની સ્થિતિ જોયા બાદ સ્કૂલ ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. સ્કૂલ ખોલવાથી બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધવાના ભયના કારણે સરકાર હાલ કોઈ પણ નિર્ણય લેવા તૈયાર નથી તો બીજી તરફ સંચાલકો દિવાળી બાદ સ્કૂલો શરૂ કરવાની માગ કરી રહ્યા છે.

ફ્લેટો, સોસાયટીઓમાં નવરાત્રિમાં પૂજા-આરતી માટે મંજૂરી નહીં લેવી પડે

$
0
0

અમદાવાદઃ આવતી કાલથી નવરાત્રિ શરૂ થાય છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રિ દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓમાં રહેવાસીએ માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઈ પણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહિ. જોકે જાહેર સ્થળોએ તેમ જ રસ્તા પર આરતી કે પૂજા કરવા માટે પોલીસની મંજૂરી લેવી આવશ્યક છે.

ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી હતી કે નવરાત્રિ દરમ્યાન મંદિરો બંધ રાખવા માટે સૂચના આપવામાં નથી આવી. આ પહેલાં સરકારે પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે તેમણે કહ્યું હતું કે બંધ પેકેટમાં પ્રસાદ આપી શકાશે. વળી, હવે સરકારે પૂજા અને આરતી માટે છૂટ આપી છે.

ગરબા રમવાની મંજૂરી નહીં

કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખતાં સરકારે નવરાત્રિમાં કોઈ પણ પ્રકારના ગરબા રમવાની મંજૂરી નથી આપી અન  પૂજા-આરતી દરમ્યાન પણ 200 લોકોથી વધુ હાજર રહી નહીં શકે. આ ઉપરાંત સરકારે જાહેર કરેલા નિર્દેશો મુજબ માસ્ક પહેરવો, સામાજિક અંતરનું રાખવું, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો અને થર્મલ સ્કિનિંગ કરવા જેવા નિયમોનું પાલન કરવાનું રહેશે.

પોલીસ સ્ટેશનો પાસે લાંબી લાઇનો

સરકારે જાહેર કરેલી SOPમે લીધે પોલીસ સ્ટેશનોમાં વિવિધ સોસાઇટી અને ફ્લેટોના પ્રતિનિધિઓએ મંજૂરી  લેવા માટે લાંબી લાઇનો લગાવી હતી. વળી, સરકારના આ નિર્ણય સામે લોકોમાં અસંતોષ પણ હતો. જોથી સરકારે નિયમમાં ફેરબદલ કરીને સોસાયટીઓ અને ફ્લેટોને  પૂજા-આરતી કરવાની છૂટ આપી હતી. જોકે આ છૂટ પૂજા-આરતી કરવા માટે જ છે, ગરબા કરવા માટે નહીં.

 

 

 

‘સ્ટેચ્યુ ઓફ યુનિટીને’ પ્રવાસીઓ માટે પુન: ખુલ્લું મુકાયું

$
0
0

રાજપીપળાઃ  નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં આવેલા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને સરકારની કોવિડ-૧૯ની માર્ગદર્શિકા સાથે આજથી પુન:ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના પરિસરની આસપાસના રિવર રાફ્ટિંગ, એકતા નર્સરી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન અને વિશ્વ વન વગેરેને પણ પ્રવાસીઓ માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં છે.

આજે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેનાર મહારાષ્ટ્ર થાણેના પ્રવાસી વિક્રાંત નીત નાવરેએે પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યુ હતું કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લઇને ઘણો જ આનંદ થયો છે. અમે પરિવાર સાથે અહીં આવ્યા છીએ. આ મુલાકાતથી અમે ખૂબ જ ખુશ છીએ, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો તેમણે આભાર માન્યો હતો.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના મુલાકાતી પ્રવાસીઓએ ૪૫ માળની ઊંચાઈએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હ્દય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો માણવાની સાથોસાથ વિધ્યાંચળ-સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું તેમ જ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં પ્રદર્શન, લાઇબ્રેરી, સરદાર સાહેબના જીવન-કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ પ્રવાસી મુલાકાતીઓએ નિહાળી હતી.

