Quantcast
Channel: Gujarat – chitralekha
Viewing all 9839 articles
Browse latest View live

વિધાનસભામાં ઊર્જાપ્રધાનનો વારો નીકળ્યો, કચ્છની 5માંથી 2 લિગ્નાઈટ ખાણ બંધ

$
0
0

ગાંધીનગર- કચ્છ જિલ્લામાં લિગ્નાઈટની ખાણો અંગેના જવાબની માહિતી આપતાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું કે, જિલ્લામાં ત્રણ ખાણો ચાલુ છે અને બે ખાણો બંધ છે. બંધ રહેવાના કારણો અંગે જણાવ્યું કે, નારાયણ સરોવર ચિંકારા અભ્યારણ્ય ઇકો સેન્સેટીવ ઝોનને કારણે બંધ છે અને બીજી ખાણમાં લિગ્નાઈટનો જથ્થો પૂર્ણ થયેલ છે. જુલરાઈ, વાધા, પધ્ધર વિસ્તારમાં ઈકૉ સેન્સીટીવ ઝોનના ‘ના વાંધા પ્રમાણપત્ર’ રજૂ થયેથી ચાલુ કરવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં ૫૭૪ ગામોમાં સેવા સેતુ યોજાયા

રાજકોટ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, ૫૭૪ ગામોને આવરી લઇ ૮૯ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે આ કાર્યક્રમ હેઠળ પંચાવન સેવાઓને આવરી લેવામાં આવી છે. સેવા સેતુના કાર્યક્રમ હેઠળ રાજકોટ જિલ્લામાં ૩,૪૫,૯૮૬ અરજીઓ આવી છે જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે. સેવા સેતુના કાર્યક્રમમાં બાકી રહેલા ગામોને આગામી તબક્કાવાર સમાવી લેવામાં આવશે.

વલસાડ જિલ્લાના ૧૩ એકમોને રૂપિયા ૧૫.૫૭ લાખ ચૂકવાયા

વલસાડ જિલ્લામાં એમ.એસ.એમ.ઇ. એકમોને ગુણવત્તા સુધારણા યોજના હેઠળ અરજીઓના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઉદ્યોગ પ્રધાન તરીકેનો હવાલો ધરાવતા સૌરભ પટેલે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી ૧૯ અરજીઓ મળી હતી તે પૈકી ૧૩ અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમને રૂ ૧૫.૫૭ લાખનું ચુકવણું કરાયું છે.

એમ.એસ.એમ.ઇ.  એકમોને સહાયરૂપ થવા તથા ગુણવત્તા સુધારણા માટે, ઉદ્યોગોને મજબૂત કરવા માટે, આંતરરાષ્ટ્રીય વ્યાપારની સવલતો માટે, એરપોર્ટ સુવિધા તથા હાર્ડવેર અને સોફ્ટવેર માટે પણ સહાય પૂરી પાડવામાં આવે છે.  જેમાં સોફ્ટવેર માટે રૂપિયા ૫૦ લાખના રોકાણની પ્લાન્ટ અને મશીનરી હોય તો ૬૫ ટકા પ્લાન્ટના અને વધુમાં વધુ એક લાખની સહાય, રૂપિયા ૫૦ લાખથી રૂ. ૧ કરોડનો પ્લાન્ટ હોય તો પ્લાન્ટની મૂળ નિર્માણના ૬૦ ટકા તથા રૂપિયા ૨ થી ૧૦ કરોડના પ્લાન્ટમાં મૂળ કિંમતના ૫૦ ટકા સહાય અપાય છે. એ જ રીતે હાર્ડવેર માટે જે રૂપિયા ૫૦ લાખનો પ્લાન્ટ મશીનરી હોય તો પ્લાન્ટના ૬૫ ટકા લેખે સહાય, રૂપિયા ૫૦ લાખથી બે કરોડનો પ્લાન્ટ હોય તો મૂળ કિંમતના ૬૦ ટકા તથા રૂપિયા બે કરોડથી ૧૦ કરોડના પ્લાન્ટમાં મુળ કિંમતના ૫૦ ટકાની સહાય અને વધુમાં વધુ રૂપિયા પાંચ લાખની મર્યાદામાં સહાય પૂરી પાડવામાં આવે છે.

૮ હજારથી વધુ લોકોને રોજગારી

વિધાનસભા ખાતે મે. લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડને સેઝ પાર્ક સ્થાપવાની મંજૂરીના પ્રશ્નના પ્રત્યુત્તરમાં સૌરભ પટેલે જણાવ્યું કે, તત્કાલીન રાજ્યમાં અનેક સેઝ શરૂ થયા છે. જેમાં વડોદરા ખાતેનું એલ. એન્ડ ટી.નું સેઝ નોલેજ સિટી તરીકે ઓળખાય છે. આ નોલેજ સિટીમાં એલ. એન્ડ ટી.ની ત્રણ કંપનીઓ કાર્યરત છે. જેમાં એન્જિનિયર તથા અન્ય રીતે આનુષાંગિક સ્ટાફને રોજગારી પૂરી પાડવામાં આવે છે.  ૯૦ ટકા એન્જિનિયરોને રોજગારી અપાય છે તે રીતે રૂ.૪૦,૦૦૦નો શરૂઆતી પગાર મળે છે સ્થાનિક કક્ષાએ પણ નિયમ મુજબ રોજગારી પૂરી પાડવામાં આવે છે.

 

તમામ ગૌણ ખનીજ બ્લૉકની હરાજી હવે ઇ-ઓક્શનથી

રાજ્યની તમામ ગૌણ ખનીજ બ્લૉકની હરાજી હવેથી સંપૂર્ણ પારદર્શકતાથી ઇ-ઓકશન દ્વારા જ કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં ૬૮૬ ગૌણ ખનીજ બ્લૉક માટેની અરજીઓમાંથી ૨૦૦ બ્લૉકની ઇ-ઓકશનની ટેન્ડર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરાઇ છે.  વિધાનસભા ગૃહમાં પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા દ્વારા ગૌણ ખનીજની જાહેર હરાજીથી નિકાલના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ખાણ ખનીજનો હવાલો ધરાવતા પ્રધાન સૌરભભાઇ પટેલે કહ્યું હતું.

ભાવનગર જિલ્લામાં તારીખ:૩૧.૦૩.૨૦૧૯ની સ્થિતિએ ગૌણ ખનીજની હરાજી માટે કુલ ૨૦ બ્લૉક ઇ-ઓકશન પોર્ટલ પર હરાજી માટે મુકવામાં આવ્યા હતા. જેમાંથી ૧૫ બ્લૉકની સફળતાપૂર્વક હરાજી પૂર્ણ કરાઇ છે, જ્યારે અન્ય ૫ બ્લોકોની હરાજીની પ્રક્રિયા ચાલી રહી છે.

પાટણમાં રેલવેની એલાઈમેન્ટમાં ફેરફાર

વૈશ્વિક કક્ષાએ જ્યારે કોઈ સિટીને હેરિટેજ કક્ષાનો દરજ્જો મળે છે ત્યારે તે સિટીનો વિકાસ હેરિટેજ સાઇટના માપદંડ પ્રમાણે કરવામાં આવતો હોય છે. આ જ કારણે પાટણ શહેરની રેલવેની એલાઈમેન્ટમાં ફેરફાર થયો છે. પાટણ જિલ્લા કલેકટર દ્વારા રેલવેને આ અંગે જાણ કરવામાં આવી છે. રેલવેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રેલવેની એન.ઓ.સી. બાદ પાટણ શહેરની નગર રચના યોજના-રને ફાઇનલ કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે તેમ વિધાનસભાગૃહમાં ધારાસભ્ય દ્વારા પાટણ શહેરની ટીપી સ્કીમોને મંજૂર કરવા અંગેના પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા શહેરી વિકાસ અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.

શેત્રુંજી નદીનો ઈકૉ સેન્સીટીવ ઝોનનો પ્રશ્ન હાઇકોર્ટમાં પેન્ડિંગ

વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, અમરેલી જિલ્લાના શેત્રુંજી નદીનો વિસ્તાર ઇકો સેન્સીટીવ ઝોનમાં સમાવેશ થવાના કારણે કાયદેસર માઇનિંગ માટે લીઝ અપાતી નથી અને ગેરકાયદેસર રીતે માઇનિંગ થાય છે આ પ્રશ્ન હાઈકૉર્ટમાં પેન્ડિંગ છે. કોર્ટનો ચુકાદો આવ્યેથી યોગ્ય નિર્ણય કરીને ઝડપથી હરાજી કરીને માઇનિંગ માટે લીઝ ફાળવવામાં આવશે. આજે વિધાનસભા ખાતે અમરેલી અને પોરબંદર જિલ્લામાં ફ્લાઇંગ સ્ક્વોર્ડ દ્વારા લીઝોના ચેકિંગના વિપક્ષી નેતાનાં પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યપ્રધાને આમ જણાવ્યું હતું.

છેલ્લા બે વર્ષમાં અમરેલી અને પોરબંદર જિલ્લામાં ફ્લાઇંગ સ્ક્વોર્ડ દ્વારા ત્રણ વખત દરોડા પાડીને ખાણ/લીઝનું ચેકિંગ કરાયું છે. આ ચેકિંગ દરમિયાન રૂ.૧૦૩૧.૫૭ લાખની ખનીજચોરી પકડવામાં આવી છે. આ સંદર્ભે રૂ.૧૦.૯૮  લાખની વસૂલાત કરવામાં આવી છે અને ચાર વ્યક્તિઓને દંડ ભરવા નોટિસ પણ આપવામાં આવી છે.

કોસ્ટલ કાર્ગોને ઉત્તેજન આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ

ગાંધીનગર વિધાનસભા ગૃહમાં અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહીલે દ્વારા રાજ્યમાં કોસ્ટલ કાર્ગોને ઉત્તેજન આપવા માટે યોજના અંગેનો પૂછવામાં આવેલ લેખીત પ્રશ્નનો લેખીત પ્રત્યુત્તર આપતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, ૩૧.૦૩.૨૦૧૯ની સ્થિતિએ કોસ્ટલ કાર્ગોને ઉત્તેજન આપવા માટેની યોજના છે. જેમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા બંદરીય વપરાશકારો દ્વારા બંદરીય વપરાશકારો દ્વારા કોસ્ટલ કાર્ગોના વહનમાં વધારો થાય તે માટે સિડ્યુલ ઓફ પોર્ટ ચાર્જીસના કાર્ગો રીલેટેડ ચાર્જમાં જેમ કે વાર્ફેજ દરોમાં ૨૦ ટકાની છૂટ આપેલ હતી. જે ૨૦૧૯માં વધારીને ૪૦ ટકા કરવામાં આવેલ છે. જ્યારે વેસલ રિલેટેડ ચાર્જમાં ફોરેન વેસલની સરખામણીમાં ૫૦ ટકા ઉપર છૂટ આપવામાં આવે છે.

પોરબંદર તથા નવલખી ખાતે પોસ્ટલ કાર્ગોની હેરફેર માટે જેટીની સુવિધાઓ વિકસાવવા પર્યાવરણીય અભ્યાસ હાથ ધરવામાં આવેલ છે. આ અભ્યાસો અંતર્ગત પર્યાવરણ અને કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનની મંજૂરીની કાર્યવાહી પ્રગતી હેઠળ છે. આ કામ હાથ ધરવા સારૂ ભાવપત્રકો માંગવામાં આવેલ છે. વાહન-મુસાફરોના કોસ્ટલ પરિવહન માટે રાજ્ય સરકાર દ્વારા ખંભાતના અખાતમાં દહેજ અને ઘોઘા વચ્ચે રો-પેકસ ફેરી સર્વિસ ચાલુ કરવામાં આવેલ છે.


નિતીન પટેલ વિપક્ષ પર બરાબરના ઉકળી પડ્યાં, કહ્યું ન કરો આમ બદનામ…

$
0
0

ગાંધીનગર- રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે રાજ્ય વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રમાણિક, મહેનતુ અને સચ્ચાઇને વરેલાં ખેડૂતો જે ધીરાણ મેળવે છે તે પરત કરે છે. ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને દેશભરમાં તેમને બદનામ કરવાનું બંધ કરવું જોઇએ.

