Quantcast
Channel: Gujarat – chitralekha
Viewing all 9795 articles
Browse latest View live

વડોદરામાં વરસાદ ફરી શરુ, ભાવનગરના શેત્રુંજી ડેમમાં આવ્યાં નવા નીર…

$
0
0

અમદાવાદઃ વડોદરામાં 20 ઈંચ વરસાદ પડ્યાં બાદ શહેરમાં ભરાયેલાં પાણીએ હજી માંડ ઓસરવાની શરુઆત કરી છે ત્યાંતો ફરીથી એક વાર મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ફરી એકવાર વડોદરામાં વરસાદ શરુ થયો છે. ત્યારે વરસાદને પગલે વડોદરાવાસીઓ ચિંતામાં મૂકાયા છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થવાનું શરુ થયું છે અને બીજી બાજુ ફરીથી એકવાર ધોધમાર વરસાદ શરુ થતાં લોકો ચિંતામાં મુકાયાં છે. તો ખંભાત અને સૂરતમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યાંના સમાચાર સામે આવી રહ્યાં છે.

વડોદરા શહેરના કાંઠા વિસ્તારમાં વડોદરા પોલીસ દ્વારા આજે સવારથી જ ફૂડ પેકેટ, બિસ્કીટ, દૂધ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બુધવારે બપોર બાદ 20 ઇંચ વરસાદ ખાબક્યા બાદ ગુરૂવારે અને શુક્રવારે પણ ધીમીધાર વરસાદ વરસ્યો હતો. આજે પણ બપોર બાદ વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

વિશ્વામિત્રી નદીની સપાટી અત્યારે 29 ફૂટ થઇ છે. જોકે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. જેથી વિશ્વામિત્રી નદી હજુ પણ ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહી છે. જ્યારે આજવા ડેમની સપાટી પણ ઘટીને 211.75 ફૂટ થઇ છે.

તો બીજી  બાજુ ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદની અસરથી શેત્રુંજી ડેમની સપાટી 18 ફૂટને આંબી ગઈ હતી. શેત્રુંજી ઉપરાંત જસપરા માંડવા અને ઉતાવળી ગુંદા ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આજે અમરેલી જિલ્લા સહિતના ઉપવાસના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં બપોર સુધી શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો.

ગુજરડા કેઝમેન્ટમાં નવા નીર આવતા થતાં પાણીની સમસ્યા હલ થઇ ગઇ છે. નવા પાણીની આવક રાતથી શરૂ થઇ ગઇ છે. આ ડેમની સપાટી 20 ફૂટે પોહચી શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. રાતનાં 8.30 કલાક સુધીમાં 19,720 ક્યુરેક પાણીની આવક શરૂ રહી હતી. પાણીની આવકને કારણે શેત્રુંજી ડેમની સાટી ગઈકાલે 13.9 ફૂટ હતી. તે વધીને 16 ફૂટે પહોંચી ગઈ છે.


ઓઢવમાં 8.55 હેક્ટરમાં નિર્માણ પામ્યું ‘જડેશ્વર વન’,સાથે મનોરંજનની સુવિધાઓ…

$
0
0

ગાંધીનગર- મુખ્યપ્રધાન અમદાવાદના ઓઢવમાં રાજ્યકક્ષાના ૭૦મા વન મહોત્સવ અંતર્ગત ૮.૫૫ હેક્ટરમાં નિર્માણ પામેલા ‘જડેશ્વર વન’ના લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે વિજય રૂપાણીએ પર્યાવરણની વૈશ્વિક સમસ્યાના ઉપાય અને ગ્રીન-ક્લીન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વૃક્ષ-વન ઉછેર સમયની માગ છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. તેમણે પર્યાવરણના જતન સંતુલન સાથે ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવવા “એક વ્યક્તિ – એક વૃક્ષ”નો સંકલ્પ સાકાર કરવા પણ આહવાન કર્યું છે.

વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતને હરિત ક્રાંતિમાં અગ્રેસર બનાવવા ગ્રીન કવર વધારવા માટે આ વર્ષે વન મહોત્સવ તહેત ૧૦ કરોડ વૃક્ષ વાવેતરનો લક્ષ્યાંક છે. વૃક્ષો વાવવાનું જ નહીં, તેનું જતન-સંવર્ધન અને ઉછેરનું પણ જન ઝૂંબેશ ઉપાડી છે. આ સંદર્ભમાં તેમણે જિલ્લા-તાલુકા અને ગ્રામ કક્ષાએ વૃક્ષ વાવેતર-ઉછેરની તંદુરસ્ત સ્પર્ધા થાય અને ગ્રીન કવર વધે તેવી હિમાયત પણ કરી હતી.

વન વિભાગે રાજ્યમાં સઘન વૃક્ષારોપણમાં જનભાગીદારી પ્રેરિત કરી વિવિધ સ્થળોએ ૧૮ જેટલા સાંસ્કૃતિક વન નિર્માણ કર્યાં છે. આજે લોકાર્પિત થયેલું જડેશ્વર વન એ શ્રૃંખલાનું ૧૯મુ સાંસ્કૃતિક વન છે. આ ‘જડેશ્વર વન’ સિમેન્ટ કોન્ક્રિટના જંગલ વચ્ચે હરિયાળા વૃક્ષો થકી અમૃત સમાન શુદ્ધ પ્રાણવાયુ પૂરો પાડશે.

આજે પર્યાવરણની સમસ્યા વધી છે ત્યારે જો વૃક્ષો નહીં વાવીએ તો આગામી પેઢીઓ આપણને માફ નહીં કરે. વૃક્ષો  નહિં વાવીએ તો કેન્સર જેવા ભયાનક રોગો લોકોને ભરડો લેશે.  જીવમાં શિવ’, ‘છોડમાં રણછોડ’ અને ‘પીપળામાં પરષોત્તમ’ એ આપણા સંસ્કાર છે. એક વ્યક્તિ એક વૃક્ષ વાવશે તો કરોડો વૃક્ષો વાવવાનું અભિયાન સફળ બનાવી શકીશું.

ગ્રીન ગુજરાત મોબાઇલ એપ્લિકેશન લોન્ચ

અમદાવાદે મિશન મિલિયન ટ્રી હાથ ધર્યુ છે. રાજ્યના શિક્ષણ વિભાગે ‘એક બાળ- એક વૃક્ષ’ નો સંકલ્પ કર્યો છે. આ પ્રસંગે મુખ્યપ્રધાને ગ્રીન ગુજરાત મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી જેના દ્વારા દરેક લોકો પોતાની નજીકની નર્સરી અને તેમાં ઉપલબ્ધ રોપાઓની જાણકારી મેળવી શકશે.

વનપ્રધાન ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ૭૦મા વન મહોત્સવના ભાગરૂપે ૧૯મુ સાંસ્કૃતિક વન ‘જડેશ્વર વન’ આકાર પામ્યું છે. આ વન ઉછેર-સંવર્ધન પ્રવૃત્તિને  વેગવાન બનાવશે. પર્યાવરણની સુરક્ષાએ આજના સમયની માંગ છે. પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષો-વનોની ભૂમિકા અદકેરી છે. વૃક્ષો માનવજાતના મિત્ર તરીકે ઓળખાય છે. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પણ વૃક્ષોનું મહત્વ વર્ણવાયું છે.આ સરકારે ‘ગ્રીન ગુજરાત – ક્લીન ગુજરાત’નો મંત્ર આપ્યો છે ત્યારે ‘જડેશ્વર વન’ આ મંત્રને સાકાર કરશે. વન ઉછેરમાં લોકોને જોડવાથી રાજ્યમાં વન વિસ્તાર વધ્યો છે, તેની વિગતો તેમણે આપી હતી.

ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ જડેશ્વર વન રૂપિયા રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે. જ્યાં યોગ માટેની સુવિધા, વોકિંગ ટ્રેક, જોગિંગ ટ્રેક જેવી સુવિધાઓ આસપાસના વિસ્તારના લોકો માટે મનોરંજન ની સુવિધા પુરી પાડશે. સાથે સાથે પર્યાવરણની સમસ્યાને પણ હળવી કરશે. આ જડેશ્વર વન અમદાવાદ શહેર માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં નમૂનેદાર વન બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે લોકભાગીદારીથી વૃક્ષો વાવવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિવિશેષોને “વનપંડિત પુરસ્કાર”,  સામાજીક વનીકરણમાં સ્વપ્રેરિત કાર્ય કરનાર વ્યક્તિ-સંસ્થાઓને વન ઉપજની રકમ, તથા વાવેતર કપાણના લાભ માટે તાલુકા પંચાયતો અને ગ્રામવન કપાણના લાભ માટે સરપંચોને વનઉપજની રકમ અપાઈ હતી.