  કુલ-૫ સ્લોટની વ્યવસ્થા

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં સવારે ૮થી ૧૦ અને ૧૦થી ૧૨, બપોરે ૧૨થી ૨ અને ૨થી ૪ તેમ જ સાંજે ૪થી ૬ સહિત એમ  કુલ-૫ સ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પ્રત્યેક સ્લોટમાં  ૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ  આપવામાં આવશે.

કોવિડ-૧૯ની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને સામાજિક અંતરની સાથે દરરોજ ૨૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ અપાશે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની ટિકિટ દર બે કલાકના સ્લોટમાં ઓનલાઇન ધોરણે જ અધિકૃત ટિકિટ વેબસાઇટ www.soutickets.in  ઉપરથી મેળવી શકાશે. પ્રવાસીઓને વધુ પૂછપરછ તેમ જ ફરિયાદ માટે ટોલ ફ્રી ફેલ્પલાઇન નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦ પર સંપર્ક સાધવો.

 

 

 

 

સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે નવરાત્રી મહોત્સવમાં આરતી આરાધના શરૂ

$
0
0

અમદાવાદઃ શહેરમાં નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય એ માટે ગરબા મહોત્સવના મોટા પાયે આયોજનો બંધ રાખવામાં આવ્યા છે. શેરી, મહોલ્લા, રહેણાંક સોસાયટીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની શરત સાથે ફક્ત આરતી અને પૂજાની છૂટ આપવામાં આવી છે. આ સુરક્ષા નિયમો અંતર્ગત શહેરમાં ઘણાં સ્થળોએ માતાજીની સ્થાપના અને આરતી કરવામાં આવી હતી. કોરોનાના કપરા સમયમાં ઉત્સવો, તહેવારો, પ્રસંગોની મજા ફિક્કી પડી ગઈ છે. એમાંય નવરાત્રી મહોત્સવ સાથે તો હજારો લોકોના રોજગાર જોડાયેલા છે. જેઓ આ મહોત્સવમાંમાં કમાણી કરી લેતા હોય છે. પરંતુ આ વખતે નવરાત્રી મોટા પાયે ઉજવણી બંધ રાખવામાં આવી છે. આ વખતે કોરોના બીમારીને કારણે ગામ, સોસાયટીઓમાં આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું નથી. મોટા કેમ્પસ, વધુ ગીચ વસ્તીવાળા વિસ્તારોવાળી ઘણી સોસાયટીઓએ નવરાત્રીનું આયોજન સદંતર બંધ રાખ્યું છે. જ્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાની સોસાયટીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમના પાલનની શરતે આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

શાળાઓ ફરી ક્યારે ખોલવી? ગુજરાત સરકાર બધાયનાં મંતવ્યો જાણશે

$
0
0

અમદાવાદઃ રાજ્યમાં હાલ શાળાઓ શરૂ કરવાને લઈને સરકાર કોઈ વિચારણા નથી કરી રહી. આ અંગે શિક્ષણપ્રધાને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે સરકાર શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી રહી છે, અનેક શિક્ષણવિદોનાં મંતવ્ય લેવામાં આવ્યા છે. આ સાથે આરોગ્ય વિભાગનો અભિપ્રાય પણ લેવામાં આવશે અને એ પછી કેબિનેટમાં ચર્ચા કરીને યોગ્ય સમયે નિર્ણય કરવામાં આવશે.