રાજ્ય વિધાનસભામાં વર્ષ-૨૦૧૮ના ગુજરાત ખેડૂત દેવા માફી અંગેના બિન સરકારી વિધેયકની ચર્ચામાં ભાગ લેતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અગાઉ યુ.પી.એ. સરકારે રૂ.૭૨ હજાર કરોડના કૃષિ દેવાની માફી આપી હતી. છતાં ખેડૂતો ફરીથી દેવાદાર કેમ બને છે? એવો વેધક સવાલ ઉઠાવીને જણાવ્યું હતું કે, ખેડૂતોને જે જે સુવિધાઓ સમયસર મળવી જોઇએ તે સુવિધા અગાઉની સરકારે સમયસર પૂરી પાડી નથી. જેના પરિણામે ખેડૂતોની સ્થિતિ કથળી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની કૃષિલક્ષી નીતિઓના કારણે ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ બન્યા છે.

 

કેટલાંક લોકોની દેવા માફીની વાત ઉપર પીન ચોંટી ગઇ છે, એવી માર્મિક ટકોર કરતાં પટેલે જણાવ્યું હતું કે, લોકોએ ધિરાણ અને દેવા વચ્ચેનો તફાવત સમજવો જોઇએ. પોતાની આવશ્યકતા અનુસાર ખેડૂતો લોન મેળવે એટલે દેવાદાર કહેવાય નહીં. ધિરાણ પરત કરવામાં અસમર્થ ખેડૂતો દેવાદાર કહેવાય અને ગુજરાતના ૯૫ ટકા ખેડૂતો સમયસર કૃષિ ધિરાણ પરત કરે છે. આવા નિષ્ઠાવાન ખેડૂતોને દેવાદાર કહીને બદનામ કરનારાઓએ રાજ્યના ખેડૂતોના હિતમાં આવી પ્રવૃત્તિઓ બંધ કરવી જોઇએ.

નીતિન પટેલે ઉમેર્યુ કે, ગુજરાતના પ્રમાણિક ખેડૂતો પ્રતિ વર્ષ રૂા.૪૫ હજાર કરોડથી વધુનું ટૂંકી મુદતનું ધિરાણ લે છે અને ૯૫ ટકા ખેડૂતો આ ધિરાણ સમયસર ભરપાઇ પણ કરી દે છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યના ખેડૂતોએ સહકારી અને રાષ્ટ્રિયકૃત બેંકોમાંથી વર્ષ ૨૦૧૪-૧૫માં જે ધિરાણ લીધી હતું તે ૮૯.૬૦ ટકા પરત કર્યુ હતું. એ જ રીતે વર્ષ ૨૦૧૫-૧૬માં ૯૫.૮૭  ટકા ધિરાણ, વર્ષ ૨૦૧૬-૧૭માં ૯૫.૪૬ ટકા, વર્ષ ૨૦૧૭-૧૮માં ૯૪.૬૧ ટકા તથા વર્ષ ૨૦૧૮-૧૯માં જે ધિરાણ લીધુ હતું તે પૈકી ૯૫.૭૦ ટકા ધિરાણ ખેડૂતોએ સમયસર ભરપાઇ કર્યુ હતું. આવા નિષ્ઠા ધરાવતા ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને શુ કામ બદનામ કરવામાં આવે છે એ મને સમજાતું નથી તેમ તેમણે ઉમેર્યુ હતું.

ખેડૂતોને કૃષિલક્ષી સુવિધા અને ધિરાણ સુવિધા સમયસર મળી રહે અને કૃષિ વિકાસ લક્ષી વાતાવરણ સર્જાય તો મહેનતું ખેડૂતોની આર્થિક સ્થિતિ આપોઆપ સુધરે અને કોઇ ખેડૂતની આર્થિક સ્થિતિ કથળે નહી તેમ ભારપૂર્વક જણાવ્યુ હતું.

બિનઅનામત નિગમઃ વિદ્યાર્થીઓને જુદીજુદી શ્રેણીમાં 95.02 કરોડની સહાયતા આપી…

$
0
0

ગાંધીનગરઃ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની બોર્ડ બેઠક ચેરમેન બી.એચ. ઘોડાસરાની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં ઘોડાસરાએ જણાવ્યું હતું કે, ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા લાભાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને ભોજન સહાય, ટ્યૂશન સહાય, કોચીંગ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય વગેરેનો લાભ મેળવવા માટેની જોગવાઇઓ કરવામાં આવી છે. કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કોઇપણ પ્રકારની સહાય માટે રૂા.૪.૫૦ લાખ તેમજ લોન માટે રૂા.૬.૦૦ લાખની કરવામાં આવી છે.

આ ઉપરાંત તમામ યોજનાઓમાં વ્યાજનો દર મહત્તમ ૫ % રાખવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને વિદેશ અભ્યાસની યોજના વિદેશમાં અભ્યાસ કરવા ઉત્સુક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લોકપ્રિય નિવડી છે. કારણ કે, આ યોજનામાં લોનના હપ્તાની ચુકવણી વિદેશમાં અભ્યાસ કર્યા બાદ એક વર્ષ નોકરી કર્યા બાદ ચૂકવવાની શરૂ થાય છે. આ ઉપરાંત એજ્યુકેશન લોન પણ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નિવડી છે.

તેમણે ઉમેર્યુ કે રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ  કુટુંબો આ યોજનાનો લાભ મેળવે તે માટે આવક મર્યાદામાં વધારો કર્યો છે. જેથી લોન અરજીથી સહાય માટે અગાઉ કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા હતી તે રૂા.૩.૦૦ લાખથી વધારીને રૂા.૪.૫૦ લાખ કરી છે. તેમજ લોન માટે પણ લાભાર્થીને મુશ્કેલી ના પડે તે માટે કુટુંબની વાર્ષિક મર્યાદા વધારીને રૂા.૪.૫૦ લાખથી વધારીને રૂા.૬.૦૦ લાખ કરાઇ છે. આમ વધુને વધુ લાભાર્થીઓને લાભ મળે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. નિગમના ચેરમેન તેમજ પદાધિકારીઓ દ્વારા રાજ્યમાં જુદી જુદી જગ્યાએ કેમ્પ કરી અને વધુને વધુ લાભાર્થીઓ લાભ લે તે માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે.

બિન અનામત નિગમ દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯માં વિદેશ અભ્યાસની ૨૨૩ અરજીઓ મંજૂર કરીને ૩૨.૪૩ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ તેમજ રિસર્ચ માટે જેવા કે, માસ્ટર ડીગ્રી ઇન કનસ્ટ્રકશન મેનેજમેન્ટ, ડેટા સીસ્ટમ તેમજ ક્લાઉડ મેનેજમેન્ટ, પબ્લિક હેલ્થ મેનેજમેન્ટ, માસ્ટર ડીગ્રી ઇન ન્યુક્લીયર ટેકનોલોજી, ન્યુક્લીયર ફિઝીક્સ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ વગેરે જેવા નવીત્તમ પ્રોફેશનલ કોર્સ માટે પણ લોન આપવામાં આવે છે. વધુને વધુ વિદ્યાર્થીઓ આવા પ્રોફેશનલ કોર્સીઝમાં જવાનું વલણ ધરાવે છે.

શૈક્ષણિક અભ્યાસ યોજનાની ૬૭ અરજીઓ ૦૨.૭૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. આ ઉપરાંત સહાય માટે પણ ભોજન સહાયની ૭૧૦૦ અરજીઓ, ટ્યુશન સહાય, કોચિંગ સહાય તથા સ્પર્ધાત્મક તાલીમ સહાયની ૧૫૩૩ અરજીઓ મંજૂર કરી વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ  થયેલી છે. સ્વરોજગાર લક્ષી યોજના હેઠળ ૩૮ અરજીઓ ૦૧.૭૯ કરોડની લોન આપવામાં આવેલ છે. આમ, નિગમ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવેલી છે અને કુલ ૮,૯૬૧ લાભાર્થી વિદ્યાર્થીઓને કુલ રકમ રૂા.૪૭.૮૩ કરોડનો લાભ આપવામાં આવ્યો છે.

અત્યાર સુધી કુલ વિદેશ અભ્યાસની ૪૧૯ અરજીઓના કિસ્સામાં ૬૧.૦૬ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. જ્યારે શૈક્ષણિક અભ્યાસ યોજનાની ૧૪૨ અરજીઓમાં ૦૫.૦૯ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. આ ઉપરાંત સહાય માટે પણ ભોજન સહાયની ૧૫,૬૧૬ અરજીઓ, ટ્યુશન સહાયની ૧,૭૨૫ અરજીઓ, કોચિંગ સહાયની ૬૬૫ અરજીઓ, સ્પર્ધાત્મક તાલીમ સહાયની ૨,૧૦૧ અરજીઓ મંજૂર કરી વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થયું છે. સ્વરોજગારલક્ષી લોન યોજના હેઠળ ૬૮ અરજીઓ ૦૨.૯૫ કરોડની લોન આપવામાં આવેલ છે. આમ, નિગમ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે અને કુલ ૨૦,૭૩૬ લાભાર્થી વિદ્યાર્થીઓને કુલ રકમ રૂા.૯૫.૦૨ કરોડનો લાભ આપવામાં આવ્યો છે.

સ્કૂલ બસ, રિક્ષા અને વાનના ચાલકોએ બાળકોની સલામતી માટે આટલું કરવું ફરજિયાત કરાયું

$
0
0

ગાંધીનગરઃ બાળકોએ દેશનું ભવિષ્ય છે. વિવિધ વાહનોમાં સ્કૂલે જતા બાળકોની સુરક્ષા અને તેમનામાં માર્ગ સલામતી અંગે વધુ જાગૃતિ લાવીને આગામી સમયમાં માર્ગ અકસ્માતમાં ઘટાડો કરી શકાશે. પરંતુ આ વિદ્યાર્થીઓ જે સ્કૂલ બસ, વાન કે રીક્ષામાં સવાર થઈને શાળાએ આવે છે જો તે જ સુરક્ષિત કે સલામત ના હોય તો તેઓ અકસ્માતનું ગંભીર કારણ બની શકે છે. આ કારણે રાજયના વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યમાં સ્કૂલ વાન, બસ કે રીક્ષાની ઘટનાઓને ધ્યાને લઈને માર્ગ સલામતી માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આ અંતર્ગત બાળકોને સ્કૂલે લઈ જતા વિવિધ વાહનો જેવાં કે, બસ, રીક્ષા અને વાનના ડ્રાઈવરોને બાળકોની સલામતી માટે જરૂરી પગલા ભરવા આદેશ કરવામાં આવ્યા છે.

જેમાં સ્કૂલ બસને પીળો રંગ કરેલો હોવો જોઈએ તેમજ બસની આગળ અને પાછળના ભાગે સ્કૂલનું નામ મોટા અક્ષરે લખેલું હોવું જોઈએ. ડ્રાઈવરની માહિતી (નામ, સરનામું, લાયસન્સ નંબર, ટેલીફોન નંબર.) અને શાળાનો નંબર બસની અંદર કે બહારની તરફ સ્પષ્ટપણે જોઈ શકાય તેમ લખાયેલો હોવો જોઈએ. બસની બારીઓ પર આડી પટ્ટી કે જાળી હોવી જોઈએ, આપાતકાલીન દરવાજો તેમજ દરવાજા પર વિશ્વનીય લોક હોવું જોઈએ. બસમાં પડદાં કે કાચ પર ફિલ્મ લગાવેલીના હોવી જોઈએ. સ્કૂલ બસમાં સ્પીડ ગર્વનર લગાવેલું હોવું જોઈએ તેમજ ગતિ મર્યાદા ૪૦ કિ.મી. પ્રતિ કલાકની હોવી જોઈએ.

સ્કુલ બસની બેઠકો બિન દહનશીલ પદાર્થથી બનેલી હોવી જોઈએ તેમજ બસની અંદર GPS અને CCTVની વ્યવસ્થા કાર્યરત હોવી જોઈએ. સ્કૂલ બસમાં પ્રાથમિક સારવાર પેટી અને પીવા માટેનું પાણી હોવું જોઈએ. બાળકોના સ્કૂલ બેગને વ્યવસ્થિત મૂકવા માટેની જગ્યા હોવી જોઈએ. સ્કૂલ બસમાં એલાર્મ કે મોટા અવાજવાળું ધ્વનિસંકેતનું સાધન હોવું જોઈએ જેથી, આપત્તિના સમયે ચેતવણી આપી શકાય. બસની અંદર પૂરતું અજવાળું હોવું જોઈએ તેમજ અંદર થતી પ્રવૃત્તિઓ બહારથી દ્રશ્યમાન હોવી જોઈએ.