નવસારીનો અનોખો ઢીંગલા મહોત્સવ, વનબંધુઓની ભાતીગળ સંસ્કૃતિની જાનદાર ઓળખ

$
0
0

અમદાવાદ- શ્રાવણ માસની શરૂઆત સાથે જ ઠેર ઠેર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે, આમ તો શ્રાવણ મહિનો તહેવારોનો જ મહિનો હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાતનાં નવસારી શહેરની આગવી ઓળખ બનેલા દિવાસાના તહેવારને ઉજવવા માટે ભક્તોની ભીડ ઉમટી પડે છે.

અંદાજે 200 વર્ષ જૂના આ દિવાસાના ઢીંગલા બાપાના મહોત્સવ પાછળ પૌરાણિક માન્યતા છે, જેની પાછળ લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. માન્યતા પ્રમાણે નવસારીના દાડીવાડ વિષસ્તારમાં 200 વર્ષો પહેલા કોલેરાના રોગે હાહાકાર મચાવતા અનેક લોકોના મૃત્યુ થયા હતા જેને પગલે કોલેરાથી મુક્તિ મેળવવા માટે લલ્લુ રાઠોડ નાંમના સ્થાનિકએ ઢીંગલા બાપાની મુર્તિ બનાવીને તેના વિસર્જન કરવાની શરૂઆત કરી હતી.

વર્ષો પહેલા શરૂ થયેલી પરંપરાને આ જ પરિવારના ચોથા વંશજ રતિલાલ રાઠોડે અકબંધ રાખી છે, દાંડીવાડના સ્થાનિકોએ ઢીંગલા બાપાને ભગવાન માનીને બાધાઑ રાખીને મનોવાંછિત ઈચ્છાઓ પૂર્ણ થતાં નાની 100 થી વધુ ઢીંગલીઓ અને પરીક્ષામાં પાસ થનાર વિધાર્થીઓ દ્વારા પુસ્તકો અર્પણ થાય છે.

બીજી તરફ દીવાસા તરીકે ઓળખાતા આ વિશિષ્ટ તહેવારથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં નવસારીની અલગ ઓળખ બની છે. શ્રાવણ માસની શરૂઆત સાથે જ અમાસનો સયોગ આવતા નવસારીના હળપતિ સમાજ દિવાસાના તહવારને ઉજવે છે.

અસાધ્ય રોગ અને અટકેલાં કામો બાબતે માનતા રાખી આજુબાજુ વિસ્તારના લોકોમાં ઢીંગલા બાપામાં આસ્થા ધરાવે છે. દરવર્ષે અમાસને દિવસે નવસારીના દાંડીવાડથી વેરાવળ સુધી શોભા યાત્રા કાઢવામાં આવે છે, અને ત્યારબાદ ભારે હ્રદય સાથે ઢીંગલા બાપાને વિસર્જિત કરાય છે.

ભારે વરસાદથી પીડિત દક્ષિણ ગુજરાત, વિવિધ રાહત અને બચાવકાર્યો, રોગચાળાનો ભય…

$
0
0

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અત્યારે જોરદાર મેઘમહેર જોવા મળી રહી છે. પહેલા સુરતની વાત કરીએ તો સુરતમાં અત્યારે જોરદાર વરસાદ વરસી રહ્યો છે.

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અનરાધાર વરસાદના કારણે મહુવાના અલગટ અને વાલોડના અલગટ ગામને જોડતો ખાડી પરનો કોઝવે, નળધરા અને ડુંગરી ગામને જોડતો ધુમાસી ખાડી પરનો કોઝવે,કોષ અને ઉપલી કોષને જોડતો કોષ ખાડી પરનો કોઝવે, વેહલવ અને તરકાણી ગામને જોડતો કોષખાડી પરનો કોઝવે, વાલોડ તાલુકામાં ઘાણી અને બામણામાળને જોડતો ઓલણ નદી પરનો કોઝવે,ભગવાનપુરા અને સાંબા ગામને જોડતો ઓલણ નદી પરનો કોઝવે, સેવાસણ અને વાછાવાડ ગામને જોડતો ટોકરવા ખાડી પરનો કોઝવે મહુવરીયા અને હળદવા ગામની વચ્ચે કોતર પર આવેલો કોઝવે, ધોળીકુઈ અને દેદવાસણ ગામને જોડતો કોતર પર આવેલો કોઝવે, કઢૈયા અને ડુંગરી ગામને જોડતો ધુમાસી ખાડી પરનો કોઝવે,વાઘેશ્વર અને ઘડોઈ ગામને જોડતો કોઝવે, ઘડોઈ અને ગોપલા ગામને જોડતો ખાડી પરનો કોઝવે, ધામખડી અને માછીસાદળા ગામને જોડતો ઓલણ નદી પર આવેલ કોઝવે આ તમામ પાણીમાં ગરક થતાં કોઝવેની બંન્ને તરફના ૨૬થી વધારે ગામડાના લોકોનો અવરજવર થંભી ગઈ હતી.

ડાંગ જિલ્લામાં ભારે મેઘ ખાંગા થતાં ડાંગ જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવતા 21થી વધુ કોઝવે કમ પુલો દિવસભર પાણીમાં ગરકાવ થયા હતા અને રાજ્ય ધોરીમાર્ગોમાં રવિવારે અનેક જગ્યાએ ભેખડો ધસી પડતા ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં દસેક દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રવિવારે સતત દસમા દિવસે પડેલા ધોધમાર વરસાદના પગલે જિલ્લાની લોકમાતા નદીઓ અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણામાં ઘોડાપૂર આવતા ગાંડીતૂર બની વહેતી હતી. શનિવારે રાતથી રવિવારે દિવસ દરમિયાન ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબકતા ચારેય લોકમાતાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કેટલાક ખેડૂતોના ડાંગર રોપેલા ખેતરોમાં નદીના પાણી ફળી વળતા વ્યાપક નુકસાન થયું છે. ડાંગ જિલ્લામાં સતત દસ દિવસથી અવિરતપણે ખાબકી રહેલ વરસાદના પગલે ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

21થી વધુ કોઝવે કમ પુલ પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં 33થી વધુ ગામડાઓ જિલ્લાના વહીવટી મથકથી વિખૂટા પડી સંપર્કવિહોણા બન્યા હતા. રવિવારે ઘોડવહળ કોઝવે, સૂપદહાડ કોઝવે, આંબાપાડા કોઝવે, કુમારબંધ કોઝ વે, ચીખલંદા કોઝ વે, સુસરદા કોઝ વે, ઉગા ચિચપાડા કોઝ વે, ખાતળ-ઘોડી કોઝ વે, દબાસ કોઝ વે, પાંડવા કોઝ વે, કુડકસ કોઝવે, ગાયખાસ કોઝ વે, લિંગા કોઝ વે, ચવડવેલ કોઝ વે, કોસંબિયા કોઝ વે, ચૌકયા કોઝ વે, સતીવાંગણ કોઝ વે, કાકડવિહીર કોઝ વે, ધૂળચોંડ કોઝ વે, ચીખલા કોઝ વે, પીપલદહાડ કોઝ વે દિવસભર ગરક રહ્યા હતા. જેના પગલે સતત દસમા દિવસે ઘોડવહળ, સૂપદહાડ, લહાનબર્ડા, સૂર્યાબર્ડા, આંબાપાડા, ઉંગા, ચિચપાડા, કુમારબંધ, બોરદહાડ, ચીખલદા, ઘોડી, ચીખલા, ધૂળચોંડ, ભેંડમાળ, મલિન લવાર્યા, આમસરવળણ, દગડીઆંબા, કુતરનાચ્યા, વાંગણ, સતિ, લહાનદબાસ, મોટીદબાસ, ચવડવેલ, ગાયખાસ, અંજનકુંડ, ચૌકયા, પાંડવા, કોસંબિયા, લિંગા, કાકડવિહીર, ખેરીન્દ્રા, જોગથવા સહિતનાં ૩૩થી વધુ ગામડા જિલ્લાનાં વહીવટી મથકેથી વિખૂટા પડી સંપર્કવિહોણા બન્યા હતા.