રાજ્યમાં હાલ બાળકોનું ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. પણ બાળકોની પરીક્ષા અંગે હજુ પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યમાં હજી શૈક્ષણિક સંકુલો ફરી ધબકતા થયા નથી ત્યારે આજે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ક્યારેક તો શાળા ચાલુ કરવી પડશે, પરંતુ સરકાર એકલી નિર્ણય કરે એ યોગ્ય નથી. આરોગ્ય વિભાગનો અભિપ્રાય મહત્વનો છે. અમે વાલીઓ, શિક્ષણવિદો સાથે ચર્ચાઓ કરી છે. હું અને શિક્ષણ વિભાગ સતત વાલીઓ અને શિક્ષણ સાથે સંકળાયેલા લોકોની સાથે ચર્ચા અને વેબિનાર કર્યા છે. હવે એ તબક્કો નજીક છે. વેબિનારથી અમે અભિપ્રાય મેળવીએ છીએ.

દિવાળી પછી પણ શાળા ખૂલશે નહીં

ગઈ કાલે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શાળાના સંચાલકો વચ્ચે શાળાઓને લઈ એક વેબિનારનું આયોજન થયું હતું. આ વેબિનારમાં ગુજરાતમાં શાળાઓ ખૂલવા અંગે મોટો સંકેત મળ્યો હતો. રાજ્યમાં ધોરણ 1થી 5 સુધીનાં બાળકો માટે દિવાળી પછી પણ શાળા ખૂલશે નહીં. દિવાળી વેકેશન પછી ધો. 9થી 12નાં વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવશે.

ધોરણ 6થી 8નાં બાળકોને છૂટ

આ ઉપરાંત ગ્રામ્યમાં ધોરણ 6થી 8નાં બાળકોને છૂટ આપવા રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. એટલું જ નહીં, પણ દિવાળી વેકેશન પણ સરકાર દ્વારા ટૂંકાવી દેવામાં આવ્યું છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપ પ્રમુખ જતિન ભરાડે જણાવ્યું હતું કે પહેલા તબક્કામાં 9થી 12ની શાળાઓ શરૂ કરવામાં આવશે અને પછી સ્થિતિ કાબૂમાં રહેશે તો નાના વર્ગો ખોલવા ચર્ચા કરવામાં આવશે.

ધો 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થઇ શકે

તાજેતરમાં શાળા સંચાલકોના યોજાયેલા એક વેબિનારમાં રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ પ્રાથમિક શાળાઓ દિવાળી બાદ પણ નહીં ખૂલે તેવા સંકેતો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે દિવાળી પછી ધો 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થઈ શકે છે.

બીજી બાજુ, બાળકોના વાલીઓને આશા હતી કે સરકાર આ વખતે બાળકોને માસ પ્રમોશન આપશે. પણ શિક્ષણ વિભાગે વાલીઓની આ આશા ઉપર પાણી ફેરવી દીધું હતું.

1-9 સુધી માસ પ્રમોશન આપવા માટેની માગ

વાલી મંડળે ધોરણ 1-9 સુધી માસ પ્રમોશન આપવા માટેની માગ કરી હતી. પણ શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે ધોરણ 1થી 8 સુધી માસ પ્રમોશન આપવા અંગે કોઈ વિચારણા કરવામાં આવી નથી. આમ રાજ્ય સરકારે વાલી મંડળની માગને ફગાવી દીધી હતી. આ ઉપરાંત શિક્ષણ વિભાગે વાલીઓને ગેરમાર્ગે ન દોરાવા માટે પણ અપીલ કરી હતી.

 

 

 

ગુજરાતઃ આઠ બેઠકની પેટા-ચૂંટણીમાં 81 ઉમેદવારો મેદાનમાં

$
0
0

અમદાવાદઃ ગુજરાત રાજ્ય વિધાનસભાની આઠ બેઠકોની પેટા-ચૂંટણીમાં 81 ઉમેદવારો મેદાનમાં ઊતર્યાં છે. આઠ બેઠકોની પેટાચૂંટણી ઉપર હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જેમાં લિંબડી બેઠક ઉપર સૌથી વધુ 14 ઉમેદવારો મેદાનમાં છે  તો કપરાડા બેઠક ઉપર સૌથી ઓછા માત્ર ચાર ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. કચ્છ-અબડાસા બેઠક ઉપર ૧૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. આ સાથે મોરબી અને ગઢડા બેઠક ઉપર 12-12 ઉમેદવારો મેદાનમાં ઊતર્યા છે. અમરેલી-ધારી બેઠક ઉપર 11 ઉમેદવારો વચ્ચે જંગ છે. કરજણ અને ડાંગ બેઠક ઉપર 9-9 ઉમેદવારો મેદાનમાં છે. ગઈ કાલે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હતો, જેમાં ગઈ કાલે કુલ 21 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી.