શાળાના બાળકોની સલામતી માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા સૂચિત કરેલ અને મંજુરી ધરાવતી બસ જ બાળકોના મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે તે સિવાય મંજુરી ન ધરાવતી બસ કે ભાડે લીધેલી બસમાં બાળકોને લઈ જવા માટે ઉપયોગ કરી શકાશે નહીં. બાળકોને શાળાએથી ઘરે લઈ જવા માટે ઓટો રીક્ષા કે મારૂતિવાન જેવા વાહનોનો વધુ ઉપયોગ થાય છે. આ વાહનો બેઠકની દ્રષ્ટિએ (૧) ૬ + ૧ સુધીની બેઠકની ક્ષમતા (૨) ૬થી વધારે પરંતુ ૧૨ મુસાફરો સુધી ( ડ્રાઈવર સિવાય ) બેઠક ક્ષમતા ધરાવતા એમ બે પ્રકારના વાહનો હોય છે. જેમાં સ્કૂલવર્ધીના વાહનોમાં ૧૨ વર્ષ સુધીના બાળકો માટે ૧ સીટ દીઠ બે બાળકો બેસી શકે તેવી જોગવાઈ છે.

આવા વાહનોમાં સારવાર પેટી અને પીવાનું પાણી તેમજ અગ્નિશામક સાધનો ફરજિયાત રાખવા જોઈએ. બાળકોને બેસવા માટેનું સીટ કુશન સાદી સપાટીવાળું હોવું જોઈએ. વાહનમાં ઉતારું કમ્પાર્ટમેન્ટમાં બારીઓ એવી ડિઝાઈનવાળી જાળીથી બંધ કરેલી હોવી જોઈએ જેથી બાળકોનો કોઈ અંગ બહાર આવી શકે નહીં. ખાનગી રજિસ્ટ્રેશન ધરાવતા વાહનોમાં ભાડેથી બાળકોને લાવવા-લઈ જવા એ ગંભીર ગુનો છે. તેમજ સ્કૂલવર્ધી વાહનોમાં મંજૂરી લીધા વગર CNG અને PNG ગેસ પર વાહન ચલાવવું એ પણ ગંભીર ગુનો છે. જો સ્કુલવર્ધી વાહન થર્ડ પાર્ટી વીમા વગર વપરાતું ધ્યાનમાં આવે તો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી એક્ટ-૨૦૧૮ની કલમ – ૧૪(૧) હેઠળ વાહન ડિટેઈન તથા કડક પગલા લેવાશે.

સ્કૂલવાન, રીક્ષા અને બસ અંગેના પગલાઓ ઉપરાંત આ વાહનને ચલાવવા માટે ડ્રાઈવરોએ પણ ચોક્કસ નિયમોનું પાલન કરવાનું રહે છે. જેમકે જાહેર સેવા અંગેના વાહન ચલાવવા માટે ડાઈવરે ફોટોવાળો બેજ પહેરવો જરૂરી છે. સ્કૂલ વાહન ચલાવતી વખતે ડ્રાઈવરે સ્કૂલ બસની રોડ પર ચલાવવાની યોગ્યતાનું પ્રમાણપત્ર પણ સાથે રાખવું ફરજિયાત છે. આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ પ્રમાણે ડ્રાઈવર પાસે મુસાફરોને માન્ય વીમો, ટેક્ષ, પરમીટ, પીયુસી, ફિટનેશ અને અધિકૃત ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ.

જો ભાડેમાં સ્કૂલબસ લેવામાં આવી હોય તો સ્કૂલ સત્તાધિકારીઓએ માલીક સાથે માન્ય કરેલા કરારની નકલ પણ ડ્રાઈવરે સાથે રાખવાની હોય છે. જ્યારે પણ સ્કૂલના બાળકોનું પરિવહન કરારથી કરવાનું હોય ત્યારે, વાહનના માલિકે આ અંગેની જાણ ડ્રાઈવરના નામ અને વાહનની વિગત જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસને સ્પષ્ટપણે આપવાની રહેશે.

વાહન ચલાવતી વખતે એક સામાન્ય ચૂક પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. એટલા માટે સ્કૂલ વાહન ચલાવતા ડ્રાઈવરોએ પણ વાહન ચલાવતા મોબાઈલ ફોનનો ઉપયોગ, વિદ્યાર્થી તેમજ સ્ટાફ સાથેનો વાર્તાલાપ ટાળવો જોઈએ. ડ્રાઈવરો એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ બાળકો વાહનમાં ચઢતા કે ઉત૨તા હોય ત્યારે સ્કૂલ બસ સ્થિર હાલતમાં જ હોવી જોઈએ જેથી બાળકોમાં પડવાનો ભય ના ૨હે.

આ ઉપરાંત ડ્રાઈવરની ડ્રાઈવિંગ ક્ષમતાઓમાં વધારો થાય તે માટે સમયાંતરે રિફરેસર તાલીમ ડ્રાઈવરને આપવી જોઈએ. નશાની હાલતમાં ડ્રાઈવર સ્કુલ વાહન ચલાવી શકશે નહી અને આ માટે ડ્રાઈવરની તબીબી તપાસ કરવી જોઈએ. જો કોઈ ડ્રાઈવર લાલ બત્તી કે રેડ સિગ્નલની અવગણના કરીને કે રસ્તા પર કોઈ અન્ય વાહનને ઓવરટેક કરે તેવા કોઈ ટ્રાફિક ભંગના ગુનામાં બેથી વધુ વખત સામેલ હોય તેવા ડ્રાઈવરને સ્કૂલ સત્તાવાળાઓ રાખી શકે નહીં. ડ્રાઈવર ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડી શકશે નહીં તેમજ ખાસ કરીને ડ્રાઈવરની સીટ પર તો નહી જ. જો ડ્રાઈવર વધુ બાળકોને બેસાડશે તો વાહનો સામે કડક ચેકિંગ થશે.

સ્કૂલવર્ધી વાહનના ડ્રાઈવર પાસે વાહન ચલાવવાનો બેજ ફરજિયાત હોવો જોઈએ. જો કયારેય પણ રસ્તામાં બસ બગડે તેવી પરિસ્થિતિમાં ડ્રાઈવરે બાળકોની સંપૂર્ણ કાળજી રાખવી જોઈએ. શાળાઓ પણ બાળકોની સલામતી માટે મોટી ભૂમિકા ભજવે છે. આ જ કારણે શાળાઓએ સ્કૂલ બસમાં કે અન્ય દ્વારા આવતા બાળકોની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. બાળકોની માર્ગ સલામતી માટે લેવામાં આવેલાં પગલાઓ અંગે દરેક શાળા, વાલીઓએ અને વિદ્યાર્થીઓએ પણ વધુ જાગૃત થવાની જરૂર છે તેમ પણ વાહનવ્યવહાર કમિશનરશ્રીની કચેરી દ્વારા જણાવાયું છે.

હૃદયદાન મેળવી ગદગદ યુવતીએ દાતાનાં માતાપિતાને યુક્રેન તેડાવ્યાં

$
0
0

સૂરત: કામરેજના વિસ્તારના શ્યામનગર સોસાયટીમાં રહેતા પાટીદાર સમાજના રવિ ઠાકારશીભાઈ દેવાણીનું એપ્રીલ 2017માં એક્સિડન્ટ થયા બાદ બ્રેઈનડેડ જાહેર થતાં હ્રદય સહિતના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. રવિના હૃદયને તે વખતે 87 મિનિટમાં સુરતથી મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી યુક્રેનની નતાલીયા ઓમેલચુકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. રવિના હ્રદય સાથે જીવતી નતાલીયાએ રવિના માતા પિતાને યુક્રેન બોલાવ્યાં હતાં.

દીકરાના હ્રદય સાથે જીવતી નતાલીયાને મળીને રવિના માતા પિતાની આંખોમાં હર્ષ સાથે ગર્વના આંસુઓ સરી પડ્યાં હતાં. નતાલિયાએ રવિના માતાપિતાને યુક્રેનનો પ્રવાસ કરાવ્યો. મૂળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકના સાળવા ગામના વતની ઠાકરશીભાઈ અને તેમની પત્ની લીલાબેનને રવિના હ્રદય સાથે જીવતી નતાલિયાએ યુક્રેન બોલાવ્યાં હતાં.

તેમનું આદર સત્કાર અને સન્માન કરવાની સાથે સાથે યુક્રેનનો પ્રવાસ કરાવ્યો હતો. નતાલિયામાં રવિને જોતાં ઠાકરશીભાઈ અને લીલાબેનનું હ્રદય ગદગદીત થઈ ગયું હતું. અને દીકરાના હ્રદયનું દાન કરીને બીજાના જીવનમાં ખુશીઓ પાથર્યાનો અહેસાસ કર્યો હતો.

રવિનો અમદાવાદમાં અક્સમાત થયેલો 6 એપ્રીલ 2017ના રોજ અમદાવાદ ખાતે ગાય સાથે અકસ્માત નડયાં બાદ બેભાન થયેલા ઇન્સ્યુરન્સ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવની ફરજ બજાવતા અમરેલી વતની રવિને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.

રવિની સારવાર સુરતના પરવત પાટીયા સ્થિત હોસ્પિટલમાં ચાલતી હતી. પરંતુ તેમાં કોઈ સુધારો ન થતાં પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો. જેમાં રવિનું હ્રદય સુરતથી 269 કિલો મીટરનું અંતર કાપી 87 મિનિટમાં યુક્રેનની યુવતીમાં મુંબઈની હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. સાથે કિડની, લિવર, પેન્ક્રીયાસ અને ચક્ષુદાન કરાયા હતા.

નર્મદા યોજનાની કેનાલોનું ઘણું કામ બાકી, વિધાનસભામાં સરકારે કર્યો સ્વીકાર

$
0
0

ગાંધીનગરઃ નર્મદા યોજનાની કેનાલોનું કામ હજી બાકી હોવાનો સરકારે સ્વીકાર વિધાનસભામાં કર્યો છે. 2730 કિલોમીટર લંબાઈની શાખા કેનાલમાં 110.82 કિલોમીટરનું કામ જ્યારે 4,546 કિલોમીટરની કેનાલ પૈકી 209.82 કિમીનું કામ, તો 15,669.94 કીમીની પ્રશાખા કેનાલો પૈકી 1691.44 કીમીનું કામ, અને 48319.94 કીમીની પ્રપ્રશાખા કેનાલ પૈકી 8,783.57 કિમીના કામ હજી બાકી છે. અત્યાર સુધી નર્મદા યોજના પાછળ કુલ 70167.55 કરોડનો કુલ ખર્ચ કરવામાં આવ્યો છે.

નર્મદા કેનાલના બાકી કામકાજના પ્રશ્નમાં ગૃહમાં હોબાળો થયો હતો. આ મામલે નીતિન પટેલ અને વીરજી ઠુમમર આમને સામને થઈ ગયાં હતાં. તો આખરે આ હોબાળા વચ્ચે કોંગ્રેસના તમામ સભ્યો સરકારની વિરુદ્ધ ગૃહમાં ઉભા થયાં હતાં.

નર્મદા કેનાલમાં છેલ્લા 2 વર્ષમાં 207 વખત ગાબડાં અને ભંગાણ થવાની ફરિયાદો સામે આવી છે. ગાબડાં અને ભંગણમાં સરકારે 2 વર્ષમાં 77.82 લાખ રીપેરીંગમાં ખર્ચ્યા છે. તો રાજ્ય સરકારે ગાબડાં, ભંગાણ પડવાના કારણો આપ્યાં છે.

રાજ્ય સરકારે જણાવ્યું છે કે પાણીનો ઉપાડ ન કરતાં નહેર ઓવરટોપ થવાથી, ઉંદર કે નોળીયાના દરમાં લીકેજ થવાથી, નવા-જૂના કામના જોઈન્ટ બનાવવામાં બાંધકામમાં નબળી કામગીરીથી, જાહેરમાં આડશ મૂકવાથી, સાયફનમાં કચરો કે મૃત પ્રાણી ફસાઈ જવાથી અને નહેર ઉભરાઈ જવાથી તેમ જ ઓપરેશન અને મેઇન્ટેનન્સની ખામીના કારણે નર્મદા કેનાલમાં ગાબડા પડ્યાં છે અને ભંગાણ થયું છે.

રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં 15,000ના બોન્ડ પર જામીન મળ્યાં..