આ ગામડાઓના આવન-જાવનના માર્ગો બંધ રહેતા ૧૦,૦૦૦થી વધુ લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું. ડાંગ જિલ્લામાં શનિવારે રાતે ધોધમાર વરસાદ ખાબકતા આહવા-વઘઈ સ્ટેટ ધોરીમાર્ગનાં ઘોઘલી ઘાટ સહિત પાંચેક જગ્યાએ તથા પીંપરી-કાલીબેલ-ભેંસકાતરી રાજ્ય ધોરીમાર્ગમાં તેમજ વઘઈ-સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગના મકરધ્વજ મંદિર નજીક ભેખડો, મોટી અને વૃક્ષો ધરાશાયી થઈને ધસી પડતાં રાતથી રવિવારે બપોર સુધી આ માર્ગ ચક્કાજામ રહ્યો હતો. જેનાં પગલે વાહનવ્યવહાર ખોરવાયો હતો. જોકે ડાંગ સ્ટેટ ધોરીમાર્ગનાં નાયબ કાર્યપાલક ઈજનેર ધર્મેશભાઈ પટેલ અને અમિષભાઈ પટેલની ટીમે જેસીબી કાર્યરત રાખી અવરોધ હટાવ કામગીરી હાથ ધરી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો. કેટલાક ગામડાઓમાં વીજપોલ ઉપર વૃક્ષો પડી જવાનાં પગલે વીજળી ડુલ થઈ જતાં અંધારપટ છવાયો હતો. મોટાભાગનાં આંતરિક રસ્તાઓ, કોઝ વે કમ પુલો તથા મુખ્યમાર્ગોની સાઈડો ધોવાઈ જતા મોટી ખાનાખરાબી સર્જાવાની સાથે ઠેરઠેર નુકસાનીનાં અહેવાલો સાંપડી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં વરસી રહેલા ભારે વરસાદનાં લઈને મધુબન ડેમનું જળસ્તર સતત વધી રહ્યું છે. ડેમનાં તમામ દસ દરવાજા ૫.૭૦ મીટર ખુલ્લા હોવા છતાં જળસપાટી ૭૫.૦૫ મીટરે પહોંચી ચૂકી છે. વાપી સેલવાસમાં વરસાદનો આંકડો ૧૦૦ ઇંચને આંબવાને નજીક છે. દાદરા નગર હવેલીમાં દમણગંગા નદીના કિનારા ઉપર સતત પોલીસ પેટ્રોલિંગ ગોઠવાયેલું છે.

રવિવારે પણ દક્ષિણ ગુજરાતમાં વલસાડના કપરાડામાં ૧૫ ઇંચ, વાંસદા અને ખેરગામમાં ૧૧ ઇંચ, વાપીમાં ૧૦ ઇંચ અને સુરતના ઉમરપાડામાં ૯ ઇંચ વરસાદ નોંધાયો હતો.નવસારીમાં ૩ હજાર લોકોનું સ્થળાંતર કરાવાયું હતું.   સુરત જિલ્લામાં ૭૨૧ વ્યક્તિ અને ચીખલીમાં ૪૦૦ વ્યક્તિઓનું સ્થળાંતર કરાવાયું હતું. વલસાડના ધરમપુરના પીપરોળ ગામની મહિલા રસ્તો ઓળાંગતી વેળાં નદીમાં તણાઇ ગઇ હતી. ડાંગના ૨૧ કોઝવે પુલ આજે પણ વરસાદી પાણીમાં ગરક હોવાથી ૩૩ ગામના સંપર્ક વિહોણા થઇ ગયા હતા. છેલ્લા બે દિવસથી આ ૩૩ ગામના લોકો સંપર્ક વિહોણા બન્યાં છે.

શ્રીકાર વરસાદઃ કપરાડામાં સૌથી વધુ 24 ઈંચ વરસાદ, 170 તાલુકામાં મેઘમહેર

$
0
0

સુરતઃ ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ઘણી નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. ત્યારે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના રાજયના ૧૭૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં ૨૪ તાલુકાઓમાં ચાર ઈંચથી માંડીને ૨૩ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરપાડામાં ૨૩ ઈંચથી વધુ વરસાદ અને કપરાડામાં 24 ઈંચ વરસાદ વરસ્યો છે.

રાજયના ૧૭૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ છેલ્લાં ચોવીસ કલાકમાં વરસ્યો છે તે પૈકી ૨૪ તાલુકામાં ચાર ઈંચથી ૨૩ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરપાડામાં ૫૮૭ મી.મી., માંગરોળમાં ૪૫૧ મી.મી. એટલે કે ૧૪ ઈંચથી વધુ ડેડિયાપાડામાં ૩૧૮ મી.મી., વાલિયામાં ૨૦૩ મી.મી., સુરતના માંડવીમાં ૨૦૨ મી.મી., ક્વાંટમાં ૨૦૧ મી.મી., સુબિરમાં ૧૮૭ મી.મી., સોનગઢમાં ૧૮૫ મી.મી., ઉચ્છલમાં ૧૭૯ મી.મી., વાપીમાં ૧૫૧ મી.મી., નાંદોદમાં ૧૪૯ મી.મી., ડભોઈમાં ૧૪૭ મી.મી., નેત્રંગમાં ૧૪૩ મી.મી., વ્યારામાં ૧૩૫ મી.મી., અંકલેશ્વરમાં ૧૩૦ મી.મી., સાગબારામાં ૧૨૬ મી.મી., જાંબુઘોડામાં ૧૧૯ મી.મી., ધરમપુરમાં ૧૧૫ મી.મી., ઓલપાડમાં ૧૧૨ મી.મી., તીલકવાડા ૧૦૪ મી.મી., કામરેજમાં ૧૦૨ મી.મી. અને વઘઈમાં ૧૦૦ મી.મી. એટલે કે ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે એ ઉપરાંત અન્ય ૧૪૬ તાલુકાઓમાં ૪ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

આજે સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા સુધીના ૪ કલાકના સમયગાળામાં નવસારીના વાંસદા અને ડાંગના વઘઈ તાલુકામાં ૮ ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજયના ૪૯ તાલુકાઓમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં વાંસદામાં ૨૦૭ મી.મી. અને વઘઈમાં ૨૦૦ મી.મી. એટલે કે ૮ ઈંચ જેટલો વરસાદ ૪ કલાકમાં વરસ્યો છે. એ ઉપરાંત આહવામાં ૯૩ મી.મી., ડોલવણમાં ૪૩ મી.મી., સુબિરમાં ૩૬ મી.મી., ગણદેવીમાં ૩૪ મી.મી. અને ક્વાંટમાં ૨૯ મી.મી. એટલે કે એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૫ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૬૧.૫૫ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૪૧ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૯ જળાશયો છલકાયા છે. ૭ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૬ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૬૩.૮૭ ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૮૭.૦૬ ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે. 

રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૧,૮૪,૫૯૨, દમણગંગામાં ૧,૪૯,૧૭૧, ઉકાઇમાં ૧,૩૧,૦૬૩, સુખીમાં ૫૪,૯૭૪, કરજણમાં ૨૭,૯૮૧,  કડાણામાં ૭,૭૭૮, પાટાડુંગરીમાં ૬,૦૮૧, વેર- ૨માં ૫,૧૬૯, બલદેવામાં ૪,૯૧૯, પાનમમાં ૪,૦૭૭, ઉમરિયા ૪,૦૦૮, ઝૂઝમાં ૩,૫૧૮, પીગુટમાં ૨,૪૦૬, ડોસવાડામાં ૨,૧૦૮, કેલિયામાં ૨,૦૯૯, દેવમાં ૧,૯૭૬, ધોલીમાં ૧,૪૬૧, આજી-૩માં ૧,૧૯૪ અને વાણાકબોરીમાં ૧,૧૦૦ ક્યુસેકનો સમાવેશ થાય છે.

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૬.૨૪ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૭.૫૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૬.૩૦ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૭૬ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૨૦.૦૭ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૮.૦૧ ટકા એટલે ૨,૧૧,૬૨૪.૪૪ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે,

મહિલા PSIના ઘરમાં ઘૂસી કરી ધમાલ, પોતાના શરીર પર માર્યાં છરાના ઘા…

$
0
0

રાજકોટઃ રાજકોટમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટની એક મહિલા પીએસઆઈના ઘરમાં ઘૂસીને સૂરતના એક પત્રકાર એવા એકતરફી પ્રેમીએ ધમાલ કરી છે. આ વ્યક્તિએ ધાકધમકી આપી અને બાદમાં પોતાના હાથ અને ગળાના ભાગે છરીના ઘા મારી દીધાં હતાં. મહિલા પીએસઆઈ જ્યારે તેને બચાવવા ગયાં તો તેમને પણ ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે અત્યારે પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લીધો છે.મહિલા પીએસઆઇ ફરિયાદી હોવાથી તેની ઓળખ જાહેર કરવા માગતી ન હોવાનું તપાસનીશ પોલીસ અધિકારી પીઆઇ. વી. એસ.વણઝારે જણાવ્યું હતું. એકતરફી પ્રેમી વારંવાર ફોન પર મેસેજ કરી પરેશાન કરી પરાણે સંબંધ બાંધી ખોટી રીતે ફોટા વાઇરલ કરવાની ધમકી આપતો હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત મોડી રાત્રિના સૂરતથી ઇબ્રાહીમ શેખ નામનો પત્રકાર મહિલા પીએસઆઇના ઘરમાં છરી સાથે ઘૂસી ગયો હતો. જેને લઇ ફરિયાદી મહિલા પીએસઆઇ ગભરાઈ ગયાં હતાં અને પોતાની સાથે કેમ સંબંધ નથી રાખતાં અને ફોન કેમ રિસિવ કરતાં નથી તેમ કહી માથાકૂટ શરૂ કરી હતી અને પોતાની પાસે રહેલી છરી કાઢી હાથ અને ગળાના ભાગે છરાના ઘા મારી દીધાં હતાં.