53 અપક્ષ ઉમેદવારો મેદાનમાં

રાજ્ય ચૂંટણી પંચની યાદી મુજબ ગુજરાતની વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં 53 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. જેથી મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસની હાર-જીત ઉપર આ અપક્ષ ઉમેદવારો સીધી અસર કરી શકે છે.

આ અપક્ષ ઉમેદવારો લિંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં સૌથી વધુ છે. કુલ 14 ઉમેદવારોમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારો 11 મેદાનમાં છે. ત્યારે મોરબી બેઠક પર અપક્ષ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસના મત તોડી શકે છે. આવામાં બંને રાજકીય પક્ષો માટે મોરબી બેઠક પરની જીત કપરી બની રહેશે.

કપરાડા  (ST) બેઠક
કપરાડા વિધાનસભા શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ (ST) બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ છે. કોંગ્રેસમાં ચાર મુદત માટે ધારાસભ્ય રહી ચૂકેલા જિતુભાઈ ચૌધરીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે તો ભાજપનો છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડેલા બાબુભાઈ વરઠાની કોંગ્રેસમાંથી ઉમેદવારી છે. જયેન્દ્ર ગાવિત અને પ્રકાશ પટેલની અપક્ષ ઉમેદવારી છે. આ બેઠક પર કુલ 10 ફોર્મ ભરવામાં આવ્યાં હતાં, જેમાં કોંગ્રેસ અનેભાજપના ઉમેદવારો સાથે 3-3 ડમી ઉમેદવારો મળી કુલ આઠ ફોર્મ અને બીજા બે અપક્ષ ઉમેદવારો છે. 

અબડાસા બેઠક
કચ્છની અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. અહીં નવ ઉમેદવારોનાં ફોર્મ પરત ખેંચાયાં છે. ત્યારે હવે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત 10 ઉમેદવારો મેદાને છે.

ધારી બેઠક 
ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. જેથી હવે પેટા ચૂંટણીમાં કુલ 11 ઉમેદવારો મેદાને છે.

ગઢડા બેઠક
ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીમાં 12 ઉમેદવારો વચ્ચે જંગ છે. આ બેઠક પર કુલ 16 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં 3 ફોર્મ કેન્સલ થયાં હતાં અને એક ફોર્મ પાછું ખેંચાયું છે.

મોરબી 
મોરબી માળિયા વિધાનસભા પેટાચૂંટણી માટે ભરાયેલા ફોર્મમાંથી કેટલાંક ફોર્મ પાછાં ખેંચાયાં છે. ત્યારે હવે કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના બ્રિજેશ મેરજા, કોંગ્રેસના જયંતિ પટેલ સામે મુખ્ય જંગ છે. તો 10 અપક્ષ ઉમેદવારો પણ છે.

આઠ બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મોટો જંગ  છે.  
બેઠક  ભાજપ   કોંગ્રેસ
અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા  શાંતિલાલ સેંઘાણી 
ધારી  જેવી કાકડિયા     સુરેશ કોટડિયા 
કપરાડા   જિતુ ચૌધરી  બાબુભાઈ પટેલ
ગઢડા  આત્મરામ પરમાર મોહન સોલંકી 
લિંબડી    કિરીટસિંહ રાણા   ચેતન ખાચર 
મોરબી  બ્રિજેશ મેરજા જયંતી પટેલ 
ડાંગ   વિજય પટેલ  સૂર્યકાંત ગાવિત 
કરજણ  અક્ષય પટેલ  કિરીટસિંહ જાડેજા 

                              
      
            
              
          
             
             
             

 

 

 

 