$
0
0

અમદાવાદ- કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બપોરે અમદાવાદ આવી પહોંચ્યાં હતાં. અમદાવાદ મેટ્રો કોર્ટમાં તેમની વિરુદ્ધ થયેલાં માનહાનિના કેસ સંદર્ભે તેઓ જૂબાની આપવા આવ્યાં હતાં. લોકસભા ચૂંટણીપ્રચાર માટે ગુજરાત પ્રવાસ બાદનો, રાજીનામું આપી દીધાં બાદનો તેમનો આ પહેલો ગુજરાત પ્રવાસ હતો. નોટબંધી દરમિયાન એડીસી બેંકે કાળાં નાણાં વ્હાઈટ કરી આપ્યાં હોવાનો આરોપ મૂક્યો હતો તે સંદર્ભે માનહાનિ કેસનો રાહુલ ગાંધી સામનો કરી રહ્યાં છે. કોર્ટે આ કેસમાં તેમને 15,000 રુપિયાના બોન્ડ પર જામીન આપ્યાં છે અને કેસની આગળની કાર્યવાહી 7 સપ્ટેમ્બરે યોજાશે.  રાહુલ ગાંધી અને રણદીપ સૂરજેવાલા દ્વારા નોટબંધી અંગેના એક આક્ષેપમાં તેમની સામે માનહાનિ કેસ કરવામાં આવેલો છે.રાહુલ ગાંધી એરપોર્ટ પર આવી પહોચતાં પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીએ તેમનું પુષ્પગુચ્છથી ઉમળકાભર્યું સ્વાગત કર્યું હતું.રાહુલ ગાંધીએ અમદાવાદ પહોંચતાની સાથે જ એક ટ્વીટ કર્યું હતું,જેમાં RSS-ભાજપ પર કટાક્ષયુક્ત પ્રહાર કર્યા હતાં.

રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં જુબાની આપવા માટે લગભગ 3 કલાકે મેટ્રો કોર્ટમાં પહોંચ્યાં હતાં. મેજિસ્ટ્રેટ એન.બી. મુનશીની કોર્ટમાં રાહુલનું નિવેદન નોંધાવાનું છે.નોટબંધી વખતે રાહુલ ગાંધી અને કોંગ્રેસી પ્રવક્તા પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ નોટબંધી વખતે એડીસી બેન્ક વિશે વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. રાહુલ અને સૂરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના નેતાઓ અને અમિત શાહ એડીસી બેન્ક સાથે સંકળાયેલા હોવાથી 5 દિવસમાં 745 કરોડ રૂપિયાની જંગી રકમની હેરાફેરી કરવામાં આવી હતી. આની સામે એડીસી બેંકના ચેરમેન અજય પટેલે રાહુલ ગાંધી અને સૂરજેવાલા વિરુદ્ધ 745 કરોડની માનહાનિનો દાવો કર્યો હતો.

કોર્ટને પ્રથમ દ્રષ્ટિ બદનક્ષી સાબિત થતાં રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જોકે મે માસમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહી શક્યાં ન હતાં. જ્યારે આજે 12 જૂલાઈએ કોર્ટમાં હાજર રહેવાના સમન્સને લઇને રાહુલ ગાંધી આવ્યાં હતાં. કોર્ટ જતાં પહેલાં તેમણે લૉ ગાર્ડનમાં એક હોટેલમાં ભોજન લીધું હતું.અમદાવાદના ઘીકાંટા સ્થિત મેટ્રો કોર્ટનો રૂમ વકીલોથી ભરાયેલો જોવા મળ્યો હતો. મેજિસ્ટ્રેટ એન.બી. મુનશીએ બધાંને શાંત રહેવાની અપીલ કરી હતી. રાહુલની સાથે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ અને અહેમદ પટેલ કોર્ટરુમમાં હાજર રહ્યાં હતાં. રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસની લીગલ ટીમ હાજર છે જેમની પાસેથી રાહુલ ગાંધીએ સમગ્ર કેસની વિગતો મેળવી હતી.

13નંબરની મેટ્રો કોર્ટમાં વકીલોએ રાહુલ ગાંધીનો મોબાઈલથી વિડિયો ઉતાર્યો હતો. ભીડ એટલી વધી હતી કે કોર્ટ રૂમના દરવાજા બંધ કરવા પડ્યાં હતાં અને કોર્ટમાં ભીડને લઇને વકીલોને ખુરશી પર ઉભા રહેવું પડ્યું હતું.તો મેટ્રો કોર્ટની બહાર પણ હજારોની સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
કોર્ટરુમ અપડેટઃ
છઠ્ઠાં માળે આવેલી છે કોર્ટ રૂમ નંબર 13, જ્યાં રાહુલની જૂબાની લેવાઇ.
જજે પૂછ્યું છે કે કેસ પેપર મળ્યાં છે કે નહી, રાહુલે કહ્યું હા મળ્યાં છે
જજે કહ્યું- ગુનો કબૂલ છે..રાહુલે કહ્યું ના હું દોષી નથી
કોર્ટના ડોક્યુમેન્ટમાં પાર્લામેન્ટના સ્પેલિંગમાં ભૂલ હોવાનું રાહુલે જજને જણાવ્યું
રાહુલ ગાંધીનું કોર્ટમાં નિવેદન: મુજ પર જો આરોપ લગાયે ગયે હે…ઉસમેં મેં બિલકુલ નિર્દોષ હું.
રાહુલ ગાંધીના વકીલનું નિવેદનઃસમન્સ ઇસ્યૂ કરાયું છે એટલે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યાં છે,જામીન લેવાની કોઈ જરૂર નથી
જ્યારે ફરિયાદી પક્ષે કાઉન્ટર રજૂઆતમાં એડીસી બેંકના વકીલે કહ્યું કે જામીન માટે રજૂઆત કરવી પડે ભલે પછી જે પણ નિર્ણય કોર્ટ લે. ફરિયાદીના વકીલ એસ વી રાજુએ કહ્યું કે ક્રિમિનલ કેસ છે, જામીન વગર ન છોડી શકાય
કોર્ટમાં જામીન માટેના બોન્ડ મંગાવવામાં આવ્યાં, રાહુલ ગાંધી જામીન મેળવવા અરજી કરી શકે છે. 5000 રુપિયાના મુચરકા પર  જામીન આપવા હૂકમ કરાયો
એડીસી બેંક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીના જામીન મંજૂર થયાં, 15,000 રુપિયાના બોન્ડ ઉપર જામીન મંજૂર થયાં હતાં અને તેમના જામીનદાર અમિત ચાવડા બન્યાં હતાં.
આ કેસમાં સહઆરોપી રણદીપ સૂરજેવાલા અંગે કોર્ટ જજે કહ્યું કે સૂરજેવાલાનું હાલ મારી પાસે નથી, સૂરજેવાલાના કેસ પર પછી વાત થશે. આગામી મુદત 7 સપ્ટેમ્બરે પડી
રાહુલ ગાંધી કોર્ટ રુમથી 4.03 મિનિટે બહાર નીકળ્યાં
રાહુલ ગાંધી કોર્ટમાંથી બહાર આવ્યાં બાદ સીધા જ ગાડીમાં બેસીને રવાના થઈ ગયાં

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ કોર્ટનું સન્માન કર્યું છે

 

ડાંગર માટે ફતેવાડી અને ખારીકટ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવશે

$
0
0

અમદાવાદ-ચોમાસુ ખેંચાઈ ગયું છે. ત્યારે આછોતરા વરસાદમાં વાવણી કરી દેનારા તેમ જ ડાંગરની ખેતી કરતાં ખેડૂતોની ચિંતા ઓછી કરવા સરકારે નિર્ણય કર્યો છે. અમદાવાદ જિલ્લામાં ડાંગરના ઊભા પાકને બચાવવા
ફતેવાડી અને ખારીકટ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવશે.

સરકારે કરેલી જાહેરાત મુજબ ૧૫ જુલાઇથી ૪પ દિવસ માટે એકંદર ૩૧.૯ MCFT પાણી ડાંગરના ઊભા પાકને સિંચાઈ માટે મળશે.

સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ચાલુ ચોમાસામાં હજુ વરસાદની શરૂઆત ન થઇ હોવાથી ખરીફ સિઝન-ર૦૧૯માં સિંચાઇ માટે અમદાવાદ જિલ્લાની ફતેવાડી અને ખારીકટ કેનાલમાં ૧પ જુલાઇથી ૪પ દિવસ માટે નર્મદાનું પાણી ડાંગરના પાકની સિંચાઇ હેતુસર છોડવાનો કૃષિ કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે.

સરકારના આ નિર્ણયને પગલે અમદાવાદ ગ્રામ્યના ફતેવાડી નહેર યોજના તળેના દસક્રોઇ, સાણંદ, બાવળા, ધોળકા અને વિરમગામ તાલુકાના મળીને રપ હજાર હેકટર વિસ્તાર તેમજ ખારીકટ યોજનાના દસક્રોઇ, બારેજા, માતર તાલુકામાં ૪પ૦૦ હેકટર વિસ્તારમાં ચોમાસુ ડાંગરની સિંચાઇ માટે ૧પ જુલાઇ-ર૦૧૯ થી ર૪ ઓગસ્ટ સુધી એકંદરે ૩૧૦૯ MCFT નર્મદાનું પાણી છોડવામાં આવશે.


નવી શાળાઓ, ભરતી સહિત શિક્ષણક્ષેત્રનો ચિઠ્ઠો વિધાનસભામાં ખોલતાં શિક્ષણપ્રધાન

$
0
0

ગાંધીનગર- વિધાનસભા ખાતે ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં શિક્ષણ વિભાગના અંદાજપત્રને સર્વાનુમતે પસાર કરાયું હતું. વિધાનસભા ગૃહમાં ૧૮ થી વધુ ધારાસભ્‍યોએ ચર્ચામાં ભાગ લઈને રચનાત્‍મક સૂચનો કર્યા હતાં.શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે,કેન્‍દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ભારતના તમામ રાન્નયોની શિક્ષણની કામગીરીને ઘ્‍યાને રાખી અપાતા પર્ફોમન્‍સ ગ્રેડીંગ ઈન્‍ડેક્ષ( પી.જી.આઈ.)માં કેટલાક મહત્‍વના ઇન્‍ડીકેટરના લર્નિગ આઉટકમ્‍સ અને ગુણવત્તામાં રાજ્યના શિક્ષણ વિભાગે ૧૮૦માંથી ૧પર, શિક્ષણની ઉપલબ્‍ધતામાં ૮૦માંથી ૭૩, ભૌતિક સુવિધાઓમાં ૧પ૦માંથી ૯૯, શિક્ષણની સમાન તકોમાં ર૩૦માંથી ર૦૭, શિક્ષણ સંચાલન પ્રક્રિયામાં ૩૬૦માંથી ર૭૯ સ્‍કોર મેળવી સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ સ્‍થાને રહ્યું છે. જયારે આ પાંચેય ઈન્‍ડીકેટરની સરેરાશના આધારે ગુજરાતને સમગ્ર દેશમાં ત્રીજું સ્‍થાન પ્રાપ્‍ત થયું છે.

શિક્ષણ પ્રધાને એમ પણ જણાવ્‍યું હતું કે, રાજ્યના શિક્ષણમાં ગુણાત્‍મક પરિવર્તનના કારણે અને શાળાઓની ભૌતિક સુવિધાથી આકર્ષિત થઈને સમાજમાં સરકારી શાળા તરફ અસંખ્‍ય વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. છેલ્‍લા ૬ વર્ષમાં ખાનગી પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતા ૩,૧૬,પ૯૮ બાળકો સરકારી શાળામાં દાખલ થયા છે.

ભારત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓ માટે ગ્રીન યોર સ્‍કૂલ અંતર્ગત ગ્રીન સ્‍કૂલ એવોર્ડ એનાયત કરાય છે, તે અંતર્ગત ગત વર્ષ ભરૂચ જિલ્‍લાની આંકલવા અને ડાંગ જિલ્‍લાની ગોંડલવિહિર સરકારી પ્રાથમિક શાળાએ ગ્રીન સ્‍કૂલ તરીકેનો પ્રથમ એવોર્ડ અને દ્વિતીય ક્રમનો એવોર્ડ મેળવ્‍યો છે.