જેને લઇ મહિલા પીએસઆઇએ તેને બચાવવા જતાં તેમને પણ જમણા હાથની આંગળીમાં ઇજા થઇ હતી. આ વ્યક્તિ સૂરતનો પત્રકાર હોવાનું સામે આવ્યું છે. ત્રણ સંતાનો પિતા છે અને અગાઉ સમાચાર લેવાદેવા મુદ્દે ઓળખ થઇ હતી અને બન્ને વચ્ચે સંપર્ક થયો હતો. આરોપી વારંવાર મહિલા પીએસઆઇને ફોન કરી સંબંધો રાખવા દબાણ કરતો હતો. પરંતુ ફોન નહીં રીસિવ કરતાં તેણે સૂરતથી રાજકોટ આવી ધમાલ મચાવી હતી. પોલિસ અધિકારી આ મામલે સંકળાયેલાં હોઈ મામલો ઘણો ચર્ચાસ્પદ બન્યો હતો. રાજકોટમાં જ ગત માસમાં બે પોલિસ અધિકારીઓના આપઘાત કેસની વાત સામે આવી હતી ત્યાં ફરી પોલિસ અધિકારીને સાંકળતી આવી ઘટના બહાર આવી છે.

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, પાલખી યાત્રા અને પાઘ…

$
0
0

સોમનાથઃ ભક્તોને અતિપ્રિય એવો શ્રાવણ માસ અને તેમાં આવતો  પ્રથમ સોમવાર હોય એટલે તમામ શિવમંદિરોમાં ભક્તોનો સાગર સાગર છલકાતો જોવા મળે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભાવિકોના ઘોડાપૂર ઉમટ્યાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરના સવારે 4-00 વાગ્યે દ્વાર ખુલતાની સાથે જ પદયાત્રીઓ ભક્તોએ લાઇન બધ્ધ સુનિયોજીત વ્યવસ્થા પ્રમાણે ભક્તોએ દર્શન કર્યા હતાં.શ્રાવણ માસમાં પાર્થિવલિંગ પૂજનનો પણ ખૂબ મહિમા છે ત્યારે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પાર્થિવલિંગ પૂજન પણ કર્યું હતું. લાઇનો મંદિર બહાર પણ સુંદર રીતે પોલીસ પ્રસાશન અને સોમનાથ સીક્યોરીટી દ્વારા ગોઠવવામાં આવી હતી. ભગવાન મહાદેવની પ્રાતઃઆરતી મહાપુજનનો દુર-દુરથી આવતા ભક્તોએ લ્હાવો લીધો હતો. સવારે 9-00 વાગ્યે મંદિર પરિસરમાં શ્રાવણી સોમવારે પારંપરિક પાલખી યાત્રા પણ યોજાઈ હતી.

મહાદેવ નગરચર્યાએ નીકળ્યા ત્યારે ભક્તોએ હર હર મહાદેવના નાદ અને પુષ્પો સાથે ભગવાનનું સ્વાગત કર્યું હતુ. પાલખી પૂજન ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરીએ કર્યું હતું.

જામનગરના વિક્રમસિંહ જાડેજા પરિવાર દ્વારા શ્રાવણના પ્રથમ સોમવારે ભગવાન મહાદેવને પાઘ ચડાવવામાં આવી હતી. મંદિરનું નિર્માણ જેમના કરકમલોથી થયુ તેવા જામ સાહેબ દિગ્વિજયસિંહના સમયકાળમાં મંદિરના વાઘા અને પાઘ તૈયાર કરવામાં આવતી હતી. પારંપરીક કારીગર પરિવાર જામનગરના ગોપાલભાઇ શાંતીભાઇ પીઠડીયા દ્વારા 1 માસની મહેનત બાદ આ પાઘ તૈયાર કરવામાં આવી છે.

બાઈકિંગ ક્વીન્સઃ જીનલ શાહનાં પાસપોર્ટ સહિતની બેગ ચોરાયા છતાં યાત્રા અવિરત

$
0
0

સુરત : ત્રણ ખંડના 25 દેશોના ઐતિહાસિક પ્રવાસે નીકળેલી સુરતની બાઈકિંગ કવીન્સની એક સાથી જીનલ શાહનાં પાસપોર્ટ સાથેના અગત્યના તમામ દસ્તાવેજો સાથેની બેગ રશિયામાં ચોરાઈ ગઈ હતી. દસ્તાવેજો ગૂમ થયા પછી ત્યાંની પોલીસ અને ભારતીય એલચી કચેરીને એ વિશે જાણ કરવામાં આવી હતી. સાથોસાથ જીનલ શાહનાં બીજા પાસપોર્ટ માટેની પ્રક્રિયા પણ ભારતીય એલચી કચેરીએ તુરંત શરૂ કરી દીધી હતી.

બાઈકિંગ ક્વીન્સ તરફથી મળેલા નિવેદન અનુસાર, નવા પાસપોર્ટની રાહ જોઈને જીનલ શાહ એમના પરિવારની સંમત્તિથી મોસ્કોમાં એક પારિવારિક મિત્રને ઘરે રોકાયાં હતાં. રશિયાની સરહદે રવાના વખતે જયારે ખ્યાલ આવ્યો કે જીનલ શાહનાં પાસપોર્ટ સહિતના દસ્તાવેજો ચોરાઈ ગયા છે ત્યારે રાત્રે આખી ટીમે એની શોધખોળ આદરી હતી. તેમજ સંબધિત તંત્રને જાણ પણ કરવામાં આવી હતી.

રશિયાના કાયદા અનુસાર અને ભારતીય એલચી કચેરીના સૂચન મુજબ જીનલ શાહને મોસ્કો મોકલવામાં આવી હતી. એ માટે એલચી કચેરીએ એક વાહનની સુવિધા આપી હતી સાથે જ બાઈકિંગ કવીન્સની બેક-અપ ટીમનાં સભ્ય હની દેસાઈ મોસ્કો સુધી સાથે ગયાં હતાં અને બીજાં એમ્બેસીમાં પણ સાથે હતાં. મોસ્કોમાં ચાલતી આ પ્રક્રિયા દરમિયાન બાઈકિંગ કવીન્સ રશિયાની સરહદ પર બે દિવસ માટે પોતાની યાત્રા થંભાવીને રોકાઈ હતી. સાથે જ એમના રશિયાના વિઝા પણ પૂરા થતા હોઈ બાકીનાં સભ્યોએ આગળ વધવું આવશ્યક હતું. જીનલ શાહની પૂરી સંમત્તિ સાથે બાઈકિંગ કવીન્સની અન્ય બે સભ્યો – ડો. સારિકા મહેતા અને ઋતાલી પટેલે યાત્રા આગળ વધારી હતી અને જીનલ શાહ મોસ્કોમાં રોકાયાં હતાં.

બાઈકિંગ કવીન્સની આગળ વધતી યાત્રા દરમિયાન જીનલ શાહના પાસોપોર્ટ અને વિઝાની તમામ પ્રક્રિયામાં ડો.સારિકા મહેતા સંપર્ક અને સંકલનમાં હતા. રશિયામાં આવેલી ભારતીય એમ્બેસીએ એમને શક્ય એટલી તમામ કાયદાકીય અને વહીવટી પ્રક્રિયામાં પૂરતો સહયોગ આપ્યો હતો. હવે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે જીનલ શાહે પરત ભારત આવવું પડી રહ્યું છે, એક સાથીને યાત્રાની અધવચ્ચે જવાનું અમને બહુ દુઃખ છે. અમારાં પ્રયત્નો હજી પણ ચાલુ જ છે કે અમારી યાત્રાના અંતિમ તબક્કે જીનલ શાહ અમારી સાથે જોડાઈ જાય.

આ અમારા સૌ માટે બહુ પીડાદાયક છે કે અમે અમારી યાત્રામાં એક સાથી વિના આગળ વધી રહ્યા છીએ. કાયદો અને નિયમોનું પાલન કરવું અમારા માટે જરૂરી છે. રશિયામાં બનેલી કમનસીબ ઘટના અને વિઝા-પાસપોર્ટના નિયમોના કારણે આ બન્યું છે. અમે રશિયન એમ્બેસી સાથે રહીને શક્ય તમામ પ્રયત્નો કર્યા છે એટલે જીનલને નવો પાસપોર્ટ મળ્યો છે પણ યુરોપના દેશોના વિઝા ન હોવાથી એ અમારી સાથે જોડાઈ નથી શકી પણ એ અંતિમ તબક્કામાં અમારી સાથે જોડાશે એવી અમને આશા છે.


ભવિષ્યમાં વરસાદી પાણીથી તારાજી ન સર્જાય તે માટે લોન્ગ ટર્મ પ્લાનિંગની ચર્ચા

$
0
0

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગવર્નિંગ કાઉન્સીલની બેઠક મળી હતી. આ બેઠકમાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના વરસાદી પાણી આવી જવાને કારણે સર્જાયેલી આફતના ઉપાય રૂપે લાંબાગાળાના પગલાંઓની ચર્ચા-વિચારણા કરવામાં  આવી હતી.