સી પ્લેનની ઉડાન પૂર્વે રિવરફ્રન્ટના માર્ગોની સજાવટ શરૂ

$
0
0

અમદાવાદઃ રિવરફ્રન્ટ પરથી જ સી પ્લેનની સવારી શરૂ થશે અને સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી શકાય એ સેવા શરૂ કરવામાં આવશે. શહેરના રિવરફ્રન્ટથી કેવડિયા સી પ્લેનથી ઉડાન ભરશે. શહેરના ચંદ્રનગર વાસણા પાસે આવેલા બ્રિજ નીચેના ભાગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવે એ પૂર્વે રંગરોગાન પુરજોશમાં ચાલી રહ્યું છે. સાબરમતી પરના રિવરફ્રન્ટને સી પ્લેન રૂપે એક નવું આકર્ષણ મળવાનું છે. નવનિર્મિત બાયોડાઈવર્સિટી પાર્કની એકદમ નજીક સી પ્લેન માટેનું કાર્યાલય અને જેટી તૈયાર કરવામાં આવી છે. સી પ્લેનની અમદાવાદથી કેવડિયાની ઉડાન અને નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વે રિવરફ્રન્ટના ડિવાઇડરનું રંગરોગાન ઝડપી કરવામાં આવી રહ્યું છે. ઉસ્માનપુરા, પાલડી, વાસણા પાસેના રિવરફ્રન્ટના ડિવાઇડર પર મોટી સંખ્યામાં કલરકામના કારીગરો કામ કરી રહ્યા છે.

સી પ્લેનની જેટી નજીક આવેલા બાબા સાહેબ આંબેડકર બ્રિજ નીચેની જગ્યાઓને સ્વચ્છ કરી સુંદરતા આપવાના પ્રયાસ થઈ રહ્યા છે. વૃક્ષ, વેલા અને છોડને પણ કારીગરો આકાર આપી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

નરેશ કનોડિયાના અવસાનની ખોટી અફવા ફેલાઈ

$
0
0

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના એક સમયના સુપરસ્ટાર નરેશ કનોડિયા કોરોના પોઝિટિવ થયા બાદ તેમની અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ તેઓ વેન્ટિલેટર પર છે. પરંતુ, એમનું અવસાન થયાનો એક સંદેશ વોટ્સએપ પર રિલીઝ થતાં જ એ વાઇરલ થયો હતો. સોશિયલ મિડિયામાં ફરી રહેલા આ સમાચાર સદંતર ખોટા છે. નરેશ કનોડિયાની તબિયત હાલ સ્થિર છે એવી એમના પુત્ર હિતુ કનોડિયાએ એક વિડિયો નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી.

નરેશ કનોડિયા વેન્ટિલેટર પર

નરેશ કનોડિયાની તબિયત વધુ ગંભીર થતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. નરેશ કનોડિયાની એક તસવીર હાલ સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ છે. જેમાં તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ તસવીરમાં તેઓ ઓક્સિજન માસ્ક સાથે નજરે આવી રહ્યા છે. તેમના પુત્ર અને ઈડર મતવિસ્તારના ધારાસભ્ય હિતુ કનોડિયાએ એમના પિતા નરેશ કનોડિયાના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવાની ટ્વિટર પર પ્રશંસકોને અપીલ કરી હતી.

ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે પ્રકાશ ન. શાહ ચૂંટાયા

$
0
0

અમદાવાદઃ ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે પ્રકાશ ન. શાહ વિજેતા થયા છે. મહાત્મા ગાંધીજી જે સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂક્યા છે એ સાહિત્ય પરિષદની આજે ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાં પ્રકાશ ન. શાહ 562 મત મેળવી પ્રમુખપદ વિજેતા જાહેર થયા છે. તેમને કુલ 1292 મતોમાંથી 562 મતો પ્રાપ્ત થયા હતા. એ પછી તેમના હરીફ ઉમેદવારોમાં હર્ષદ ત્રિવેદીને 533 તથા હરિકૃષ્ણ પાઠકને 197 મત મળ્યા હતા. કુલ 1337 મતોમાંથી 45 મતો રદબાતલ જાહેર થયા હતા.