શિક્ષણ વિભાગની રૂ. ૩૦૦૪પ કરોડની અંદાજપત્રીય માગણીઓ પરની ગૃહમાં થયેલી ચર્ચાનો ઉતર વાળતા શિક્ષણ પ્રધાને કેટલીક નવી જાહેરાતો કરતા જણાવ્‍યું હતું કે,  શિક્ષણની સુધારણાની પ્રક્રિયાના ભાગરૂપ  રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં વર્ષ ર૦૧૯-ર૦થી ધોરણ-પ અને ધોરણ-૮માં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને બે માસ સઘન શિક્ષણ આપી પુનઃ પરીક્ષા લેવામાં આવશે. બાળકોની સલામતી માટે સરકારી પ્રાથમિક શાળાઓને સીસીટીવી કેમેરાની સગવડ પૂરી પાડી બાળકોને સલામતી પૂરું પાડવાનું આયોજન કરાયું છે.

પ્રાથમિક અને માઘ્‍યમિક શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ

પ્રાથમિક અને માઘ્‍યમિક શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી ધોરણ-૧ થી ૧૦ માટે એનીમેટેડ ઈ-કન્‍ટેન્‍ટ તેમજ વર્ગખંડ આધારિત વિડીયો કન્‍ટેન્‍ટ, શાળા વ્‍યવસ્‍થાપન અને શૈક્ષણિક પ્રક્રિયા માટે ઈ-રીસોર્સ પોર્ટલ, કન્‍ટેન્‍ટ નિર્માણ માટે શિક્ષક તાલીમ, શિક્ષકોનેઆઈ.સી.ટી. ક્ષેત્રે પાયાગત મુશ્‍કેલી નિવારણ તાલીમ, શાળા કક્ષાએ કમ્‍પ્‍યુટર લીટરસી સેન્‍ટર, શાળા કક્ષાએ બાયોમેટ્રિક એટેન્‍ડન્‍સ સીસ્‍ટમ, શાળા કક્ષાએ ઓનલાઈન એસસમેન્‍ટ સીસ્‍ટમ, જેવા ઈનીશીએટીવ હાથ ધરવા ગુજરાત ઈન્‍સ્‍ટીટયુટ ઓફ એજયુકેશનલ ટેકનોલો(GIET)ના પુનઃગઠન માટે રૂ. ૧૦૦ કરોડની નવી બાબત રજૂ કરવામાં આવેલ છે.

ઓનલાઈન અટેન્ડન્સ સિસ્ટમ

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની નિયમિત હાજરીના રાજ્ય કક્ષાએથી મોનીટરીંગ માટે ઓનલાઈન અટેન્‍ડન્‍સ સિસ્‍ટમ શરૂ કરાયેલ છે. ઓન લાઈન એટેન્‍ડન્‍ટ સીસ્‍ટમમાં આશરે ર,પ૦,૦૦૦ શિક્ષકોની હાજરી પૂરવામાં આવે છે અને પ્રાથમિક તથા માઘ્‍યમિક શાળાઓના આશરે ૭૦ લાખ વિદ્યાર્થીઓનું હાજરીનું મોનીટરીંગ કરાય છે. ૧૦૦ ટકા હાજરીના મોનીટરીંગ માટે ગુજરાત દેશમાં પ્રથમ રાજય છે અને તેની નોંધ નીતિ આયોગના રિપોર્ટમાં પણ લેવાયેલ છે.

માધ્યમિક શાળાઓમાં ખાલી પદોની ભરતી

માઘ્‍યમિક શિક્ષણ ક્ષેત્રે લેવાયેલ પગલાઓની વિગતો આપતા શિક્ષણ પ્રધાને જણાવ્‍યું હતું કે,  માઘ્‍યમિક શાળાઓના રર૦૦ આચાર્યોની ખાલી જગ્‍યાઓ ભરવાનો કાર્યક્રમ હાલમાં ચાલુ છે, જેમાંથી ૮૦૦ જેટલા આચાર્યોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે. છેલ્‍લા બે વર્ષમાં ૧૩૩ નવી સરકારી માઘ્‍યમિક શાળાઓ મંજૂર કરાઈ છે. છેલ્‍લા ૩ વર્ષમાં ગ્રાન્‍ટેડ માઘ્‍યમિક અને ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળાઓમાં ૪૦૬૩ શિક્ષણ સહાયકોની નવી નિમણૂક કરાઈ છે.

યુનિવર્સિટીઓના ગુણવત્તાયુકત શિક્ષણમાં સુધારો

રાજ્યની ૧૦ સ્‍ટેટ યુનિવર્સિટીઓમાંથી ૮ યુનિવર્સિટીઓને NSSEમાં એ ગ્રેડ મળ્‍યો છે. ર૧ યુનિવર્સિટીઓ અને પ૦ સરકારી અને ગ્રાન્‍ટ ઈન એઈડ કોલેજોએ વર્ષ ર૦૧૮-૧૯માં સ્‍ટેટ ઈન્‍સ્‍ટીટયુશન રેંકીંગ ફ્રેમવર્ક હેઠળ ભાગ લીધેલો તેના કારણે આ યુનિવર્સિટીઓના ગુણવત્તાયુકત શિક્ષણમાં સુધારો થશે. તેમજ ભવિષ્‍યમાં પણ નેશનલ રેંકીંગમાં પણ તેઓ સારો દેખાવ કરી શકશે.

પીએચ.ડી. કરનાર વિદ્યાર્થીઓ માટે અગત્‍યની જાહેરાત

પી.એચ.ડી. કરનાર વિદ્યાર્થીઓ માટે અગત્‍યની જાહેરાત કરતાં શિક્ષણપ્રધાને જણાવ્‍યું હતું કે, પૂર્ણ સમય પીએચ.ડી કરનારને માસિક રૂા.૧પ,૦૦૦/-નું સ્‍ટાઈપેન્‍ડ અને અન્‍ય ખર્ચ પેટે વાર્ષિક રૂા.ર૦,૦૦૦/-ની સહાય ચૂકવવામાં આવશે આ સહાય વાર્ષિક એક હજાર વિદ્યાર્થીઓની મર્યાદામાં ચૂકવાશે.

ટેબલેટનું વિતરણ

ટેકનિકલ શિક્ષણ અંતર્ગત ટેબલેટ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ રાજ્ય અને દેશના વિકાસમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે તેવા હેતુથી વર્ષ ર૦૧૭ થી  શરૂ કરાયેલ ટેબલેટ વિતરણ યોજના અંતર્ગત છેલ્‍લા ર વર્ષમાં ૬ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરાયું છે.

પાકિસ્તાન તરફથી આવેલાં રણતીડના આક્રમણથી 400 હેકટર જમીન બચાવાઈ

$
0
0

અમદાવાદઃ તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ અને સૂઇગામ તાલુકાના ગામોમાં પાકિસ્તાનથી આવેલા તીડના ટોળા ખેડૂતોના ખતેરો ઉપર ત્રાટકતા ખેડૂતોમાં ગભરાટ ફેલાયો હતો. તીડો ખેડૂતોના ખેતરોમાં ઇંડા મુકતા હોવાથી તે બીજા હજારો તીડોનો જન્મ આપતા હોય છે જેનાથી ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન થાય છે.

તીડથી ખેડૂતોના ઉભા પાકને નુકશાન થતું અટકાવી શકાય અને ખેડૂતો શાંતિથી રહી શકે તે માટે તીડના આક્રમણ સામે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા ત્વરિત પગલાં લેવાતાં ખેડૂતોને હાશકારો અનુભાવાયો છે.

તીડ નિયંત્રણ માટે કેન્દ્રની ટીમો અને જિલ્લા ખેતીવાડી ખાતાના અધિકારીઓ વાવ અને સૂઇગામ તાલુકાના ગામોમાં કેમ્પ કરી ખડેપગે તીડ નિયંત્રણની કામગીરી કરી રહ્યા છે. તા. ૧૧ જુલાઇ-૨૦૧૯ સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકાના લોદ્રાણી, બુકણા, અસારાવાસ, નાળોદર અને માવસરી તથા સૂઇગામ તાલુકાના મેઘપુરા, સૂઇગામ, પાડણ અને ભરડવા ગામમાં તથા તે વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં કુલ- 400 હેક્ટર વિસ્તારમાં સ્પ્રેથી જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેનાથી તીડનું નિયંત્રણ કરી શકાયું છે.

રણતીડ એક આંતરરાષ્‍ટ્રીય જીવાત છે અને ખેતીનો જૂનો દુશ્મન છે. રણતીડનો ઉછેર પ્રદેશ તથા હુમલાગ્રસ્ત વિસ્તાર દુનિયાના કેટલાક દેશોમાં પથરાયેલો છે. જે લગભગ ત્રણ કરોડ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલ 60 દેશો તેના હુમલાગ્રસ્ત પ્રદેશમાં આવી જાય છે. રણતીડનો મુખ્યત્વે ઉછેર યમન, ઓમાન, સાઉદી અરેબીયામાંથી ઇરાન, પાકિસ્તાનના હુમલાગ્રસ્ત વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશ કરે છે. જેમાં રાજસ્થાન, ગુજરાત અને પંજાબના અમુક પ્રદેશો મળીને ૮૦,૦૦૦ ચોરસ માઇલ જેટલો વિસ્તાર તેના ઉછેર પ્રદેશ નીચે આવે છે. ગુજરાતમાં રણતીડનો ઉપદ્રવ છેલ્લે વર્ષ-૧૯૯૩-૯૪માં થયો હતો.

રાજ્યમાં શું છે કાયદો-ન્યાયની વ્યવસ્થાનો ચિતાર, વિધાનસભામાં ખુલ્યો પટારો

$
0
0

ગાંધીનગર- વિધાનસભા ખાતે ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે જેમાં આજે  કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચા બાદ ગૃહમાં સર્વાનુમત્તે મંજૂરી આપવામાં આવી હતી. કાયદા પ્રધાને પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે,  અગાઉ ક્યારેય નહોતી એટલી સંખ્યામાં આજે રાજ્યમાં વિવિધ સ્તરની કોર્ટો કાર્યરત કરીને કાયદા તંત્રને વધુ અસરકારક બનાવવામાં આવ્યું હોવાથી રાજ્યમાં શાંતિ સલામતી અને સમૃદ્ધિનું નિર્માણ થયું છે.

વિધાનસભામાં કાયદા વિભાગ માટેની અંદાજપત્રીય જોગવાઇઓ પર વિગતો આપતા કાયદા પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિનું નિર્માણ થયું છે. કાયદાના શાસનને વધુ અસરકારક બનાવવા આગામી વર્ષ માટે અંદાજપત્રમાં કાયદા વિભાગ માટે કરવામાં આવેલી રૂા. ૧,૬૫૩.૩૫ કરોડની ફાળવણીનો ઉલ્લેખ કરતા કાયદા પ્રધાને જણાવ્યું કે, ૨૦૦૩-૦૪માં ન્યાયતંત્ર માટેનું બજેટ માત્ર રૂા. ૧૪૦.૧૯ કરોડ હતું, તેમાં ૧,૧૭૯ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

છેલ્લા ચાર વર્ષમાં વધુ ૧૩૪ કોર્ટ શરૂ કરવામાં આવી

કાયદા પ્રધાને જણાવ્યું કે, ૨૦૧૫માં વિવિધ સ્તરની ૮૯૪ કોર્ટો કાર્યરત હતી. છેલ્લા ચાર વર્ષમાં વધુ ૧૩૪ કોર્ટ શરૂ કરવામાં આવી છે. રાજયના ૨૪૯ તાલુકાઓ પૈકી ૨૪૮ તાલુકાઓમાં સિવિલ કોર્ટ શરૂ કરી દેવામાં આવી છે. આગામી નાણાકીય વર્ષમાં અધિક જિલ્લા ન્યાયાધિશની ૧૦ તથા સિનીયર સિવિલ જજની ૩ મળીને ૧૩ તાલુકા કોર્ટ શરૂ કરવામાં આવશે. ન્યાયતંત્રને કાર્યક્ષમ બનાવવા માટે કોર્ટોને માળખાગત સુવિધાઓ આપવા સાથે ન્યાયાધિશ તેમજ સપોર્ટીંગ સ્ટાફ માટે છેલ્લા બે વર્ષમાં ૨૫૯૪ જગ્યાઓ મંજૂર થવાથી રાજ્યની તાબાની અદાલતોમાં મહેકમની સંખ્યા ૧૧,૦૩૦ થઇ છે. આગામી વર્ષમાં વધુ ૬૪૫ જેટલી જગ્યાઓ માટે જોગવાઇ કરવમાં આવી છે.