ભવિષ્યમાં વરસાદી આફતને કારણે વડોદરા શહેરમાં પાણી ભરાવાની વિપદા ન સર્જાય તે માટેનો લોન્ગટર્મ એકશન પ્લાન શહેરી વિકાસ વિભાગ અને સંબંધિત વિભાગો સાથે મળીને આ આપદા પ્રબંધન સંસ્થાન તૈયાર કરે તેવું મુખ્યપ્રધાને સૂચન કર્યુ હતું.  મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી આ ગવર્નિંગ કાઉન્સીલની બેઠકમાં જી.આઇ.ડી.એમ દ્વારા ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ તથા પ્રિવેન્શન ઓફ ડિઝાસ્ટર્સ માટે કેપેસિટી બિલ્ડીંગના જે કાર્યો હાથ ધરાઇ રહ્યા છે તેની વિસ્તારથી ભૂમિકા આપવામાં આવી હતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ…  

વિજય રૂપાણીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટીટયૂટ દ્વારા આપદા પ્રબંધન સાથો સાથ હવેના સમયની માંગ અનુરૂપ નાગપૂર ફાયર કોલેજ જેવા ફાયર ટ્રેનિંગ, રિસ્ક મેનેજમેન્ટના કોર્સીસ શરૂ થાય અને યુવાશકિતને તાલીમ અપાય તેવી હિમાયત પણ કરી હતી. ગાંધીનગર નજીક આકાર પામેલી ગિફટ સિટીનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટીટયૂટ બનાવે છે તેની જાણકારી બેઠકમાં આપવામાં આવી હતી. મુખ્યપ્રધાને આ સંદર્ભમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આવો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ જી.આઇ.ડી.એમ. તૈયાર કરે તેવું સૂચન પણ કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટીટયૂટની સ્થાપના  રાજ્ય સરકારે કચ્છમાં ર૦૦૧માં થયેલા ભયાવહ ભૂકંપની તારાજી પછી આવી ત્રાસદીઓ સામે પ્રબંધનના હેતુસર ર૦૦૩માં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પસાર કરીને ર૦૧ર થી અલાયદી ઇન્સ્ટીટયૂટ તરીકે કરેલી છે. આ વર્ષે આ સંસ્થા દ્વારા ૧૦૩ જેટલા ટેકનોલોજી ડ્રિવન વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાશે તેની પણ વિગતો ચર્ચવામાં આવી હતી.

જી.આઇ.ડી.એમ.ના રજૂ થયેલા પ્રેઝન્ટેશન દરમિયાન ડાયરેકટર જનરલ પી. કે. તનેજાએ વધુ વિગતો આપતાં કહ્યું કે, આ ઇન્સ્ટીટયૂટના સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર અંતર્ગત બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ જેવા સાર્ક રાષ્ટ્રોમાંથી ૩૮૩ તજ્જ્ઞો-તાલીમાર્થીઓએ ૧પ જેટલા કાર્યક્રમોમાં ભાગ લીધો છે.

 

નર્મદા ડેમની સપાટીમાં ઐતિહાસિક વધારો, જો દરવાજા ન હોત તો…

$
0
0

નર્મદા : ઊનાળાના દિવસોમાં રાજ્યની જીવાદોરી બનતાં સરદાર સરોવર ડેમમાં પાણીની સારી આવક થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. આ ઉપરાંત ઉપરવાસમાં વરસાદ હોવાને કારણે પાણીની આવક વધી રહી નર્મદાની સપાટીમાં વધારો થયો છે. ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની સપાટીમાં આજે ઐતિહાસિક વધારો નોંધાયો છે.

હાલ નર્મદા ડેમની સપાટી 127.30 મીટરે પહોંચી છે. ગઇકાલે આ સપાટી 126.12 મીટરે પહોંચી હતી. જો ડેમના દરવાજા ન હોત તો હાલ ડેમ 5 મીટરથી ઓવરફ્લો થતો હોત. પાણીની આવક વધવાને કારણે CHPHનું 1 ટર્બાઇન ચાલુ કરાયું છે.

ઉપરવાસમાંથી 117568 ક્યુસેક પાણીની આવક થતાં કેનલમાં ગુજરાત માટે 4900 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 2150 mcm લાઈવ સ્ટોરેજ પાણી છે. 24 કલાકમાં નર્મદા ડેમમાં 1.18 મીટરનો વધારો નોંધવામાં આવ્યો છે. હાલ સપાટી 127.30 મીટરે પહોંચી છે.

નોંધનીય છે કે આ વર્ષે મધ્યપ્રદેશમાં થયેલા શ્રીકાર વરસાદના પગલે રાજ્યના મુખ્ય બંને ડેમમાંથી સરદાર સરોવરમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજકારણની વચ્ચે પણ સરદાર સરોવરમાં પાણીની આવક વધતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

કચ્છ સરહદે પાકિસ્તાન મરીન સિક્યુરિટીની ગતિવિધિઓ તેજ બની

$
0
0

કચ્છ: જમ્મુ-કશ્મીરમાંથી 370ની કલમનું સ્પેશિયલ સ્ટેટસ હટાવી દેવા સાથે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ત્યારે આ કાર્યવાહીથી છટપટાઈ ગયેલ પાકિસ્તાન વળતી કાર્યવાહી કરવાની ધમકી આપી ચૂક્યું છે. આ સંજોગોમાં ગુજરાતની કચ્છ સરહદ ઉપર પાકિસ્તાન મરીનની ગતિવિધિ તેજ બનેલી જોવાઈ રહી છે. ત્યારે સોમવારે ગૃહમંત્રી અમિત શાહે જેવી આ બાબતની જાહેરાત ભારતીય સંસદમાં કરી તે સાથે જ અતિ સંવેદનશીલ મનાતી કચ્છની દરિયાઇ સરહદની સામે પાર પાક મરીન સિક્યુરિટીની ગતિવિધિઓ એકાએક તેજ બની છે. વધેલી આ હલચલને સુરક્ષા ક્ષેત્રના જાણકારો અતી સુચક ગણાવી રહ્યા છે.સોમવારે સવારથી જ કચ્છની સામેપાર પાક મરીન સિક્યુરિટી સહિત અન્ય સ્થાનિક સુરક્ષા એજન્સીઓના વાહનોની અવરજવર સાથે મરીન કમાન્ડોની તૈનાતીનો ધમધમાટ જોવા મળ્યો હોવાનું વિગતો પ્રાપ્ત થઈ છે. રવિવારે પણ પાકિસ્તાનમાં તમામ સુરક્ષા એજન્સીઓની આપાતકાલિન બેઠક બોલાવાઇ હતી. જેમાં પણ સુરક્ષા બાબતે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

બીજીતરફ 370ની કલમ હટતાંની સાથે જ તકેદારીના ભાગરૂપ ઉપરાંત આગામી સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને પણ કચ્છની રણ અને દરિયાઇ સરહદે કડક સુરક્ષા જાપ્તો ગોઠવી દેવાયો છે. પાકિસ્તાનમાં થઇ રહેલી હલચલ પર ભારતીય સુરક્ષા એજન્સીઓએ બાજનજર રાખી અટપટ્ટા નાલાઓમાં પેટ્રોલિંગ બોટ સહિતના માધ્યમથી રાઉન્ડ ધી પેટ્રોલિંગને વધુ સઘન બનાવી દેવાયું છે.

એરસ્ટ્રાઇકની ઘટના પછી પાકિસ્તાને કચ્છ સરહદની સામેપાર પોતાની મરીન સિક્યુરિટીના જવાનોની તહેનાતી કરી દીધી હતી. થોડા સમય પહેલાંજ અહીથી મરીન કમાન્ડોને હટાવી અન્ય ફોર્સના જવાનોની તહેનાતી કરાઇ હતી. ત્યારે ભારત સરકારના કશ્મીર અંગેના નિર્ણય બાદ ફરી મરીન બટાલિયનને ખડકી દેવાઇ છે.

કાષ્ઠકળાના ઐતિહાસિક નગરમાં એ જ વારસાનો નાશ તેજીમાં, વિદેશમાં કરોડો….

$
0
0

સિદ્ધપુર: કોઇપણ નગર હોય તેની આગવી શૈલીસંસ્કૃતિ એવી બાબત છે જે જેતે ક્ષેત્ર માટે ગૌરવ પ્રદાન કરે છે. ગુજરાતમાં પણ એવા કેટલાક નગર છે જે સદીઓ પુરાણી ઐતિહાસિક વારસાઈથી શોભેઓપે છે. એમાં એક છે પાટણ જિલ્લાનું સિદ્ધપુર, ઐતિહાસિક નગર તરીકે જાણીતું આ શહેર પણ આધુનિક વિકાસકાર્યો ઝંખે છે તેમાં બેમત ન હોઇ શકે. જોકે વિકાસના આભાસી ચોલા પાઠળ અહીંની ઐતિહાસિક ઈમારતોનો નાશ થઈ રહ્યો છે. તેમાં પણ વોરા સમાજના કાષ્ટ કળાથી બનાવાયેલા સદી વટાવી ચૂકેલા મકાનોને તોડીને વેચવામાં આવી રહ્યાં છે એ ચિંતા કરવા જેવી વાત છે. વોરા સમાજના ધર્મગુરૂએ મકાનો તોડવા મનાઈ ફરમાવી હોવા છતાં સમાજના જ કેટલાક લોકો તેને અવગણીને કમાણી કરવા મકાનોને તોડી રહ્યાં છે.