શાહ સાહિત્ય પરિષદના પ્રમુખપદે ત્રણ વર્ષ

શાહ સાહિત્ય પરિષદના પ્રમુખપદે ત્રણ વર્ષ સુધી રહેશે. સાહિત્ય પરિષદના પ્રમુખપદે આ પહેલા સિતાંશુ યશશ્ચંદ્ર હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટેની આ ચૂંટણી દર ત્રણ વર્ષે યોજવામાં આવે છે.

આમ તો મોટે ભાગે બિનહરીફ યોજાતી ચૂંટણીમાં આ વર્ષે પ્રમુખપદ માટે ત્રણ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. જેમાં પ્રકાશ ન. શાહનો વિજય થયો છે. ચૂંટણી અધિકારી પ્રવીણ ત્રિવેદીએ પ્રકાશ ન. શાહના સર્વાધિક 562 મત જાહેર કર્યા હતા.

મહિલાઓના મેળાને મોળો પ્રતિસાદ

$
0
0

અમદાવાદઃ કોરોનાને કારણે લોકડાઉન પછી અર્થતંત્ર પર માઠી અસર પડી છે. સતત બંધ રહેલા વેપાર-ધંધાને બેઠા કરવા સરકારના જુદા-જુદા વિભાગો પણ પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતની મહિલાઓ આર્થિક રીતે સક્ષમ થાય એના માટે તૈયાર કરવામાં આવેલા નિગમ દ્વારા કોરોના કાળમાં રિવરફ્રન્ટ પર હસ્તકલાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના રોગચાળા પછી પહેલી વાર યોજાયેલા  હસ્તકલાના મેળામાં વેચાણ ખૂબ જ નહીંવત્ જોવા મળી રહ્યું છે.

શહેરનો રિવરફ્રન્ટ જ્યારથી મેળા મહોત્સવ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે, ત્યારથી ખૂબ જ ભવ્ય પ્રતિસાદ મળે છે. ખુલ્લી જગ્યા, પાર્કિંગની સુવિધા અને મધ્યમાં આવેલા ફવેન્ટ સેન્ટરોમાં મોટા ભાગે તમામ ક્ષેત્રના પ્રદર્શન અને વેચાણ સફળ થાય છે, પરંતુ કોરોનાને કારણે મહિનાઓથી મેળા-મહોત્સવ વગર રિવરફ્રન્ટ અને શહેરના અન્ય વેપાર-ધંધાને વેગવાન બનાવતાં ઇવેન્ટ સેન્ટરો બંધ હાલતમાં પડ્યાં છે. જ્યાં વેપારના વિકાસ માટેની શરૂઆત થઈ છે ત્યાં પણ મોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

પગભર થવા માગતી મહિલાઓ માટે યોજાયેલા હસ્તકલાના મેળામાં ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે. રિવરફ્રન્ટ પર પ્રદર્શન સાથે વેચાણના આ મેળામાં  મહિલાઓ ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાંથી રોજગારી માટે આવી છે. જેમાં માટીકામ, મોતીકામ, હાથશાળ, ભરતકામ અને ગૃહઉદ્યોગની વિવિધ શ્રેણીમાં સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે.

ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓનો સ્ટોલ ધરાવતાં શીતલ પંડ્યા  ચિત્રલેખા.કોમ ને કહે છે હું ઘણાં વર્ષથી સખી મંડળ ચલાવું  છું. મહિલાઓના ઉત્થાન માટે યોજાતા મેળાઓમાં સારો પ્રતિસાદ મળે છે, પરંતુ કોરાનાના  સમયમાં યોજાયેલા આ મેળામાં લોકો ઓછી મુલાકાત લઈ રહ્યા છે.