મહિલાઓને ઝડપથી ન્યાય

મહિલાઓને ઝડપથી ન્યાય મળી રહે તે માટે ફેમિલી કોર્ટ મહત્વની હોય છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ ૧૪ જિલ્લાઓમાં ફેમિલી કોર્ટ કાર્યરત હતી, તેમાં વધારો કરીને હવે રાજ્યના ૨૯ જિલ્લાઓમાં કુલ ૪૬ જેટલી ફેમિલી કોર્ટ મંજૂર કરવામાં આવી છે. જે પૈકી ૩૮ જેટલી ફેમિલી કોર્ટો કાર્યરત કરીને રાજ્ય સરકારે મહિલાઓ પ્રત્યેની સંવેદનાઓને વાચા આપી છે.

રાજ્યના ૯ જિલ્લાઓમાં ઔદ્યોગિક અદાલતો   

રાજ્યમાં વધી રહેલા ઔદ્યોગિક વિકાસના કારણે કામદારોને લગતા પ્રશ્નનો ત્વરિત નિરાકરણ આવે તે માટે રાજ્યના ૯ જિલ્લાઓમાં ઔદ્યોગિક અદાલતો અને ૨૨ જિલ્લાઓમાં મજૂર અદાલતો કાર્યરત છે. જુદા-જુદા સ્પેશ્યલ એક્ટ હેઠળ ૨૦૧૫માં રાજ્યમાં ૧૪૪ સ્પેશ્યલ કોર્ટ કાર્યરત હતી. છેલ્લા ત્રણ વર્ષમાં વધુ ૨૫૯ નવી કોર્ટ શરૂ કરવામાં આવી છે. આમ, હાલમાં કુલ-૪૦૩ જેટલી સ્પેશ્યલ કોર્ટ કાર્યરત છે.

અદાલતોમાં મહત્વના રેકોર્ડોનું ડીઝીટીલાઇઝેશન

ગુજરાત હાઇકોર્ટ તથા તાબાની અદાલતોમાં મહત્વના રેકોર્ડોનું ડીઝીટીલાઇઝેશન માટે આગામી વર્ષમાં રૂા. ૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કોર્ટ રૂમમાં થતી કાર્યવાહીમાં પારદર્શિતા આવે તથા કોર્ટ સ્ટાફ દ્વારા થતી કામગીરી ઉપર દેખરેખ રહે તે માટે રાજ્યની અદાલતોને સી.સી.ટી.વી.ના માધ્યમથી સાંકળી લેવા માટે ગત વર્ષે કુલ રૂા. ૫૩ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. તે અંગતર્ગત ૩૪૩ કોર્ટ બિલ્ડીંગમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવાની કામગીરી પ્રગતિમાં છે. ૧,૩૪૫ કોર્ટ રૂમમાં સી.સી.ટી.વી કેમેરા લગાવવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. ઉપલી અદાલતોમાં કેસોનું ભારણ ઘટે તે માટે છેલ્લા ત્રણ વર્ષેમાં ૩૮,૧૮૮ જેટલી લોક અદાલતો યોજવામાં આવી હતી. આગામી નાણાકીય વર્ષમાં ૫ કાયમી લોક અદાલતોની સ્થાપના માટે રૂા. ૨.૮૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

મધ્યસ્થીની મદદથી પક્ષકારો વચ્ચે સમાધાન, સુલેહ થાય તે માટે મહત્વના મીડીએશન સેન્ટરમાં દિવાની તેમજ સમાધાન લાયક ફોજદારી કેસો મૂકવામાં આવતા હોય છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યની તમામ અદાલતોમાં મીડીએશન સેન્ટર દ્વારા સમાધાન માટે રજૂ કરવામાં આવેલા કેસો પૈકી ૨,૦૦૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યુડીશરી સેવા સાથે સંકળાયેલા ન્યાયાધિશો, કોર્ટ કર્મચારીઓ તથા સરકારી વકીલોની સ્કીલ અપડેશન માટે આગામી વર્ષમાં રૂા. ૧૫.૪૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અદાલતોના સંકુલ, રહેણાંકના મકાનો માટે છેલ્લા ત્રણ વર્ષમાં  કુલ રૂા. ૧,૧૦૩.૫૯ કરોડની મંજૂરી આપવામાં આવી હતી. આગામી વર્ષ માટે રૂા. ૭૪.૯૬ કરોડના નવા કામો માટે જોગવાઇ કરવામાં આવી છે. વિવિધ અદાલતોને માળખાગત સુવિધાઓ પૂરી પાડવા રૂા. ૮૨૯.૮૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. કાયદા વિભાગ હેઠળ કાર્યરત ચેરીટીતંત્રમાં હાલમાં ૨.૫૨ લાખ ટ્રસ્ટો અને ૯૩,૧૫૪  જેટલી સોસાયટીઓ નોંધાયેલી છે. તેના અંદાજે ૪ કરોડ થી વધુ દસ્તાવેજોનું ડીજીટીલાઇઝેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.

 

બાળકોના અપહરણ, ચોરી-ભીખના ધંધા કરાવતી ગેંગ ઝડપી 17 બાળક છોડાવતી પોલિસ

$
0
0

અમદાવાદઃ મહિલા ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવેલા એક ઓપરેશનમાં ક્રાઈમ બ્રાંચે એક ખતરનાક ગેંગને પકડી પાડી છે. આ ગેંગ બાળકોનું અપહરણ કરીને તેમને ભીખ મંગાવતી અને ચોરી કરાવતી હતી. મહિલા ક્રાઈમ બ્રાંચ દ્વારા પંદર દિવસ રેકી કર્યાં પછી વટવામાં રેડ પાડવામાં આવી જ્યાં 12 છોકરીઓ સહિત કુલ 17 બાળકોને છોડાવવામાં આવ્યાં છે. સૌથી મહત્વની વાત એ છે કે ક્રાઈમ બ્રાંચ દ્વારા જે બાળકોને છોડાવવામાં આવ્યા છે તેઓ કોઈ બીજી જ ભાષા બોલે છે, જેથી બાળકોની તસ્કરીનું આ રેકેટ આંતરરાજ્ય રેકેટ હોવાની પોલીસને આશંકા છે. ત્યારે પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ

મળતી વિગતો અનુસાર શહેરની મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, શહેરમાં બાળકોની તસ્કરી કરતી એક ગેંગ સક્રિય છે અને બહારથી બાળકોને લાવીને તેમની પાસે ભીખ મગાવાનો ધંધો કરે છે. આથી મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સતત 15 દિવસ સુધી વોચ ગોઠવીને તમામ માહિતી એકત્ર કરી હતી અને પછી આ ઓપરેશન પાર પાડ્યું હતું.

મુખ્ય આરોપી આનંદી સલાટ

ટીમે ગુરૂવારે રાત્રે 3.30 કલાકે વટવામાં આવેલા માનવનગરના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે જ્યારે દરોડો પાડ્યો તો મકાનમાં 8 મહિનાથી માંડીને 20 વર્ષની યુવતી સુધીનાં 17 બાળકોને એક રૂમમાં પુરીને રાખવામાં આવ્યાં હતાં. પોલીસે આ મકાનમાંથી આનંદી સલાટ નામની એક મહિલા અને અન્ય એક પુરુષની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે આરોપી મહિલા આનંદીના સાગરીત સંપત સલમની પણ ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીએ કબુલ્યું કે, તેઓ બાળકોને અસહ્ય ત્રાસ આપીને તેમની પાસે શહેરના અલગ અલગ વિસ્તારમાં ભીખ મગાવતા અને ચોરી પણ કરાવતા હતા.

આ ટોળકીના ષડયંત્રનો પર્દાફાશ એક બાળકીની પૂછપરછમાં થયો છે. હકીકતમાં 9 મહિના પહેલાં વટવા વિસ્તારમાં ચોરીની એક ઘટના ઘટી હતી. તપાસ દરમિયાન સ્થાનિક પોલીસે બે બાળકીઓને પકડી હતી. આરોપી બાળકીની ઉંમર નાની હોવાના કારણે પોલીસે જે તે સમયે જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી કરી તેને સારંગપુર ખાતેના મહિપતરામ રૂપરામ આશ્રમ ખાતે મુકી હતી. અહીં પોલીસ અને આશ્રમના સંચાલકોના કાઉન્સેલિંગ દરમિયાન બાળકીએ આંચકારૂપ કબૂલાત કરી હતી. બાળકીએ કહ્યું કે, “કેટલાક લોકો તેની પાસે આ કામ કરાવી રહ્યાં છે. તેની આંખમાં મરચું આંજવામાં આવતું હતું અને શરીરે ડામ આપીને ચોરી કરાવાતી હતી. અસહ્ય માર મારીને તેની પાસે ભીખ મંગાવામાં આવતી હતી.”

આરોપી સંપત મુદલિયાર

આ ગેંગ દ્વારા પકડવામાં આવેલા બાળકો સાથે આ ગેંગના લોકો માનવતાની તમામ હદો વટાવીને અત્યાચાર કરતાં હતાં. આ ગેંગના લોકો માસૂમોની આંખમાં મરચાની ભૂકી આંજીને પછી તેમને ભીખ માંગવા મોકલતા હતા. તો સગીરાઓને રાત્રે ચોરી કરવા મોકલતાં. અને એમાં પણ જો ભીખ માંગીને બાળકો જો પૈસા ઘરે લઈને ન આવે તો, તેમને શરીર પર અસહ્ય ડામ આપવામાં આવતા. તો ગેંગની મુખ્ય સૂત્રધાર મહિલા બાળકોને અસહ્ય માર મારીને પોલીસથી બચવાના નુસખા પણ શીખવાડતી હતી.

બાળકોના શરીર પર ડામના નિશાન મળી આવ્યાં છે તે ખરેખર કોઈ કઠણ કાળજાના વ્યક્તિના હ્યદયને પણ પીગાળી દે તેવા હતાં. અને આ નિશાન બાળકો પર થતાં ક્રૂર અત્યાચારની ચાડી ખાઈ રહ્યાં હતાં. પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે આ બાળકોને ક્યાંથી લાવવામાં આવ્યા તે પોલીસ માટે તપાસનો વિષય છે. બાળકો જે પ્રકારનું હિંદી બોલે છે તે જોતાં લાગી રહ્યું છે કે તેમનામાં દક્ષિણ ભારતની બોલીની છાંટ આવે છે. ત્યારે આ આખા રેકેટમાં આંતરરાજ્ય ગેંગ સંડોવાયેલી હોવાનું પોલીસે અત્યારે અનુમાન લગાવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસ તપાસમાં શહેરમાં બાળકો પાસે ભીખ મંગાવવાનું એક મોટુ રેકેટ બહાર આવે તેવી શક્યતાઓ છે. આ ગેંગનું પૂણે કનેક્શન પણ બહાર આવ્યું છે.

ટ્રેનની અડફેટે અજબપણે ચડી ગયો પરિવાર, ત્રણ યુવાનના મોત…

$
0
0

સૂરતઃ સૂરતમાં એક અરેરાટીભરી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉધના અને સૂરત રેલવે સ્ટેશન વચ્ચે કર્ણાવતી એક્સપ્રેસની અડફેટે ત્રણ લોકો આવી જતાં ચકચાર મચી ગઈ છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે. તો અન્ય બે લોકોનું મોત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. રાજસ્થાનનાં એક જ પરિવારનાં 6 યુવકો ઉધના સ્ટેશન પર ઉતરીને કોયલી ખાડીનાં ટ્રેક પર ચાલતાં ચાલતાં સૂરત તરફ જઇ રહ્યાં હતાં. ત્યારે અચાનક ટ્રેન આવી જતાં આ ગોઝારો અકસ્માત થયો છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનનાં એક પરિવારના 6 યુવક રાજસ્થાનથી અજમેર પુરી એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વલસાડ જવા નીકળ્યાં હતાં. આ લોકો ભૂલથી અન્ય ટ્રેનમાં બેસી ગયા હતાં. પરંતુ ટ્રેનમાં મુસાફરોએ તેમને સમજાવ્યું કે, આ ટ્રેન સુપર ફાસ્ટ છે અને વલસાડ ઉભી નહીં રહે. તેથી યુવાનો સૂરત-ઉધના રેલવે સ્ટેશન વચ્ચે ધીમી ચાલી રહેલી ટ્રેનમાંથી રેલવે ટ્રેક પર કૂદી ગયાં હતાં.

રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે 6 પૈકી 3 યુવાનો ટ્રેનની અડફેટે આવ્યાં હતા. જેમાં 18 વર્ષના કુલદીપ ફુલસિંગનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે 19 વર્ષના પ્રવીણ ધીરસિંગનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે 18 વર્ષના પ્રવીણ નારાયણસિંગની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તેનું પણ બાદમાં મોત નીપજ્યું છે.