વિદેશમાં કરોડોમાં વેચાઈ રહી છે કૃતિઓ

વોરા સમાજના ધર્મગુરૂએ ઈમારતોની જાણવણી કરવાની અને વારસાને સાચવવાની હાકલ કરી છે છતાં કેટલાક લોકો તેને ધોળીને પી ગયાં છે. કાષ્ટ કળાના બેનમૂન નમૂનાને તોડીને નાંખીને કાટમાળમાં ફેરવીને તેનો વેપાર કરતા હોવાના કિસ્સા સામે આવ્યાં છે.

રાજસ્થાનના વેપારીઓએ સિદ્ધપુરના કાષ્ટ કળાના કાટમાળને 70 લાખ સુધીની રકમ ચૂકવીને ખરીદી લીધો છે. જેને જયપુર સહિતના શહેરોમાં લઈ જને કાષ્ટ કળાની બેનમૂન કૃતિઓ પર એલિવેશન બનાવીને તેને વિદેશમાં વેચીને રાજસ્થાની વેપારીઓ કરોડોની કમાણી કરી રહ્યાં છે. એલિવેશન થયેલી વસ્તુઓ ચારેક કરોડમાં વેચાતી હોવાનું જાણવા મળે છે.

અમદાવાદની પોળોના બાંધકામોને સીલ કરાયા હતાં…

તાજેતરમાં જ અમદાવાદની ઐતિહાસિક પોળમાં નવા બાંધકામોને સીલ કરાયાં હતાં. મોટી કમાણી કરવાની લાલચે હેરિટેજ ઈમારતોને નુકસાન કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરી હતી. ત્યારે સિદ્ધપુરમાં પણ ઐતિહાસિક ઈમારતોને તોડીને નવા બિલ્ડિંગ ઊભી કરવાની ચાલતી પ્રવૃતિ સામે તંત્ર પગલાં લેશે કે કેમ તે સવાલ છે.

બોલિવૂડની કેટલીક જાણીતી ફિલ્મોનું શૂટિંગ પણ અહીં થયેલું

બોલિવુડના કિંગ ખાન શાહરૂખની રઈસ ફિલ્મમાં પણ કાષ્ટ કળાના નમૂના એવી વ્હોરવાડમાં ફિલ્મના ગીત કમરીયાનું શૂટિંગ થયેલું છે. આ ઉપરાંત બાહુબલી ફેઈમ રાજમૌલીની આવનાર ફિલ્મ ત્રિપલ આરનું શૂટિંગ અહીં થયું છે. આ સિવાય વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જાહેરાતનું શૂટિંગ પણ અહીં કરાયું હતું. અહીં મુલાકાતે આવતા વિદેશી સહેલાણીઓ કાષ્ટ કળામાં બનેલા મકાનોની તૂલના રોમ અને ઈટાલીના મકાનો સાથે કરે છે.

રોમન ઈટાલિક શૈલીની ઈમારતો

રોમન અને ઈટાલિક શૈલીના ઐતિહાસિક મકાનો 150 વર્ષ આસપાસના ગાળામાં સિદ્ધપુરમાં નિર્માણ પામ્યા હતા. તેને બનાવવા વિદેશથી વહાણોમાં સાગનું લાકડું લાવવામાં આવ્યું હતું. અને તેને તે સમયના 30 હજારના ખર્ચે બાંધવામાં આવ્યા હતા.

અહીંના વાઘ શેઠનો બંગલો અને 360 બારીબારણાંવાળી ઈમારત કાષ્ટ કળાનો ઉત્તમ નમૂનો મનાય છે. તે સમયે આવી ઈમારતો ખાસ પ્રકારના પથ્થરો અને લાકડાથી બંધાતી હતી. તેમ જ તેના બારી અને બારણાઓ પર વિવિધ પ્રકારની કોતરણી કરાતી હતી. હવે ગણ્યાંગાંઠ્યા જ કાષ્ટ કળાના કારીગરો બચ્યાં છે.

આ ચોમાસે છત્રી-રેઇનકોટે વેપારીઓને નવડાવ્યાં…

$
0
0

અમદાવાદઃ નાના હોય કે મોટા, ધંધાધાપામાં ઘરાકીનું જ વધુ મહત્ત્વ હોય છે. હાલમાં ચોમાસાની સીઝન છે. એક તો ખૂબ રાહ જોવડાવીને મેઘો વરસ્યો એટલે લોકોને પણ મેઘરાજાની સવારી સાથે આવતી અમુક સમસ્યાઓ સામે વધુ ફરિયાદનું મન નહોતું. પણ છેવટે ભારે વરસાદ હોય એટલે અવરજવરમાં છત્રીઓ અને રેઇનકોટનો સહારો લેવો પડે.ત્યારે સીઝનલ વેપારીઓને આના વેપારમાં પણ આ વરસે જુદો જ અનુભવ થઈ રહ્યો છે. થોડા દિવસ પાછા ઠેલાયેલા વરસાદ પછી છત્રી, રેઇનકોટની ખરીદી કે વરસાદથી બચવા માટેની જૂની સામગ્રી કાઢવાની ઘણાંએ દરકાર કરી નહીં.

પણ હવે વરસાદી માહોલ જામતાંની સાથે જ પાણીથી પ્રભાવિત ના થવાય એના માટે છત્રીઓ અને રેઇનકોટ નીકળવા માંડ્યાં.અમદાવાદ શહેરના દરેક વિસ્તારની ફૂટપાથો જ્યાં જગ્યા મળે ત્યાં ફેરિયા, ખૂમચાવાળાઓ રંગબેરંગી છત્રીઓનું વેચાણ કરતા જોવા મળી રહ્યાં છે. કાકાની કાળી છત્રથી માંડી, રેઇનબો વાળી તેમ જ વિવિધ રંગબેરંગી ભાતવાળી છત્રીઓ અંદાજે 80-100 થી માંડી 200-250 રુપિયામાં મળી રહી છે.

બાળકો માટે કાર્ટુનના વિવિધ કેરેક્ટર સાથેની નાની વિવિધ આકારની છત્રીઓ પણ મળી રહી છે. મહિલાઓ માટે પણ ડિઝાઇનર છત્રીઓ અલાયદી જોવા મળી રહી છે. આ સાથે રેઇનકોટની પણ મોટી શ્રેણી બજારમાં આવી ગઇ છે. રોજ કમાઇ રોજ ખાતાં, સિઝનલ ચીજવસ્તુઓનો વેપારધંધો કરતાં લોકોએ છત્રીઓ અને રેઇનકોટની જથ્થાબંધ ખરીદી કરી માર્ગો પર મુકી તો દીધી છે.

પરંતુ ખરીદ કરનારા ગ્રાહકો મળતાં નથી, વેપારીઓને આ વર્ષે સખત મંદીના એંધાણ દેખાઇ રહ્યાં છે. માલનો ઉપાડ થતો જ નથી, કેટલાકને તો બોણીના પણ ફાંફા છે. આના પરથી કહી શકાય…કે હાલ આ ચોમાસે છત્રી-રેઇનકોટે વેપારીઓને નવરાવ્યાં….!!

(તસવીરઃ અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ)

RTO અમદાવાદ રાષ્ટ્રીયસ્તરે લોન્ચ કરશે ઇ-ચલણ પ્રોજેક્ટ, અઠવાડિયું અજમાયશ…

$
0
0

અમદાવાદ- અમદાવાદ RTO (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) અને ટ્રાફિક પોલીસના સંયુક્ત પ્રયાસથી ટૂંક સમયમાં અમદાવાદ શહેરમાં નેશનલ ઇ-ચલણ સિસ્ટમ પ્રોજેક્ટની શરુઆત થશે. શરુઆતના તબક્કે અમદાવાદમાં એક અઠવાડિયા સુધી અજમાયશી ધોરણે આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે.

આ અંગે ડીસીપી ટ્રાફિક વહીવટના તેજસકુમાર પટેલના જણાવ્યા અનુસાર, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ સાથે મળીને નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર દ્વારા નેશનલ ઇ-ચલણ સિસ્ટમ સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેરમાં ઑલ-ઇન્ડિયાનું કોઇપણ વ્હિકલ હશે, તેમાં ઇ-ચલણ હવે જનરેટ થઇ થશે. આવનારા સમયમાં આ સોફ્ટવેરથી ફાયદો એ થશે કે વાહન માલિક જ્યારે લાયસન્સ રીન્યૂ કે પછી ફિટનેસ સર્ટિફિકેટ માટે આરટીઓનો સંપર્ક કરશે ત્યારે આ સોફટવેરમાં વાહન માલિકના નામે ભારતમાં ક્યાંય પણ બાકી બોલતાં દંડ, પેનલ્ટીની રકમ ચૂકવવાની બાકી છે કે કેમ તે તુરંત જ જોઇ શકાશે અને આ બાકી રકમની ચૂકવણી થયા બાદ જ વાહનમાલિક વાહન અંગેની કોઇપણ પ્રકાર અંગેની સુવિધા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ઇ-ચલણ જનરેટ થતાની સાથે વાહન ચાલકના રજિસ્ટ્રેશન મોબાઇલ નંબર પર તરત જ મેસેજ મળી જશે.