કોરોનાથી બચવા સૂચનાઓ, સેનિટાઇઝેશન અને સંક્રમણની તપાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એમ છતાં મુલાકાતીઓ વગર મહિલાઓ માટેનો આ હસ્તકલા મેળો નીરસ જણાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

મોદીએ હોસ્પિટલ, રોપવે અને ખેડૂત યોજનાનું ઈ-લોકાર્પણ કર્યું

$
0
0

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપ-વેનું  ઇ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે અમદાવાદમાં રૂ. 470 કરોડના ખર્ચે 850 બેડ સાથે સુસજ્જ થયેલી બાળકો માટેની યુ. એન. મહેતા હૃદયરોગ હોસ્પિટલનું પણ ઈ-લોકાર્પણ કર્યું હતું અને ખેડૂતોને દિવસે વીજળી આપવાની ‘કિસાન સૂર્યોદય યોજના’નું પણ લોન્ચિંગ કર્યું હતું. આ ઈ-લોકોર્પણમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જૂનાગઢથી તેમ જ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, અન્ય પ્રધાનો અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર.પાટીલ અમદાવાદથી ઉપસ્થિત થયા હતા.
ગિરનાર રોપ-વે ઈ-લોકાર્પણ

રાજ્યમાં આજે આઠમા નોરતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હસ્તે જૂનાગઢ ગિરનાર રોપ-વે ઈ-લોકાર્પણ કર્યું હતું. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જૂનાગઢ-ગિરનાર-રોપ-વે ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ રોપવે ગિરનાર આવતા પ્રવાસીઓ માટે અનોખું નજરાણું બની રહેશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સાથે સાથે ઊર્જાપ્રધાન સૌરભ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગિરનાર પર શરૂ કરવામાં આવેલો રોપવેનો કોચ પ્રતિ સેકન્ડ છ મીટરની ઝડપથી પસાર થશે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સંકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલશે.

યુ. એન. મહેતા હોસ્પિટલમાં હૃદયરોગ માટે નવું બિલ્ડિંગ

 નવજાત શિશુને જન્મતાની સાથે જ જો હૃદયરોગને લતી તકલીફ હશે તો અત્યાધુનિક સુવિધા પ્રાપ્ય બની શકે એ હોસ્પિટલનું વડા પ્રધાનના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપપ્રમુખ સી. આર. પાટીલ યુ. એન. મહેતા હોસ્પિટલમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં યુ એન મહેતા હોસ્પિટલમાં બાળ હૃદયરોગ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈ-લોકાર્પણ કરીને દર્દીઓની સારવાર માટે ખુલ્લું મૂક્યું છે. અતિ આધુનિક હોસ્પિટલને ટેક્નોલોજી સાથે સજ્જ કરવામાં આવી છે. યુ. એન. મહેતા હોસ્પિટલમાં તાજા જન્મેલા બાળકોથી માંડી વૃદ્ધાવસ્થા સુધીની તમામ ઉંમરના હૃદયરોગના દર્દીઓની સંપૂર્ણ સારવાર થશે.

કિસાન સૂર્યોદય યોજનાનું ઇ-લોકાર્પણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે કિસાન સર્વોદય યોજનાનો પ્રારંભ પણ ઈ-લોકાર્પણના માધ્યમથી કરવામાં આવ્યું હતું.. કિસાન સર્વોદય યોજના મુજબ હવે ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે એ હેતુ રહેલો છે. ગુજરાતમાં ભારતીય કિસાન સંઘ સહિત ખેડૂત સંસ્થાઓએ કરેલી રજૂઆતને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સરકારે સાનુકૂળ પ્રતિસાદ આપીને કેન્દ્ર દ્વારા અમલી બનેલી કિસાન સર્વોદય યોજનાનો લાભ હવે ગુજરાતને પણ મળશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ , મધ્યગુજરાતના દાહોદ અને ઉત્તર ગુજરાતના પાટણમાં દિવસે વીજળી આપવા હેતુ કિસાન સર્વોદય યોજનાનનું ઇ-લોકાર્પણ થયું છે. રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારના પાંચથી રાત્રે નવ કલાક સુધી વીજળી આપવામાં આવશે.

 

 

 

 

 

Viewing all 9917 articles
Browse latest View live


Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>