મહત્વનું છે કે વર્ષ 2009માં આજ જગ્યાએ 16 લોકો ટ્રેનની નીચે કપાયા હતાં. ઉધનાથી સૂરત જતી વખતે કોયલી ખાડી આવેલી છે. જો એ તમે પાર કરતા હોવ અને વચ્ચે એક્સપ્રેસ ટ્રેન આવી જાય તો તમારાથી કંઇ થઈ શકતું નથી. તમારે ખાડીમાં કુદવું પડે કે પછી તમે ટ્રેનની નીચે આવી જાવ. આ ખાડી એકદમ નાની છે અને આસપાસ જગ્યા નથી.

ઐશ્વર્યા મજમુદારને મળી ગયો વાલમ, દુબઈના મુલ્કરાજ ગઢવી સાથે સગાઈ કરશે

$
0
0

અમદાવાદઃ ગુજરાતની જાણીતી સીંગર અને ડાંડિયા ક્વિન તરીકેમાત્ર ગુજરાત જ નહી પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે એવી ઐશ્વર્યા મજમુદારે પોતાનો વાલમ શોધી લીધો છે. ઐશ્વર્યાએ દુબઈના બિઝનેસમેન મુલ્કરાજ ગઢવીને પોતાના ‘વાલમ’ તરીકે પસંદ કરી લીધાં છે.

ઐશ્વર્યાએ આખરે પોતાના જીવનની એક સૌથી મહત્વપૂર્ણ અને આનંદની વાતનો ખુલાસો ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂક પર કર્યો છે અને તેણે પોતાના ફિયોન્સ મુલ્કરાજ વિશે વાત પણ કરી છે.

ઐશ્વર્યાએ જણાવ્યું કે મારાં જીવનની બધી જ સારી ઘટનાઓ સંગીતથી જોડાયેલી છે તેમ હું અને મુલ્કરાજ પણ સંગીતથી જોડાયેલાં છીએ. મુલ્કરાજ પોતે દુબઇના એક બિઝનેસમેન છે. જોકે તેને સંગીતમાં ખૂબ જ રસ છે. તેણે પોતે તેનાં માતાપિતા માટે એક સોન્ગ લખ્યુ હતું અને તે એક સારા વોઇસની તલાશમાં હતાં. જ્યારે મળશે ત્યારે તે પોતે લખેલું સોન્ગ તેની પાસે ગવડાવશે.

આ વચ્ચે તેમણે મારા યુટ્યુબ પર વીડિયો જોયાં.. આ પહેલાં તે મારા વિશે કંઇ જ નહોતાં જાણતાં. પણ આ વીડિયો જોયાં બાદ અમારા મ્યુચ્યલ ફ્રેન્ડ્સ દ્વારા મુલ્કે મારો ફેસબૂક પર સંપર્ક કર્યો અને આ સોન્ગ વિશે વાત કરી. પછી અમારે મળવાનું થયું. અને જેમ તમે જાણો જ છે કે પ્રેમ જે થવાનો હોય તે સંજોગો ઉભા કરી જ દે છે તમને મળાવવાનાં. તો એક બાદ બીજુ સોન્ગ અને બીજા બાદ ચોથુ સોન્ગ મે ગાયું. અને અમે મળી ગયા…

ઐશ્વર્યા આગામી નવેમ્બર માસમાં વિધિવત સગાઈથી મુલ્કરાજ ગઢવી સાથે જોડાશો. જોકે લગ્ન હાલમાં નહીં પરંતુ બે-ત્રણ વર્ષ બાદ કરશે તેમ માધ્યમો સાથેની વાતચીતમાં ઐશ્વર્યાએ જણાવ્યું હતું. ઐશ્વર્યાની સગાઈની ખબરથી તેમના મિત્રવર્ગ અને ચાહકવર્ગમાં આનંદની લાગણી જોવા મળી તેમ જ તેમના સોશિઅલ મીડિયા પર અભિનંદનોનો વરસાદ થઇ રહ્યો છે.

ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય ખેલાડીઓ માટે ઇન્ડિયા હાઉસ તૈયાર કરાશે: કિરન રિજીજુ

$
0
0

ગાંધીનગર– યુવા બાબતો અને રમતગમત રાજ્યકક્ષાના પ્રધાન(સ્વતંત્ર હવાલો) કિરન રિજીજુએ જણાવ્યું હતુ કે, ટોક્યોમાં 2020માં રમાનારા ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે ભારતના એક ડેલિગેશનનું નેતૃત્વ કરીને પોતે ત્યાં જશે અને ટોક્યોમાં ઇન્ડિયા હાઉસ તૈયાર કરવામાં આવશે, જેમાં ભારતીય ખેલાડીઓ માટે જરૂરી બધી જ સુવિધાઓ પુરી પાડવામાં આવશે. ન્યુટ્રિશનિસ્ટ અને કોચની સલાહ મુજબ ખેલાડીઓ માટે પોષણયુક્ત ભોજન તેમ જ જરૂરી ટેકનિકલ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતના કોઈપણ ખેલાડીઓને સંપૂર્ણ સન્માન મળે તેમ અમે ઈચ્છીએ છીએ, જે ખેલાડીઓએ ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે તેમ જ જેમણે રાષ્ટ્રીય સ્તર પર કોઈ રમતમાં મેડલ જીત્યુ હોય એવા ખેલાડીઓ જો અત્યારે સારી આર્થિક સ્થિતિમાં નથી તો એમના માટે આર્થિક સહયોગની વ્યવસ્થા પણ અમે ઉભી કરી રહ્યાં છીએ, જે ખેલાડીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરીને એશિયન ગેમ્સ, કોમનવેલ્થ કે ઓલિમ્પિકમાં મેડલ જીત્યા હોય તેમના માટે પેન્શનની વ્યવસ્થા તો હોય જ છે, આ ઉપરાંત પણ કોઈ ખેલાડીઓ દયનીય સ્થિતિમાં હોય તો તેમના માટે સરકાર આર્થિક સહયોગની વ્યવસ્થા ઉભી કરી છે.

કિરન રિજીજુ શનિવારે ગુજરાતમાં ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના પરિસરની મુલાકાતે હતા, ત્યાં તેમણે અધિકારીઓ સાથે મુલાકાત યોજી હતી, તેમજ પરિસરમાં આયોજિત એક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.


અમદાવાદના ત્રણ વિસ્તારમાં કુલ 312 મકાનોની ફાળવણી થઈ, લાભાર્થી છે સરકારી…

$
0
0

અમદાવાદઃ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદમાં વસ્ત્રાપુર,મેમનગર તથા ગુલબાઇ ટેકરા, ખાતે રાજ્ય સરકારના અધિકારી – કર્મચારી માટે  રૂ.૯૮ કરોડના ખર્ચે નિર્મિત  ‘ઇ ‘, ‘ડી’, ‘ સી ‘ કક્ષાના ૩૧૨ બહુમાળી આવાસોનું લોકાર્પણ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે કર્યું હતું, સાથે જ  ફાળવાયેલ લાભાર્થીને આવાસ લોકાર્પણના પત્રો આપી આવાસની ફાળવણી કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે રાજ્યની વિવિધ સરકારી કચેરીઓના નવીનીકરણ સાથે અધતન સુવિધાઓ પૂરી પાડી અધિકારી- કર્મચારીઓને  કામ કરવા માટે વધુ સારું વાતાવરણ માર્ગ મકાન વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે તેજ રીતે તેમના પરિવારો સાથે રહી શકે તે માટે સુવિધાયુક્ત  આવાસો બનાવવાની માર્ગ મકાન વિભાગની નેમ સાકાર થઈ રહી છે.

નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે સરકારમાં સતત ભરતી થઈ રહી છે અને સરકારી કર્મચારી – અધિકારીઓ રાજ્ય સરકારના વિકાસ માટે સતત કામ કરતા હોય છે ત્યારે તેમના પરિવારો સાથે સારી રીતે રહી શકે તે માટે રાજ્યના તમામ નગરોમાં સરકારી આવાસો બનાવવામાં આવી રહ્યા છે અને આ માટે અંદાજ પત્રમાં જોગવાઈ પણ કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રજાકીય અને સેવાકીય કામો વધુને વધુ કરી રહી છે ત્યારે પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાકિય કામોને આપણું કર્તવ્ય સમજી સહયોગ આપવો જોઈએ. પર્યાવરણની જાળવણી માટે રોડ સાઇડની ફાજલ જમીનો,પડતર જમીનોમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા તેમણે જણાવ્યું હતું.

અમદાવાદ મહાનગર પાલિકાના મેયર બીજલબેન પટેલે જણાવ્યું કે પ્રજાને જરૂરી સુવિધાઓ આપવાનું કામ આ સરકાર કરી રહી છે. અમદાવાદ મહાનગર પાલિકાના ‘મીશન મીલીયન ટ્રી ‘ના અભિયાનમાં વૃક્ષો વાવવામાં જોડાવા તથા સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ વડાપ્રધાનના પર્યાવરણ અને સ્વચ્છ અભિયાનમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

અમદાવાદમાં બાલવાટિકા પાસે રાઈડ તૂટતાં 3નાં કરૂણ મોત, 30 જેટલા ઘાયલ

$
0
0

અમદાવાદ – અહીં કાંકરિયા ખાતે બાલવાટિકા નજીક આજે સાંજે એક રાઈડ તૂટી પડતાં ત્રણ જણનાં મોત નિપજ્યા છે અને ૩૧થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આજે ગૌરીવ્રત, જયા પાર્વતી નિમિત્તે તેમજ રવિવારની રજા હોવાથી આ રાઈડ્સનો આનંદ લેવા માટે લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા. કન્યાઓ, બાળકો મોટી સંખ્યામાં હાજર હતાં. સમી સાંજે એકાએક રાઈડ તૂટતા બૂમાબૂમ થઈ હતી. ઈજાગ્રસ્તોને નજીકની એલ.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

દુર્ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તેમજ અમદાવાદ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારો મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં ઘાયલોને યોગ્ય તથા ઝડપી સારવાર મળે તે માટે વ્યવસ્થા કરવા પહોંચી ગયા હતા.

કાકરિયામાં બાલવાટિકામાં અકસ્માતની ઘટનાને કારણે તમામ રાઈડ્સ બંધ કરાવી દેવામાં આવી છે અને તે માર્ગ પર ભરાતો મેળો પણ બંધ રાખવામાં આવ્યો છે.

ઘટનાસ્થળે લોકોની મોટી ભીડ જમા થઈ હતી. ભીડને કાબૂમાં રાખવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસ સ્ટેશનના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

કાંકરિયા દુર્ઘટનામાં ચોંકાવનારી વિગતો બહાર આવી, 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો…

$
0
0

અમદાવાદઃ કાંકરિયાના એડવેન્ચર પાર્કમાં રાઈ તુટી પડવાની ઘટનાએ હાંહાકાર મચાવી દીધો છે. ત્યારે આ દુર્ઘટના બાદ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ ઘટનામાં તપાસ બાદ અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. અત્યારે પોલીસે 6 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ લોકો વિરુદ્ધ IPC કલમ 304,114 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસે રાઇડના સંચાલક, ઓપરેટર અને મેનેજ સામે કાંકરિયા પાર્કના મેનેજર ચિરાગ પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. રાઇડ તૂટી પડવાના મામલે પોલીસે ડાયરેકટર ઘનશ્યામ પટેલ,પુત્ર ભાવેશ પટેલ મેનેજર તુષાર ચોકસી, ઓપરેટર યશ ઉર્ફે વિકાસ ઉર્ફે લાલા મહેન્દ્ર પટેલ તથા કિશન મહંતી, હેલ્પર મનીષ વાઘેલા સામે ફરિયાદ નોંધી છે, આરોપીઓ સામે આઈપીસી 304 (મનુષ્યવધ) અને 114 (ઘટના વખતે એક કરતા વધુ લોકો હાજર હોય) કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

બનાવની તપાસ કરતા માહિતી સામે આવી છે કે આ રાઈડના સંચાલકો દ્વારા રીતસરની બેદરકારી દાખવવામાં આવી છે. જે રાઈડ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, તે રાઈડ એસેમ્બલ્ડ હતી અને એટલે તેનો વિમો પણ મળ્યો નહોતો. જર્મન પાર્ટ્સની આ રાઈડનું વજન 30 થી 100 ટન જેટલું હતું અને નિયમ અનુસાર દર સોમવારે આ રાઈડનું ઈન્સ્પેક્શન કરી ફિટનેસ સર્ટીફિકેટ આપવામાં આવતું હોય છે. રાઇડના જોઇન્ટમાં 6 દિવસ પહેલાં જ ખામી જણાઈ હતી પરંતુ મેઇન્ટેનન્સના નામે આંખ આડા કાન કરાયા હોવાના કારણે આ ગોજારી દુર્ઘટના ઘટી હતી.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કાંકરિયા અકસ્માતની કરુણ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ હતુ. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, આ મામલે તપાસના આદેશ આપી દેવાયા છે. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થશે. તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટે નહીં તે માટે પગલાં લેવાશે. મુખ્યપ્રધાને કાંકરિયા કેસ મામલે ઊંડી તપાસની પણ ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, અમદાવાદની કાંકરિયાની ઘટના બાદ રાજ્યમાં આવી કોઈપણ રાઈડ્સની મંજૂરી આપતા પહેલા તમામ પાસાની તપાસ કરવામાં આવશે.