હાલ આ સોફ્ટવેરનો ઉપયોગ ૧૨ રાજ્યોની આરટીઓ ઓફિસ કરી રહી છે, જેમાં ૫ રાજ્યની પોલીસ પણ તેમને સહકાર આપી રહી છે. હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ આરટીઓની સાથે મળીને આ પહેલ કરી છે. અમદાવાદ શહેરમાં ૧ અઠવાડિયા સુધી ટ્રાયલ બેઝ પર આ પ્રોજેક્ટની શરુઆત કરવામાં આવશે. અમદાવાદમાં આ પ્રોજેક્ટની સફળતા બાદ તરત જ સુરત, વડોદરા, રાજકોટ અને જિલ્લા સ્તર પર લોન્ચ કરવામાં આવશે.

આ સોફ્ટવેર ટ્રાયલ બેઝ્ડ પર કેવી રીતે કામ કરશે?

આ સોફ્ટવેર ટ્રાયલ બેઝ્ડ પર કેવી રીતે કામ કરશે તેની માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, અમદાવાદ આર.ટી.ઓ કચેરી  દ્વારા સૌપ્રથમ અમદાવાદ સિટીનું એક એડમિન ક્રિએટ કરવામાં આવશે. જેના અંતર્ગત ૨૦ માણસોને એનડ્રોઇડ એપ આપવામાં આવશે. જેઓ ઇ-ચલણ જનરેટ કરશે. ત્યારબાદ આ ઇ-ચલણ જનરેટ થયેલો ડેટા આપમેળે આરટીઓ પાસે પહોંચી જશે. આ સાથે વાહન માલિકને તેના રજિસ્ટ્રર મોબાઇલ નંબર પર ઇ-ચલણની માહિતી પણ મળી જશે. વાહન ચાલકને ઇ-ચલણનું પેમેન્ટ ઓનલાઇન કરવું હશે, તો ઓનલાઇન પણ થઇ જશે. એટલે કે ટૂંકમાં આરટીઓમાં જેટલા વાહન રજિસ્ટ્રેશન હશે તેમનું ઇ-ચલણ જનરેટ થવાનું ચાલું થઇ જશે.

આ સોફ્ટવેર અંતર્ગત જ્યારે કોઇપણ વાહન માલિક આરટીઓમાં પોતાનું વાહન લઇને આવશે, ત્યારે તેનો મોબાઇલ નંબર કે પછી લાયસન્સની વિગતો નાખતાં સાથે જ તમામ હિસ્ટ્રી સામે આવી જશે. જેમ કે અગાઉના ઇ-ચલણ ચૂકવવાના બાકી હોય, કોઇ ગુન્હામાં વાહન પકડાયું હોય વગરે. જેમાં વાહન ચાલકે પેનલ્ટી સાથે દંડની રકમ ભરવી પડશે. વાહન ચાલકે અમદાવાદમાં ગુનો કર્યો હશે તો આ ગુનો અન્ય રાજ્યમાં પણ દેખાડશે. આ ઉપરાંત જ્યાં સુધી દંડની રકમ પેનલ્ટી સાથે ભરપાઇ નહીં થાય ત્યાં સુધી લાયસન્સ રીન્યૂ, વાહન વેચાણ કે પછી ફિટનેસ સર્ટિફિકેટ પણ નહીં મળે.

આમ, ‘વન નેશન, વન ચલણ’ની જેમ દેશમાં આર.ટી.ઓના કામમાં એકસુત્રતા આવે તે માટે આ સોફ્ટવેર ખૂબ જ અગત્ય સાબિત થવાનું છે. વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો એક રાજ્યમાં ગુન્હો કરીને બીજા રાજ્યમાં આરામથી ફરી શકતા હતા, તે હવે બંધ થશે. કારણ કે, આ સોફ્ટવેરને કારણે સમગ્ર દેશની આર.ટી.ઓ સિસ્ટમમાં જે-તે વાહન ચાલકે કરેલ ગુન્હો, દંડની રકમ, કેટલી વાર ગુન્હો કર્યો છે, જેવી તમામ વિગતો એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. દેશમાં અને ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં જ્યારે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, તેવા સમયે આ પ્રકારની ટેક્નોલોજીકલ અપગ્રેડેશન ટ્રાફિકને સરળ અને સુવ્યવસ્થિત કરવા માટે ઉપયોગી બની રહેશે.

અમદાવાદમાં યોજાઈ અનોખી મોબાઈલ ફોટોગ્રાફી સ્પર્ધા, 150 સ્પર્ધકોએ કરી…

$
0
0

અમદાવાદ- સાબરમતી રિવરફ્રન્ટના ફલાવર પાર્ક ખાતે ‘ઓન ધ સ્પોટ’ નામની એક અનોખી મોબાઈલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોબાઈલ ફોટોગ્રાફી સ્પર્ધામાં 150થી વધુ તસવીરકારોએ ભાગ લીધો હતો.

એક કલાક ચાલેલી આ સ્પર્ધામાં તસવીરકારો દ્વારા જૂદી જૂદી વિષય વસ્તુ સાથે ફોટોગ્રાફી કરવામાં આવી હતી.

ફોટોગ્રાફી સ્પર્ધામાં વિજેતાઓને રૂ. 50,000 સુધીનાં ઈનામો આપવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત તમામ સ્પર્ધકોને જ્યુરીના હસ્તાક્ષર કરેલાં પ્રમાણપત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધાની જ્યુરીમાં પ્રસિદ્ધ પ્રોફેશનલ તસવીરકારો પ્રો.પરમાન્દ દલવાડી, પ્રો.મહેન્દ્ર નિકમ, રાધીકા પંડીત અને ભાર્ગવ પંડયાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શહેરીજનોને વધુ એક નઝરણું મળશે. 8 કરોડના ખર્ચે ફ્લાવર ફાઉન્ટન અને ગાર્ડન તૈયાર થઈ રહ્યો છે. ડફનાળા પાસે રિવરફ્રન્ટ પર 11520 ચોરસ મીટરમાં નિર્માણ થનાર આ ગાર્ડન અને જર્મન ટેકનોલોજી વાળો ફ્લાવર ફાઉન્ટન બાળકોને આનંદની અનુભૂતિ કરાવશે.


અધિકારીનું આ કામ બિરદાવવા લાયક, જૂનાગઢનું તળાવ બન્યું ઉદાહરણરુપ

$
0
0

જૂનાગઢ- સત્તામાં રહેલાં શાસક હોય કે વહીવટીતંત્રમાં રહેલા અધિકારીઓ, એ બધાં કેવું કામ કરે છે એની તપાસ કરવાને બદલે એની ટીકાના કરવામાં જ ઘણાંને વધારે રસ પડતો હોય છે. જોકે સત્તા અને વહીવટીતંત્રનો ઘણો મોટો વર્ગ આસપાસના કોલાહલને અવગણીને પણ પોતાનું કામ કરતાં જાય છે.

ચોક્કસ, ટીકાઓ અને ચાંપતી નજર જરૂરી છે, પણ એ સાથે જરૂરી એ પણ છે કે ખરેખર જે થઈ રહ્યું છે એની જાણ- મેળવીએ, માત્ર સાંભળેલી વાતો પર મંતવ્યો આપી પોતાનો આક્રોશ ઠાલવવો ન જોઈએ.

જૂનાગઢના તળાવની પાળે જતાં સ્થાનિકો માટે એ આશ્ચર્યની વાત હતી કે પાંચેક દિવસ પહેલાં  વેલનું સામ્રાજ્ય તળાવને ઘેરીને વિસ્તરેલું હતું, ત્યાં સ્વચ્છ મેદાન અને ત્યાં વેલ તો હતી જ નહીં.

મહાનગરપાલિકાના અધિકારી અતુલભાઈ મકવાણા સાંજે ૧૫ જેટલા મજૂરો સાથે એ વિસ્તારમાંથી વેલ કઢાવવાનું કામ કરતાં હતાં. એ જોઈ જૂનાગઢવાસીઓને સ્વાભાવિક રીતે આનંદ થયો.

અતુલભાઈએ જણાવ્યું કે છેલ્લાં ૫ દિવસમાં રોજનાં પાંચ ટ્રેકટર જેટલી વેલો કાઢવામાં આવી હતી. સાથે ૭૫ જેટલા સર્પ પણ રેસ્ક્યું કરાયાં છે.

હવે જૂનાગઢના રમણીય તળાવની મુલાકાત લેશો તો અલગ જ અનુભવ થઈ શકે છે. તેમના સુંદર કાર્યને લઇને ઘણાંને લાગણી થઈ શકે છે જો ખરાબ કામની ટીકા કરવામાં આવતી હો તો સારા કામ માટે પણ જશ દેવો ઘટે.

મુખ્યપ્રધાન સીએમ રુપાણી સહિત ગુજરાતવાસીઓએ સુષ્મા સ્વરાજને અર્પી શ્રદ્ધાંજલિ…

$
0
0

ગાંધીનગરઃ ભારતના પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. ત્યારે દેશ-વિદેશના અનેક મોટા નેતાઓ સહિત અનેક અગ્રણી લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એક સરળ વ્યક્તિત્વ અને એક મજબૂત નેતાએ વિદાય લઈ લેતા લોકો અત્યારે શોકમગ્ન છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓએ સુષ્મા સ્વરાજના નિધન બાદ શોક વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ આપી છે.

મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીએ પૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપાના વરિષ્ઠ મહિલા અગ્રણી સ્વ. સુષ્મા સ્વરાજને ભાવ સભર શ્રધાંજલિ આપતા તેમની સાથેના રાજ્ય સભાકાળના સંસ્મરણો તાજા કર્યા હતા.  વિજય ભાઈ રૂપાણીએ સદ્દગત સુષ્મા સ્વરાજના અવસાનથી દેશની રાજનીતિમાં એક વિરલ પ્રતિભાની ખોટ પડી છે તેમ કહ્યું હતું.

તો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સુષ્મા વરાજને શ્રદ્ધાંજલી આપતા કહ્યું કે પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું નિધન રાષ્ટ્ર અને સમસ્ત ભાજપા માટે અપૂર્ણીય ક્ષતી છે. તેમના પ્રામાણિક નેતૃત્વમાં કામ કરવાની તક મળી છે. તેઓ અમારા જેવા કરોડો કાર્યકર્તાઓના આદર્શ હતા. તેમના પરિજનોના પ્રત્યે મારી સંવેદનાઓ છે અને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.

અમદાવાદની ગુફામાં કરો ‘Journey Through Nature’, કળાપ્રેમીઓ માટે ખાસ…

$
0
0

અમદાવાદ- કળાનો એક ગુણ કહેવાયો છે કે તે જેટલો આનંદ સર્જકને બક્ષે છે તેવો કળાનંદ કળારસિકને પણ કળાની અનુભૂતિ દ્વારા કરાવે છે. બ્રહ્માનંદ સહોદર કળાનંદને વિવિધ માધ્યમો દ્વારા કળાકારો પ્રગટન આપે છે તેમાં ચિત્રકળા પણ મહત્ત્વનું માધ્યમ છે. અમદાવાદમાં હાલમાં ચાલી રહેલ એક ચિત્ર પ્રદર્શનની સારી એવી નોંધ લેવાઈ રહી છે. ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી ” અમદાવાદની ગુફા” આર્ટ ગેલેરીમાં 6 ઓગસ્ટે, જસ્મીન દવેના ચિત્ર પ્રદર્શન ” Journey Through Nature ” ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

જસ્મીન દવેના આધ્યાત્મ-ધર્મ અને અન્ય વિષયોને વણી લેતાં આ ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન નટુભાઇ મિસ્ત્રી, મનહર કાપડીયા, બસંત મહેશ્વરી, અમિત ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું.

તા. 6 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં ખુલ્લાં મૂકાયેલા આ અનોખા ચિત્ર પ્રદર્શનને નિહાળવા મોટી સંખ્યામાં કળારસિકો ઉમટી પડ્યાં હતાં.

શહેરના કળાપ્રેમીઓ અને ચિત્રકળાના ગુણ શીખવા માગતાં સૌ વિદ્યાર્થીજનો માટે આ પ્રદર્શનની લટાર એક આહલાદક અનુભવ કરાવનાર બની રહ્યો છે. યુનિવર્સિટી વિસ્તાર હોવાથી બહોળી સંખ્યામાં યુવા વિદ્યાર્થીઓની અવરજવર હોય છે તેથી અમદાવાદની ગુફા જેવી સુંદર ગેલેરીમાં યોજાયેલાં આ ચિત્રપ્રદર્શનમાં રજૂ થયેલાં ચિત્રો રસપ્રદ વાતાવરણ સર્જી રહ્યાં છે.

 

પ્રજ્ઞેશ વ્યાસ

સાવચેત રહેજો…. ગુજરાતમાં ફરીથી 5 દિવસ વરસાદની આગાહી

$
0
0

અમદાવાદ- ચોમાસામાં આ વખતે જે પેટર્ન જોવા મળી રહી છે તેમાં વાતાવરણમાં વરસાદી વાદળોની હલચલ પાંચ-છ દિવસની સર્ક્યૂલેશન સીસ્ટમમાં વરસાદી ગતિવિધિ વ્યાપ્ત થઈ રહી છે. વેધર વોચ ગ્રુપની બેઠકમાં
તારીખ ૮, ૯ અને ૧૦ ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સાવચેતીના પગલાંરુપે વડોદરા સહિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રેસ્કયુ ઓપરેશન માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ૧૭ ટુકડીઓ ડીપ્લોય કરી ગાંધીનગરમાં એક ટુકડી સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

આજે હવામાનવિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ રાજ્યમાં ફરી પાંચ દિવસ વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સેટેલાઈટ તસવીરમાં જણાય છે તેમ ઉત્તર પશ્વિમ બંગાળની ખાડીમાં સર્જાયેલ સર્ક્યુલેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. આ સીસ્ટમ 24 કલાકમાં ગુજરાત તરફ આગળ વધશે. જેને પગલે આગામી 8 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આજ સીસ્ટમ હાલમાં કર્ણાટક મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવી રહી છે.જેનાથી પૂરની સ્થિતિ સર્જાઈ છે.

આગામી પાંચ દિવસ દરમિયાન છોટા ઉદેપુર, ડાંગ, તાપી, વલસાડ અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસાવી શકે છે. ત્રણ દિવસના

વિરામ પછી વરસાદ આવવાની આગાહી છે, જો કે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છે, પણ દક્ષિણ ગુજરાતમાં અતિભારે તોફાની વરસાદ થતાં નુકસાન વધારે થયું છે.

સૂરતમાં જીએસટી બિલ કૌભાંડનો પર્દાફાશ, કરોડોની ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ….

$
0
0

અમદાવાદ- ડાયરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલીજન્સ (ડી.જી.જી.આઈ.)ના સૂરત ઝોનલ યુનિટ દ્વારા જીએસટીના સમયગાળામાં બોગસ બિલથી ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઉભી કરવાનું વધુ એક રેકેટ ઝડપી પાડ્યું છે. આ સંબંધમાં વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા, જેનાં થકી પ્રાથમિક દ્રષ્ટિએ અંદાજે રૂપિયા 42 કરોડથી વધુનાં બિલ બનાવીને રૂપિયા 7.7 કરોડ જેટલી ખોટી  ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઉભી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

આ રેકેટનાં સૂત્રધારો પૈકીનાં એક અસલમ સોદાગર શેખે એમની ફર્મમાં 19 જેટલી ફર્મ પાસેથી ખરીદી દર્શાવી છે, જે પૈકીની 16 જેટલી ફર્મ ક્યાંય અસ્તિત્વ ધરાવતી ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમણે તપાસ દરમિયાન એ સ્વીકાર્યું છે કે તેઓ બોગસ બિલના આધારે ક્રેડિટ મેળવતાં હતાં તેમજ આ બોગસ ફર્મ પૈકી કોઈપણ ફર્મનાં પ્રોપરાઈટરને મળ્યાં નથી કે જાણતાં પણ નથી. તેઓ એ અંદાજે રૂપિયા 7.7 કરોડની  ઈનપુટ ટેક્સ ક્રેડિટ આ બોગસ ફર્મ પાસેથી મેળવી છે.

આ સમગ્ર રેકેટમાં ઘણાં લોકો અને ફર્મ સંડોવાયેલા હોવાનું ધ્યાન પર આવ્યું છે જે અંગે તપાસ ચાલુ છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ બધી બોગસ ફર્મ દ્વારા માલનાં સપ્લાય વગર અંદાજિત રૂપિયા 100 કરોડથી પણ વધુની  ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઉભી કરવામાં આવી છે. અત્યાર સુધી તપાસ દરમિયાન કુલ 54 જેટલી બોગસ ફર્મ શોધી કાઢવામાં આવી છે જેની જીએસટીની નોંધણી રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉપરાંતમાં 33 જેટલા બેન્ક ખાતાને કાયદાકીય રીતે અટેચ કરવામાં આવ્યા છે.

આ સંદર્ભમાં અસલમભાઈ શેખની ધરપકડ કરવામાં આવી છે અને માનનીય ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં, જ્યાં અસલમભાઈ શેખને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. સમગ્ર કેસની તપાસ ચાલુ છે.

Viewing all 9795 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>