તો બીજી તરફ, હવે સૌરાષ્ટ્રમાં પણ સાતમ-આઠમના મેળા ભરાશે, જેમાં આવી રાઈડ લગાવાશે તે વિશે મુખ્યપ્રધાને કહ્યું કે, સાતમ આઠમના મેળાઓમાં પણ આ પ્રકારની નાની મોટી રાઈડ ચાલતી હોય છે, ત્યારે પૂરતી ચકાસણી સાથે તેમને મંજૂરી આપવામાં આવશે. વખતો વખત તેનું નિરીક્ષણ અને તપાસ થાય તેવા પગલાં લેવામાં આવશે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં સાતમ આઠમના મેળા યોજાય છે તેમાં ખાસ તકેદારી રાખવામાં આવશે. મંજૂરી આપ્યા પછી નિયમિત તેની તપાસ નહિ થાય તો તેના પણ પગલાં ભરવામાં આવશે.

ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આજે કાકરીયા સ્થિત બાલવાટીકા- એમ્યુજમેન્ટ પાર્કમાં રાઇડ તુટવાના પગલે સર્જાયેલી દુધર્ટનામા ઇજાગ્રસ્ત લોકોનેL.G હોસ્પીટલ ખાતે મુલાકાત લીધી હતી. ઘટનાની સમીક્ષા બાદ પ્રદિપસિંહે જણાવ્યું હતું કે એમ્યુઝમેન્ટ પાર્કમાં અકસ્માતે રાઈડ તૂટી હતી .આ રાઇડની  ક્ષમતા ૩૨ લોકોની હતી તે પૈકી ૩૧ લોકો તેમાં સવાર હતા. આ અકસ્માતથી બે લોકોના મૃત્યુ થયા છે અને ૨૯ લોકો એલ.જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટનાના સમાચાર મળતા જ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ તથા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને જેઓ ઈજાગ્રસ્ત થયા છે તે લોકોને સત્વરે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.સાંજે ૫.૫૦ કલાકે ઘટના બની અને તરત જ ૬.૧૫ કલાકથી સમગ્ર તંત્ર હોસ્પિટલમાં  ખડે પડે હતુ. તેમણે જણાવ્યું કે મુખ્યપ્રધાન અમદાવાદ મહાનગરપાલિકા તથા પોલીસ તંત્રના સતત સંપર્કમાં છે અને ઈજાગ્રસ્ત લોકોને જેટલી જરૂર હોય તેટલી તમામ સારવાર આપવા તંત્રને તાકીદ કરી છે. ઈજાગ્રસ્તોની સારવારનો સંપૂર્ણ ખર્ચો અમદાવાદ મહાનગરપાલિકા આપશે.

ચંદ્રયાન-2 માં સૂરતી કંપનીનું યોગદાન,એવો પાર્ટ બનાવ્યો જેની અમેરિકાએ ના પાડી હતી

$
0
0

સુરતઃ ઇસરોના બીજા મૂન મિશન ચંદ્રયાન-2ના લોન્ચિંગને તકનીકી કારણોસાર રોકી દેવામાં આવ્યું છે. લોન્ચિંગના ઠીક 56.24 મિનિટ પહેલાં ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રોકી દીધું. 15મી જુલાઇના રોજ વહેલી સવારે 2.51 વાગ્યે ચંદ્રયાન-2ને દેશના સૌથી તાકાતવર બાહુબલી રોકેટ GSLV-MK3થી લોન્ચ કરવાનું હતું. પરંતુ આ આખા મિશનમાં એક મહત્વની એ છે કે ઈસરોની આ મહત્વની સિદ્ધિમાં ડાયમન્ડ સિટી સૂરતનો પણ ફાળો રહેશે. ચંદ્રયાન-2નો નાનકડો ઘટક સૂરતમાં તૈયાર કરવામાં આવ્યો છે જે આ મિશનમાં મહત્વનો ભાગ ભજવશે.

પાંડેસરા GIDCમાં આવેલી એક ખાનગી કંપનીએ પ્રોટેક્ટિવ સિરામિક કમ્પોનન્ટ તૈયાર કર્યું છે, જેને ઈસરોના વૈજ્ઞાનિકો સ્કિબ તરીકે ઓળખે છે. આ રોકેટની સિસ્ટમનો એક ભાગ છે જે વાયર અને ઈલેક્ટ્રિક એપરેટસને 2500 ડિગ્રી સેલ્સિયસથી 3,000 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રક્ષણ આપશે. સ્કિબ સ્થાનિક ઉદ્યોગો અને વૈજ્ઞાનિકોની 25 વર્ષની મહેતનું પરિણામ છે. ભૂતકાળમાં ઈસરો સ્કિબની આયાત કરતું હતું. 1992માં ઈસરોના વૈજ્ઞાનિકોએ સ્કિબ બનાવવા માટે કંપનીનો સંપર્ક કર્યો હતો. તેમણે 1995માં સ્કિબ તૈયાર કર્યું અને ઈસરોને આપ્યું.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નિમેશ બચકાનીવાલાએ મીડિયાને માહિતી આપી કે “એક ભારતીય અને ગુજરાતી તરીકે અમારા માટે આ ગર્વની ક્ષણ છે. અમે છેલ્લા 25 વર્ષથી આગ સામે રક્ષણ આપતા સિરામિક કમ્પોનન્ટ ઈસરોને સપ્લાય કરીએ છીએ.

અગાઉ ઈસરો આ ભાગને વિદેશથી આયાત કરતું હતું પરંતુ અમારી પ્રોડક્ટ જોઈને તેમને સંતુષ્ટિ થઈ. વિદેશી કંપનીઓએ 1992થી ઈન્ડિયન સ્પેસ મિશનને આ મહત્વનો ભાગ આપવાનું બંધ કરી દીધું. ત્યારે રોકેટ માટે એકદમ તેવા જ ભાગ ઉત્પાદિત કરવાના દ્વાર અમારા માટે ખુલ્યા. 25 વર્ષથી અમારી કંપનીના ફાયરપ્રૂફ કમ્પોનન્ટ ઈસરોના દરેક સ્પેસ મિશન અને દેશના મિસાઈલ પ્રોગ્રામમાં વપરાય છે.”

બચકાનીવાલાએ આગળ કહ્યું, “કોઈ ચોક્કસ મિશન માટે અમે 6,000 કમ્પોનન્ટ પૂરા પાડીએ છીએ. ઈસરોના ઓર્ડર પ્રમાણે કમ્પોનન્ટ પૂરા પાડવાના હોય છે. આ વર્ગીકૃત માહિતી (ખાનગી રખાતી માહિતી) હોવાથી મીડિયા સાથે ચર્ચા કરતાં પહેલા મારે ઈસરો પાસેથી મંજૂરી લેવી પડે છે.

મારી પત્નીને પણ આજ સુધી ખબર નહોતી કે અમે ઈસરો માટે કઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ. તેને પણ હાલમાં જ જાણ થઈ.” બચકાનીવાલા પરિવાર વર્ષોથી ટેક્સટાઈલ મશીનનું ઉત્પાદન કરતો હતો. બાદમાં નિમેશ બચકાનીવાલાએ સિરામિક સેક્ટરમાં પણ પદાર્પણ કરવાનો નિર્ણય લીધો

જૂનાગઢ-મનપાની સામાન્ય ચૂંટણી માટે ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો

$
0
0

જૂનાગઢ- મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ટક્કર ચાલી રહી છે. મહાનગરપાલિકાની 60 બેઠકોમાંથી 25 બેઠકો પર એનસીપીના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. ત્યારે ત્રીજા પક્ષ તરીકે એનસીપી દ્વારા ગઈકાલે ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો.જેમાં જૂનાગઢને ભ્રષ્ટાચાર મુક્ત સુશાસન આપવાની વાત કરવામાં આવી છે.

તો બીજી તરફ ભાજપ દ્વારા પણ ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો છે. ભાજપે તેના સંકલ્પપત્રમાં જૂનાગઢને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ઉપરાંત નરસિંહ તળાવને ફરતે  કાંકરિયા જેવો રિંગ ગાર્ડન રોડ બનાવવો. જોશીપુરા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે ઓવરબ્રિજ બનાવાશે. તેમજ પાણીની સમસ્યાના નિવારણ માટે ઝાંઝરડા વિસ્તારમાં તળાવવાની પણ તેમના ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે.

આ ઉપરાંત ભાજપે તેમના સંકલ્પ પત્રમાં જૂનાગઢને રેલવે ફાટક મુક્ત બનાવવાનું વચન પણ આપ્યું છે.પ્રવાસન થકી રોજગારીનું સર્જન કરવા તેમજ ચાલુ વર્ષે જ ગિરનાર રોપ વે પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું પણ વચન આપ્યું છે. ઐતિહાસિક સિટી તરીકે જૂનાગઢની છબીને ટકાવી રાખવા માટે સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવશે. જૂનાગઢવાસીઓને રોડ રસ્તા ગટર પાણીના પ્રશ્નોને અગ્રીમતા આપવામાં આવશે અને સફાઈ માટેના આધુનિક સાધનો વસાવવાની વાત પણ કહેવામાં આવી છે.

શહેરના મહત્તમ વિસ્તારમાં મહિલાઓ માટે વોશરૂમ બનાવવા, ભવનાથમાં ઐતિહાસિક સુદર્શન તળાવનું નવિનીકરણ, લોકોની ફરીયાદો માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, વપરાયેલા પાણીના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નવી શાક માર્કેટ બનાવાશે, સિનિયર સિટીઝન પાર્ક, શહેરમાં રાત્રી બજાર શરૂ કરવી,વિકસિત વિસ્તારમાં ટાઉનહોલ બનાવવા, વિવેકાનંદ ગ્રાઉન્ડમાં સ્ટેડિયમ બનાવવું, વિધાર્થીઓ માટે ઈ લાઈબ્રેરી શરૂ થશે, ગિરનાર અભ્યારણ્યમાં સિંહ દર્શન શરૂ કરાશે, પર્યટન અને ધાર્મિક સ્થળોએ સેલ્ફી પોઈન્ટ ઉભા કરાશે વગેરે વચનો ભાજપે તેના સંકલ્પ પત્રમાં આપ્યા છે.

જૂનાગઢમાં વિવિધ વોર્ડમાં પ્રચાર કાર્યને વેગવાન બનાવવા ભાજપ દ્વારા દરેક વોર્ડમાં ત્રણ કાર્યાલય ખોલવાનું મિનીમમ લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત વધુમાં વધુ કાર્યાલય ખોલી કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર કાર્યને વધુ તેજ બનાવાઈ રહ્યું છે. ભાજપની જેમ જ એનસીપી એ પણ પ્રચારકાર્યને તેજ બનાવી ભાજપથી એક ડગલું આગળ વધી વોર્ડ દિઠ ૪ કાર્યાલય ખોલવાનું જણાવ્યું છે તો કોંગ્રેસ પણ વોર્ડ દિઠ ત્રણ કાર્યાલય ખોલવાનું જણાવ્યું છે.

 

આમ અંતિમ દિવસોમાં દરેક રાજકીય પક્ષો પ્રજાને પોતાના તરફ આકર્ષિત કરી મત મેળવવા માટે ભરપુર પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આ પ્રયાસમાં કોણ કેટલું સફળ થાય છે એ તો આગામી 23 જુલાઈએ પરિણામ આવશે ત્યારે ખબર પડશે.

Viewing all 9839 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>